* આપણા ‘એન્કાઉન્ટર’ની સી.બી.આઈ. તપાસ ખરી ?
- એવી હિંમત એ લોકોમાં ન હોય. આપણામાં તો સી.બી.આઈ.નું ય એન્કાઉન્ટર થઈ જાય... હઓ !
(જયેશ અંતાણી, ભાવનગર)
* ગુલાબના ફૂલને કાંટા કેમ હોય છે ?
- કાંટો એક મરદ પતિ હોય છે, માટે.
(મુકુંદ એમ. સોની, બલોલ)
* મહિલાઓ પુરૂષોને એમની આંગળી પર નચાવે છે... શું કારણ ?
- નો વૅ... એ પોતાના કોઈપણ અંગ પર પુરૂષને નચાવી શકે છે.
(પ્રબોધ એમ. જાની, વસઈ-ડાભલા)
* વરના દોસ્તને ‘અણવર’ કેમ કહેવાય છે ?
- કેટલાક ‘જાનવર’ પણ કહે છે... ‘જાન’નો કૉમેડિયન...
(કિશોરી એમ. પરીખ, અમદાવાદ)
* ડિમ્પલ કાપડીયા તરફ તમે ‘બૉબી’ના એના ભોળપણથી આકર્ષાયા છો કે ‘જાંબાઝ’માં દેખાતી એની ઝાકમઝોળ કાયાથી ? નિખાલસતાથી કહેજો.
- નિખાલસતા મારે ફક્ત ડિમ્પુને બતાવવાની હોય.. તમને નહિ.
(ભરત આર. મહેતા, રાજકોટ)
* દુઃખી વહુઓ સાસરું છોડી કેમ દેતી નથી ?
- સાસરું એ રીક્ષા નથી, કે એક ગયું તો બીજું આવશે.
(નીલા નાણાવટી, રાજકોટ)
* ગુજરાતના મોટા ભાગના કૉલમિસ્ટો એક યા બીજી રીતે શ્રી મોરારી બાપુનો ઉલ્લેખ કેમ કરે છે ?
- બાપુ ઉલ્લેખ કરવા પાત્ર પ્રતિભા છે જ. એ વાત જુદી છે, બાપુ એમની કથામાં વળતા હુમલા તરીકે આ ભાઈઓનો પણ ઉલ્લેખ કરે, તો આ લોકોની લાઈફ બની જાય ને !
(કવન શાહ, અમદાવાદ)
* તમારો કોઈ પુરૂષ મિત્ર તમને ક્રૂઝમાં ફરવા લઈ જાય તો જાઓ ખરા ?
- પુરૂષ સાથે પિકનિક... ? ઉફફો... ! હું એક સંપૂર્ણ તંદુરસ્ત, ‘નોર્મલ’ અને સીધો માણસ છું, જઈ-જઈને પુરૂષ સાથે શું કામ જઉં ? આમાં તો મારી બા ય ખીજાય.
(પૂર્ણા સી. શાહ, વડોદરા)
* આપણા દેશના બેશરમ રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને સરકારી અમલદારોને એકસામટાં તડીપાર કરી દેવા જોઈએ, એવું તમને નથી લાગતું ?
- તમે ફક્ત અહિંસામાં માનો છો, એ મને ગમ્યું નથી.
(નાયબ સુબેદાર આશુતોષ ભટ્ટ, આગ્રા ફોર્ટ)
* યુવાનો લગ્ન કરવા આટલું બઘું જોશ કેમ બતાવે છે ?
- ... કેટલું બઘું... ?? કંઈ ખ્યાલ ના આયો !!
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)
* બુકાનીધારી છોકરીઓનો ચહેરો જોવો હોય તો શું કરવું ?
- તમારી બાને વાત કરવી કે એના ફાધરને વાત કરી જુએ.
(હિતેષ/અશ્વિન/વિજય/પ્રવિણ, રાજકોટ)
* અગાઉના જમાનામાં કોઈ એક ગાલે લાફો મારે, તો લોકો બીજો ધરતા... આજે એવુ છે ?
- મને એ બન્નેમાંથી એકે ય પદ્ધતિનો અનુભવ નથી... શું કહું ?
(મોના જગદિશ સોતા, મુંબઈ)
* આજના જમાનામાં ખોટું કરે અને ભોગવે બીજો... એનો કોઈ દાખલો ?
- એવી ફૂટપાથ પાછળ પણ કોકના ઘર હોય છે...!
(કપિલ સોતા, મુંબઈ)
* એક હતો રાજા ને એક હતી રાણી.. પણ પછી શું ?
- પ્લીઝ, મારા ફૅમિલીને લગતા અંગત સવાલો ન પૂછશો. અમે લોકો મઝામાં જ છીએ.
(રહીમ કે. જેસાણી, મીરા રોડ)
* મીસકૉલ કરીને મૂકી દેનારા ચાલુ માણસોના ઘરમાં આગ લાગે, ત્યારે ફાયરબ્રિગેડમાં ય મીસકૉલ મારીને મૂકી દેતા હશે ?
- એને ‘મીસ ફાયર’ કહેવાય.
(નૈષધ દેરાશ્રી, જામનગર)
* શું આંસુ નીકળ્યા પછી જ દુઃખ ધોવાય છે ?
- ના. ડૂંગળી સમારતા ય આંસુ નીકળે છે.
(ઝુલ્ફિકાર એ. રામપુરાવાલા, મુંબ્રા)
* વૃદ્ધાશ્રમો વધતા કેમ જાય છે ?
- અનાથાશ્રમો કરતાં વૃદ્ધાશ્રમો વધે, એ થોડું ઓછું દુઃખદ છે.
(ડી. કે. માંડવીયા, પોરબંદર)
* પરમ સત્ય અને સાચું સત્ય. આ બન્ને ભેદ છે, તો સત્ય શું છે ?
- સત્ય વાર્નિશ કરેલું ખાદીનું કબાટ છે, જેમાં મૂકેલો કાચનો આખલો રબ્બરની શ્વાસનળીમાંથી બહાર નીકળીને બહુ લેંચુ મારે છે, એટલે ભીંતે ચોંટેલી કિડનીએ જયપુરના મૅયરને કીઘું, ‘‘જાને સાલા વાંદરા... તારા ઘરમાં મા-બેન નથી...? ... સત્ય આ છે, બેન.. સત્ય આ છે !
(વસુબેન વ્યાસ, જૂનાગઢ)
* તમે કયા બાપુને માનો છો ?
- જે બાપુ મને માનતા હોય એમને.
(નરેશ પંડ્યા, ગાંધીનગર)
* પહેલો સગો પાડોશી... મતલબ ?
- કહેવતમાં ભૂલ છે. પહેલી સગી પડોસણ... એવું હતું.
(કાસમ કક્કલ, સિક્કા)
* એન્કાઉટરમાં સવાલ પૂછવાની મૂંઝવણ થાય છે. ઉપાય બતાવશો.
- જુઓ ભાઈ. તમારા ડૉક્ટરથી કાંઈ છુપાવવાનું ન હોય. જે થતું હોય તે કહી દેવાનું.
(શશિકાંત કે. શુકલ, અમદાવાદ)
* અબજો રૂપિયાનું કરી નાખનાર એ.રાજાને સજા ક્યારે થશે ?
- સજા ક્યારેય રાજાને ન થાય.. પ્રજાને થાય.
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)
* દુશ્મન ન કરે એવો વ્યવહાર દોસ્ત કરે તો શું કરવું જોઈએ, દાદુ ?
- દોસ્ત હશે તો એક દિવસ સત્ય સમજશે.
(પિનાકીન ઠાકોર, અમદાવાદ)
* નડિયાદના ઍડિશનલ જજના બંગલે ધોળે દિવસે ચોરી. આપની કમૅન્ટ ?
- ચોરોને ન્યાય કરતા નથી આવડતો, એ સાબિત થયું. Justice delayed is justice denied.
(સુફીયા મૅડમ, આણંદ)