Search This Blog

11/07/2011

ઍનકાઉન્ટર : 11-07-2011

* ‘માનવી માનવ થાય તો ઘણું,’ એ ઉક્તી આજના સંદર્ભમાં કેટલી પ્રસ્તુત છે ?
- ડોન્ટ વરી....! માનવીથી માનવ સિવાય એ બીજું કાંઇ ઇચ્છે તો ય બની શકાય એમ નથી.
(કૃતિ શૈલેષભાઈ ઉપાઘ્યાય, અમદાવાદ)

* સત્યનો જય ફક્ત ‘અંતે જ’ કેમ થાય છે ? વચમાં કે પ્રારંભમાં કેમ નહિ ?
- જુઠ્‌ઠાઓને ખુલ્લા પાડવા કુદરત તમને પૂરતો સમય આપવા માંગે છે, માટે.
(સાધના પી. નાણાવટી, જામનગર)

* રાષ્ટ્રહિત જોનારા સત્તા સુધી પહોંચતા નથી અને સત્તા સુધી પહોંચનારા રાષ્ટ્રહિત જોતા નથી. આવું કેમ ?
- એ એમનું ધૃતરાષ્ટ્રપણું.
(પલકભાઈ એમ. નાણાવટી, ઓખા)

* મંદિરોમાં આટલી ભીડ કેમ હોય છે ?
- પરમેશ્વરને બીજા કરતા હું વધારે ઉલ્લુ બનાવી શકું છું, એટલું સાબિત કરવાની દોડ.
(નૂતન શૈલેષ ભાવસાર, અમદાવાદ)

* પહેલાના જમાનામાં પોલીસો મોટી મૂછો રાખતા...હવેના ભાગ્યે જ રાખે છે. કેમ ?
- હવે ક્યાં મૂછ મઇડીને કંઈક કરી બતાવવું પડે, એવા કામો એમને સોંપાય છે ?
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

* આજકાલના સ્મશાનયાત્રા કે બેસણાઓમાંથી ગંભીરતા ઊડી ગઈ છે...કોઇ કારણ ?
- ધેટ્‌સ ફાઈન...હવે બેસણાઓમાં ક્રિકેટની જેમ ‘ચીયર્સ-ગર્લ્સ’ બોલાવવાનું સૂચન કરીશું. એક એક ડાધુ આવતો જાય, એમ એ બધી રૂમઝુમ કરતી નાચવા જ મંડે....!
(વ્રજબાળા એચ. પટેલ, દહેગામ)

* કોઈ તમને પૂછે, તમારે પત્ની અને બાળકો કેટલા ? તો શું જવાબ આપો છો ?
- એવો લત્તે લત્તે જુદો જવાબ આપવાનું મને ન પોસાય.
(મુનિરા એફ. બારીયાવાલા, ગોધરા)

* તમે કોઇના બેસણામાં જાઓ, તો ય લોકો હસતા હશે ને ?
- ‘‘આ હજી ગયો નથી....?’’ એમ મને જોઈને ઘણા હસી પડે છે ?
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* ઈશ્વર તો હરએકના હૃદયમાં બિરાજમાન છે, છતાં લોકો મંદિરોમાં કેમ જાય છે ?
- ઘરનો રસ્તો ભૂલેલાઓને મંદિરે જવું પડે.
(ડી.કે. માંડવીયા, પોરબંદર)

* કોઈને ભૂલી જવું, શું અઘરૂં હોય છે ?
- એનો આધાર તમે ઉધાર લીઘું છે કે આપ્યું છે, એના ઉપર છે.
(ધવલ એસ. દેવલૂક, પાલીતાણા)

* જાતે જ દલા તરવાડીની જેમ પોતાના પગાર/ભથ્થાં વધારી દેનાર મફતીયા સાંસદોને મોંઘવારી નડતી હશે ખરી ?
- મોટા ભાગે નહિ નડતી હોય, હોં ! હજી સુધી પાર્લામૅન્ટનું મકાન બારોબાર વેચી માર્યું નથી.... દેશની વાત જુદી છે !
(ઉષા શાહ, રાજકોટ)

* બાળકોની સ્કૂલમાં, ‘લટકતી લાશની આત્મકથા’ વિશે નિબંધ પૂછાય તો શું કરવું ?
- આમાં ઇમોશનલ ન થવાય. છોકરાઓને મોંઢેં બઘું સમજાવાય...જાતે કરી નહિ બતાવવાનું !
(ડૉ. અમિતા ચૌધરી, ભાવનગર)

* ગાંધીજીએ ત્રણ વાંદરાઓને કેમ પસંદ કર્યા ?
- ચોથાને તો એમણે વડાપ્રધાન ન બનાવ્યો ??
(કેવલ મોરડીયા, કમળેજ, ભાવનગર)

* કરોડોપતિ સસરાવાળા જમાઇઓને આપનો શો સંદેશ છે ?
- થાક્યા હો તો કહેવડાવજો.
(ચંદ્રેશ પી. પટેલ, ગાંધીનગર)

* લગ્ન મંડપમાં ચાર ફેરાનો રિવાજ કેમ હોય છે ?
- આ કોઈ ૧૦૦ મી.ની દોડ નથી...લગ્ન છે.
(જગદિશ ડી. બારૈયા, મેથળા/તળાજા)

* રાવણ મર્યો તે દિવસને ‘દશેરા’ના નામે ઉજવાય છે, પણ દુર્યોધનનો એવો દિવસ કેમ ઉજવવામાં આવતો નથી ?
- ઉજવાય છે...સૌજન્ય ખાતર નામ એનું સ્વર્ગસ્થ વડાપ્રધાનોની પૂણ્ય (?) તિથિનું આપીએ છીએ.
(મઘુકર પી. માંકડ, જામનગર)

* શું માનનીય ચીફ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી ‘ઍનકાઉન્ટર’ વાંચે છે ખરાં ?
- વાંચતા હશે.. પણ કોક કહેતું’તું કે, મારા લેખો કરતા એમને સોનિયાજીના પ્રવચનોથી વધારે હસવું આવે છે.
(દીપ્તી જી. શાહ, અમદાવાદ)

* ક્યારેય કોઈ રાજકારણીએ આત્મહત્યા કરી હોય એવું જાણમાં નથી...!
- એ કામ તેઓ પ્રજા ઉપર છોડે છે.
(તુલસીદાસ એન. કારીઆ, ઉપલેટા)

* પરચૂરણ ક્યાં ગૂમ થઈ ગયું ? દસ રૂપિયાનો સિક્કો તો દેખાતો પણ નથી ?
- બેન, હું તો હમણાં નડીયાદ બાજુ આવ્યો પણ નથી..!
(ખુશ્બુ વાહિદ, નડીયાદ)

* સુ.શ્રી જયલલિતાને જોઈને શું વિચારો છો ?
- The size does matter....!
(નિરંજન ડી. વૈષ્ણવ, જૂનાગઢ)

* આ કારમી મોંઘવારીમાં એક પતિથી ખર્ચાને પહોંચી વળાય એમ નથી. કોઈ ઉપાય ?
- તો તો કામને ય નહિ પહોંચી વળાતું હોય. કહો કે, બીજી લાવી દે.
(મણીબેન પટેલ, ઊંટડી)

* ઘણા લોકો સોનાની વીંટી પહેરેલો હાથ અવારનવાર બતાવે રાખે છે, એનું શું કારણ ?
- તમે નસીબદાર છો. અહીં તો પગમાં પહેરેલા વીંટા ય બતાવનારા પડ્યા છે !
(સીમા સલીમ, નડીયાદ)

No comments: