Search This Blog

30/10/2011

ઍનકાઉન્ટર : 30-10-2011

* લગ્નને પ્રભુતામાં પગલાં પાડ્યા કહેવાય,તો છુટાછેડાને ?
- ઊલટા પગલાં.
(એ. પી. પંચાસરા, રાજકોટ)

* પ્રેમી અને પાગલ વચ્ચે કોઈ તફાવત ?
- એ તફાવત પ્રેમી શોધી શકે... પાગલને નહિ ખબર પડે ! 
(‘રાજ’ રોહિત, લાંભવેલ) 

* અશોક દવે અને બિરબલ વચ્ચે કેટલો ફેર ?
- બિરબલને ફક્ત બાદશાહને ખુશ કરવાના હતા... મારે પ્રજાને ! 
(મંજુલા પરમાર, ગાંધીનગર) 

* રોજ ચા પીધા પછી તમે શર્ટ બગાડો છો, તો બા ખીજાતા નથી ?
- હવે તો સુધર્યો છું. પહેલાં તો ચા હું પીતો ને શર્ટ બીજાનું બગાડતો ! 
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ) 

* ત્રણ ગુજરાતી બિગ શોટ્‌સ, મયૂર માધવાણીને મુમતાઝ, અનિલ અંબાણીને ટીના મુનિમ અને જય મેહતાને જુહી ચાવલા મળી, તો તમને ડિમ્પલ કેમ ના મળી ?
- આવું સમાજ ડિમ્પલને સંભળાવે છે... ખન્નો ગબડ્યો... સની દેવલો ય વાવટા ફરકાવી ન શક્યો... અને હવે અશોકજી પણ...??? 
(પી. આર. નાણાવટી, જામનગર) 

* શું રૂપાળી છોકરી સાથે સગાઈ કરવામાં જોખમ કહેવાય ?
- એને મારે કહેવાય. 
(દીપ પરીખ, રાજકોટ) 

* ડૉકટર, વકીલ કે પોલીસ એમના યુનિફોર્મથી ઓળખાય, પણ લેખકને કેવી રીતે ઓળખવા ?
- એમના જેવી જ કૉલમ લખતા બીજા લેખકના વખાણ કરી જોવા... લેખક તો નહિ ઓળખાય, પણ એમાંનો ‘માણસ’ ઓળખાઈ જશે ! 
(મઘુકર પી. માંકડ, જામનગર) 

* હિસ્સારની પેટાચૂંટણીઓમાં કોંગ્રેસની બેરહેમીથી આવી ધોલાઈ...?
- કૉંગ્રેસે જે ઈજ્જત ભેગી કરી છે,એ પછી પોળ કે સોસાયટીની ચૂંટણીમાં એના આ જ હાલહવાલ થાય ! 
(પ્રશાંત મેહતા, સુરત) 

* રસ્તાઓ ઉપર ઢોરોનું સામ્રાજ્ય છે. શું કરવું જોઈએ ?
- ઢોરોએ બસ.. વિવેક રાખવો જોઈએ. 
(દેવેન્દ્ર એસ. શાહ, વડોદરા) 

* ઘરવાલી અને બાહરવાલી વચ્ચે શું ફેર ?
- ઘરવાળીમાં છોકરાનું નામ આપણે પાડવાનું હોય છે. 
(ચતુરભાઈ પોસ્ટમૅન, અંકલેશ્વર) 

* દિલની લાગણીઓ વેરાન થઈ ગઈ છે. ફરીથી વસંત મહેકાવવા શું કરવું ?
- રોજ છાતી ઉપર યુરીયાનું ખાતર નાંખીને સુઈ જાઓ. 
(સુમન વડુકુળ, રાજકોટ) 

* ઐશ્વર્યા રાય મમ્મી બને, ત્યારે હું કાંઈ મદદ કરી શકું, તેવી ઈચ્છા છે.
- એના ડૉકટરનું બિલ તમે ભરી દેજો. 
(શ્રીમતી ભારતી મહેશ, નડિયાદ) 

* ગોરધન શ્યામળો લાગતો હતો, પણ લગ્નના આટલા વર્ષો પછી શું ફરક પડે ?
- ‘શ્યામ રંગ સમીપે ન જાઉં...’ એ અમલ આટલા વર્ષો પછી શરૂ થાય તો ફરક પડે ! 
(ડો. પ્રવિણગિરી ગોસ્વામી, પોરબંદર) 

* ‘પતિ’ અને ‘પરમેશ્વર’ વચ્ચે શું તફાવત ?
- પરમેશ્વરને આખું ગામ અન્નકૂટ ધરાવે...! 
(શ્રીમતી જાગૃતિ ગોસ્વામી, પોરબંદર) 

* કોંગ્રેસને હવે આરામની જરૂર છે, એવું નથી લાગતું ?
- મુડદે કી જાન ખતરે મેં હૈ...! 
(મહેશ એસ. ચૌહાણ, કઠલાલ) 

* હવે લાલકૃષ્ણ અડવાણી ય પોતાને વડાપ્રધાનપદના ઉમેદવાર માને છે...!
- ઘો મરવાની થાય ત્યારે... 
(પન્ના વૈ. શાહ, અમદાવાદ) 

* ‘ફૂલડાં ડૂબી જાય છે ને પથરાં તરી જાય છે... એવું શીદ ને થાય છે ?’
- કવિતામાં એવું થાય, વિજ્ઞાનમાં ના થાય. 
(ગોધરા સબ જેલના કૈદીભાઈઓ, ગોધરા) 

* જ્યારથી ઍનકાઉન્ટર સ્પેશિયાલિસ્ટો જેલમાં બંધ છે, ત્યારથી ગુજરાતમાં આતંકવાદીઓ આવતા બંધ થઈ ગયા છે... શું કારણ ?
- નેટવર્ક પકડાતું નથી ! 
(નાઝનીન એ. સૈયદ, વડોદરા) 

* તમે નસીબમાં માનો છો ?
- ‘ઍનકાઉન્ટર’ જેવી કૉલમ પણ ચાલી... એટલે માનવા માંડ્યો છું. 
(હાર્દિક યતીશભાઈ પરીખ, સુરેન્દ્રનગર) 

* માણસ મૃત્યુ પામ્યો ક્યારે કહેવાય ?
- એને સ્મશાનમાં બાળી આવે ત્યારે. 
(સંઘ્યા ડી. પુરોહિત, અમદાવાદ) 

* ગયા શ્રાવણ માસમાં ૧૬- પોલીસકર્મીઓને જીલ્લા પોલીસવડાએ બાલદાઢી વધારવાની છૂટ આપી હતી... નેતાઓ માટે આવી કોઈ મંજૂરી જરૂરી નહિ ?
- એ લોકો મંજૂરી માંગે તો, પેલા ૧૬-જણાઓ માથે તોલું કરાવવાની નવી મંજૂરી માંગશે ! 
(જયશ્રી વી. દવે, ગાંધીધામ- કચ્છ) 

* આપ જામનગરને ખૂબ ચાહો છો.. કોઈ કારણ ?
- ત્યાંની સ્ત્રીઓને મારૂં લોહી બહું ભાવે છે...! 
(બાલુભાઈ જે. સંપટ, મુંબઈ) 

* ભ્રષ્ટાચારને જ શિષ્ટાચાર ગણી લેવાય તો ?
- હઓ.. મને વાંધો નથી. 
(સલમા મણીયાર, વીરમગામ) 

* આપની સાથે બદતમીઝીથી પેશ આવનાર સાથે આપ કેવો વ્યવહાર કરો છો ?
- પોરસ રાજાએ સિકંદર સાથે કર્યો હતો એવો ! 
(શ્રીમતી કરૂણા પટેલ, વડોદરા) 

* માના પગ નીચે જન્નત છે, તો બાપના પગ નીચે ?
- જન્નતની રખેવાળી. 
(ઝહેરા મુનિમ, નાસિક- મહારાષ્ટ્ર) 

* કવિ અખાએ લખ્યું હતું, ‘અમારા તો આટલા અંધારે ગયા, તમે આવા ડાહ્યા ક્યાંથી થયા ?’ આ તમારા સંદર્ભે લખાયું હોય, એવું નથી લાગતું ?
- સ્વ. ડાહ્યાલાલ દવે એમની દીકરી મારી સાથે પરણાવ્યા પછી સ્વયં અંધાર ગયા હતા, એટલી ખબર છે. 
(રણધીર દેસાઈ, સુરત) 

* તમને ક્યો પ્રશ્ન પૂછવો, તે વિચારતા ય સમય લાગે છે, તો જવાબ આપતા તમારી સ્થિતિ કેવી હોય છે ?
- જવાબો આપતી વખતે પૂછપરછની બારીએ બેઠો હોઉં, એવું લાગે છે ! 
(દેવાંગ વિભાકર, રાજકોટ)

No comments: