Search This Blog

16/10/2011

ઍનકાઉન્ટર : 16-10-2011

* સાસુ-સસરાની સેવા કરવાનું સુખ કેવી સ્ત્રીને પ્રાપ્ત થાય ?
- પરણેલી સ્ત્રીને.
(શ્રીમતી મીના નાણાવટી, રાજકોટ)

* પતિ-પત્ની બન્ને બેવકુફ હોય તો ઘરનો નિર્ણય કોણે લેવો જોઈએ ?
- હજી સુધી સમગ્ર બ્રહ્માંડમાં મેં તો કોઈ બેવકુફ પત્ની જોઈ નથી.
(રવીન્દ્ર નાણાવટી, જામનગર)

* અન્ના હઝારેના ઉપવાસ પરથી આપણને શું શીખવા મળે ?
- રોજ ઘરનું જમીએ તો બહાર ઉપવાસ પર બેસવાના દહાડા આવે !
(યોગેશચંદ્ર ક. દલાલ, સુરત)

* આજના શિક્ષકોને આપનો કોઈ સંદેશ ?
- શિક્ષક આજના હોય કે હજાર વર્ષ પહેલાના, મારા માટે તેઓ હંમેશા પૂજનીય જ છે. એ લોકોને કોઈ સંદેશો આપવા જેટલો હું સમર્થ નથી. હું ગુજરાતભરના શિક્ષકોને મારા ફકત પ્રણામ મોકલી શકું.
(અજયસિંહ ચંપાવત, હિંમતનગર)

* હૅલમેટ વગર વાહન-ચાલકને દંડ અને ભ્રષ્ટ નેતાઓને કોઈ સજા કેમ નહિ?
- દિલ્હીમાં બેઠેલા બા ખીજાય...!
(કિરણ જી. વાઘેલા, અમદાવાદ)

* પરિણિત સ્ત્રી માટે સારા અને કુંવારી માટે ખરાબ સમાચાર કયા કહેવાય ?
- બન્ને માટે એક જ... ડોક્ટર ‘કોંગ્રેચ્યુલેશન્સ’ આપે ત્યારે !!!
(હાર્દિક જનક રાવલ, રાંધેજા)

* પરીક્ષામાં માર્કસ ઓછા આવવાથી હું નિરાશ થયો છું. કોઈ પ્રેરણા આપશો?
- સૉરી. આપેલી ચીજો પાછી આપવાની લોકો ભૂલી જાય છે.
(ધ્રૂવ પંચાસરા, વિરમગામ)

* આપણા દેશની આવી ખરાબ પરિસ્થિતિ માટે પંડિત જવાહરલાલ નહેરૂને જવાબદાર ગણાય કે કેમ ?
- તેઓ ગંગોત્રી હતા.
(ચંદ્રિકા અમીન, અમદાવાદ)

* અમેરિકામાં વસતા ભારતીયો પત્રમાં ‘જયભારત’ લખતા હશે કે ‘જય અમેરિકા’ ?
- મને જેટલા અમેરિકન કે ઇંગ્લિશ ગુજરાતીઓનો પરિચય છે એ બધા પ્રમાણમાં આપણાથી પણ વઘુ શુદ્ધ ભારતીયો છે !
(મઘુકર માંકડ, જામનગર)

* મારે તમારા ખાડીયા ઉપર પી.એચ.ડી. કરવું છે, તો સહયોગ આપશો ?
- મારું એસ.એસ.સી. પાસ (૫૨-ટકા)નું સર્ટિફિકેટ તમને બતાવી દઈશ.
(ચંદ્રકાંત જાની, જામનગર)

* ઉપવાસ જેવા શસ્ત્રથી ભ્રષ્ટાચાર નાબુદ થઈ શકે ખરો ?
- ત્યારે શું ? જુઓને... લોકો હાલી નીકળ્યા છે તે...!!
(ભાવેશ માધાણી, રાજકોટ)

* આપણી સરકાર કસાબ જેવા દુશ્મન પાછળ કેટલો ખર્ચો કરે છે ?
- મીંડા ગણવા માંડો. રૂા. ૫,૬૭,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦. આ આંકડા ‘ભેટવર્ક’માં આવી ગયા છે.
(નુપુર માંગુકિયા, વડોદરા)

* કુંવારા અને વાંઢામાં શું ફરક ?
- અટલજી અને રાહુલજી જેટલો.
(રમેશ આર. સુતરીયા, મુંબઈ)

* લગ્ન વખતે કન્યાના ચપ્પલ કેમ સંતાડાતા નથી ?
- લગ્નના બે-ત્રણ સપ્તાહ પછી એ જ ચપ્પલ ખાવાના કામમાં લેવા પડતા હોય છે.
(જી.એચ.પટેલ, અંકલેશ્વર)

* દેશમાંથી ભ્રષ્ટાચાર સાવ ખતમ થઈ જાય તો ભ્રષ્ટ લોકો પોતાના સંતાનોને ભણાવશે કઈ કમાણી ઉપર ?
- આ તો હાળું મેં વિચાર્યું જ નહોતું...!
(મૈત્રી હેમાંગ માંકડ, જામનગર)

* દરેક ભગવાન પાસે પોતાનું વાહન છે, પણ હનુમાનજી પાસે કેમ નહિ ?
- એ ચાલવા કરતા ઊડવામાં વઘુ માને છે અને વિમાનો ઊડે એના કરતા ખાબકે છે વધારે. એમ કંઈ હનુમાનજીને મુશ્કેલીમાં મૂકી દેવાય ?
(દિયા ડી. જોબનપુત્રા, ભુજ-કચ્છ)

* હવે જેલમાં કવિ સંમેલનો થાય છે. શું જે સજા ન્યાયાધિશોએ કેદીઓને ન આપી હોય, તે સજા આ રીતે ફટકારી શકાય ખરી ?
- વાંધો નહિ... એમાં કવિ કોણ ને કેદી કોણ, એની ક્યાં ખબર પડે છે ?
(સાધના પી. નાણાવટી, જામનગર)

* ઘરનાં નળીયાં તોડી નાંખે એવા નસકોરાં બોલાવતા લોકોથી બચવા કોઈ ઉપાય ખરો ?
- અહીંયા મકાનો પડી ગયા છે, તો ય અમે તો કાંઈ બોલતા નથી...!
(નૈષધ દેરાશ્રી, જામનગર)

* એક સપ્તાહ માટે ‘એન્કાઉન્ટર’ના જવાબો આપવાના રાઈટ્‌સ શું મને આપી શકો ? ખાત્રી આપું છું કે, તમારા રાઈટ્‌સનો કોઈ મિસયૂઝ નહિ થાય..!
- અરે ભ’ઈ, જવાબોના મીસયૂઝને કારણે તો આ કોલમ હજી સુધી ટકી ગઈ છે !
(શીતલ મિસ્ત્રી, ભરૂચ)

* બિલ ગેટ્‌સ કે વોરન બૂફે જેવા ધનાઢ્‌યો પોતાની ઘણી સંપત્તિ ગરીબ દેશોમાં દાન કરે છે... આપણા ઉદ્યોગપતિઓનું શું ?
- સ્વામીજી, દાન ઉપર ક્યાં સુધી દેશ ચલાવવો છે ?
(સ્વામી આનંદ સહજ, રાજકોટ)

* અમ્યુકો દ્વારા કૂતરાંની વસ્તીગણતરીનો પ્રારંભ થયો છે. આપનું કોઈ સૂચન?
- કૂતરાંઓને હું ડાયરેક્ટ કોઈ સૂચન કરી શકું, એટલા ઉજળા સંબંધો મારે એમની સાથે નથી.
(કીર્તિ બાંકોલા, થરા-બનાસકાંઠા)

* નારી અને સન્નારી વચ્ચે શું સામ્ય ?
- બન્ને નરની પેદાશ છે.
(સલમા મણીયાર, વીરમગામ)

* લગ્નના પ્રમાણપત્રમાં ‘ઍક્સપાયરી ડૅટ’ કેમ છપાતી નથી ?
- મરેલાને શું મારવો ...!
(જયેશ અંતાણી, ભાવનગર)

* ‘ધર્મ’ શબ્દનો અર્થ શું થાય ?
- પોતાનો ગધેડો આખા વિશ્વમાં સર્વશ્રેષ્ઠ છે, એવો પ્રચાર કરવાની છૂટ આપે તે.
(કાનજી એસ. ભદરૂ, ગોલગામ-બનાસકાંઠા)

No comments: