Search This Blog

13/11/2011

ઍનકાઉન્ટર : 13-11-2011

* ગીફ્‌ટ લઈ ગયા પછી એ લોકો, ‘આની શી જરૂર હતી ?’ એમ કહેતા હોય છે...!
- ‘આની ‘જ’ જરૂર હતી...!’
(લલિતા ઓઝા, જૂનાગઢ) 

* અગાઉ તો પુરૂષોને છાતી પર વાળ, મર્દાનગીનું પ્રતિક ગણાતા... હવે તો હોય એ ય કાઢી કેમ નાંખે છે ?
- છાતીના વાળને મર્દાનગી સાથે કોઈ લેવા-દેવા હોત, તો સૌથી વઘુ ‘મરદ’તો રીંછ ગણાતું હોત !
(મેહબૂબ ધાસુરા, જૂના ડીસા) 

* અનેક ક્ષેત્રના મોટા માણસોના કટાક્ષ ચિત્રો (કૅરીકૅચર્સ) જોવા મળે છે, પણ હાસ્યલેખકોના કેમ નહિ ?
- લાગે છે, તમે એકે ય હાસ્યલેખકને રૂબરૂ જોયા નથી.. અમે એકોએક દેખાવમાં ય કાર્ટુનો જેવા લાગીએ છીએ ! (એક મૅગેઝિને મારો ફોટો મંગાવ્યો હતો, મેં સ્ટુડિયોમાં પડાવીને અસલ ફોટો મોકલ્યો, તો સંપાદકનો જવાબ આવ્યો, ‘‘તમારી પાસે ફોટો મંગાવ્યો હતો, કૅરીકૅચર નહિ !’’)
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ) 

* અબજોનું કૌભાંડ કરનાર કનિમોરી શકલથી નિર્દોષ લાગે છે... સુઉં કિયો છો ?
- શકલથી તો હું ય બદમાશ લાગું છું...!
(જગદીશ રસિકલાલ શાહ, રાજકોટ) 

* ફિલિપીન્સની એક અનિતા અડવાણી સાથે કાકા (રાજેશ ખન્ના) પ્રેમમાં પડ્યા છે, તો હવે ડિમ્પલ ઑફિશીયલી એકલી પડી કે નહિ ?
- તે તમારે ક્યાં એને કામવાળી તરીકે બોલાવવી છે...!! (એને એટલે, અનિતાને..!)
(ખુશ્બુ નાણાવટી, રાજકોટ) 

* વાહન પર લીંબુ-મરચા બાંધવાથી પેટ્રોલની ઍવરેજ વઘુ આવે છે, એ વાત સાચી ?
- એ વાત સાચી હોત તો, દરેક કરકસીયો ગોરધન પોતાની પત્નીના ગળે લીંબુ-મરચા બાંધત !
(રમેશ આર. સુતરીયા, મુંબઈ) 

* કન્યાવિદાય વખતે કન્યાપક્ષ વાળા રડતા હોય છે, ત્યારે વરપક્ષવાળાઓ ફટાકડા કેમ ફોડતા હોય છે ?
- હા, તે વળી એમ કાંઈ મોંઘા ભાવનું દારૂખાનું ફેંકી દેવાય છે, કાંઈ...?
(મીનાઝબાનુ (મૌસમ) લિયાકતહુસેન મલેક, અમદાવાદ) 

* ઍલિઝાબેથ હર્લી અરૂણ નાયરની ના થઈ, તો શૅન વોર્નની ક્યાંથી થઈ રહેવાની છે ?
- ....એટલે જ પછી આપણે એમાં ના પડ્યા ને ?
(રેશ્મા વોરા, આણંદ) 

* તમારી દ્રષ્ટિએ વિશ્વની સૌથી ઉત્તમ અને પૂજનીય વ્યક્તિ કોણ છે ?
- આવો નાજુક સવાલ, એ જ વ્યક્તિને તો તમારાથી ન પૂછાય ને..!
(અસ્મા ખુશ્બુ, વડાલી) 

* કોઈપણ શુભ પ્રસંગે પાવૈયાઓ અચૂક હાજર થઈ જાય છે... મતલબ ?
- સામે ચાલીને આપણે એમને ત્યાં જઈએ તો કંઈ ના ન પાડે... એમની બાઓ કદી ખીજાય નહિ !
(મઘુકર પી. માંકડ, જામનગર) 

* પ્રધાનો લાડી અને ગાડી બબ્બે-ત્રણ ત્રણ કેમ રાખે છે ?
- બાકીની ચચ્ચાર-પાંચ પાંચ બીજા મિત્રોના સદુપયોગ માટે આપી હોય છે !
(ડૉ. દીપક સી. ભટ્ટ, બોડેલી) 

* ચક્ષુદાનની મોટી મોટી વાતોનો પ્રચાર કરવામાં આવે છે, પણ એ પછી કેટલા પ્રજ્ઞાચક્ષુઓ દેખતા થયા, એ કોઈ કહેતું નથી !
- એવું નથી. આમાં એવું હોય છે કે, તમારી ડાબી આંખે શું દાન કર્યું છે, એની જમણી આંખનેય ખબર પડવી ન જોઈએ, એ જ સાચું દાન.
(મહેન્દ્ર જે. ગાંધી, સુરેન્દ્રનગર) 

* ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાં સમગ્ર દેશના સાઘુ-સંતો જોડાઈ જાય તો પરિણામ સારૂં આવે કે નહિ ?
- ભક્તોના પૈસે જેણે પોતે પૈસા બનાવ્યા ન હોય, એવા એક માત્ર સાઘુ કે સંતનું નામ આપો...
(વંદિત નાણાવટી, રાજકોટ) 

* દેશની ચિંતા ડૉ. મનમોહનસિંઘ કરતા અન્ના હજારેને વધારે છે, એવું તમને નથી લાગતું ?
- એક ડોહા તો અમથા ય મૌની બાબા ઓછા હતા, તે બીજાએ ય લેવા-દેવા વગરના મૌનો રાખ્યા..! ‘અલ્લાહ બચાયે નૌજવાનોં સે...!’
(ઈલ્યાસ તરવાડી, ચલાલા) 

* સ્વ. કે. એલ. સાયગલના ગીતો સાંભળવાથી મને સ્વર્ગના સુખનો અનુભવ થાય છે. આપનો અભિપ્રાય ?
- સૉરી... હજી ૧૫-૨૦ વર્ષો સુધી મારા માટે અમદાવાદના નારણપુરાના સુખનો અનુભવ કાફી છે.
(મથુરદાસ સોની, ચૅન્નઈ-તમિલનાડુ) 

* બજારમાં હવે મોટે ભાગે ‘ડિસ્પોઝેબલ’ ચીજવસ્તુઓ આવી રહી છે... સુઉં કિયો છો ?
- હા. શરૂઆત ઘરડાં મા-બાપથી થઈ...!
(પ્રબોધ જાની, વસાઈ-ડાભલા) 

* તમને પેટ પકડીને કોણ હસાવી શકે છે ?
- બહાર મહેશ શાસ્ત્રી અને ઘેર હકી.
(અનીલા મેહતા, ભાવનગર) 

* માણસ મરી ગયા પછી બેસણાંમાં એનો ફોટો, દીવો, અગરબત્તી અને ભજન-કિર્તન થાય છે... એનો શું અર્થ ?
- જીવતો હોય ત્યારે એ જ્યાં જ્યાં જાય, ત્યાં એના ઘરવાળાઓ ‘રામે રામ..ઓ...’ બોલતા બોલતા એનો ફોટો, દીવો, અગરબત્તી અને ભજન-મંડળી સાથે રાખી રાખીને તો ન ફરી શકે ને ? એના ગયા પહેલા આ બઘું કરીએ, તો બા કેવા ખીજાય...?
(હસમુખ બી. ઠક્કર, કરજણ) 

* મહાભારતના યુદ્ધમાં સો કૌરવો માર્યા ગયા, પરંતુ શકુનિનું શું થયું ?
- હું ત્યાં હાજર હતો, તે મને ખબર ખબર હોય....???
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ) 

* તમે ગુસ્સામાં આવી જઈને હકીભાભી ઉપર કદી હાથ ઉપાડ્યો છે ખરો ?
- જીભે ય ઉપાડી નથી...!
(મહિન્તા મિલન ત્રિવેદી, જામનગર) 

* ‘ઍનકાઉન્ટર’ની તોતિંગ સફળતાનું રહસ્ય, બા ખીજાય એમ ન હોય તો કહેશો ?
- હું ને બા ઘરમાં ભાગ્યે જ બોલીએ છીએ, એ કદાચ એક કારણ હોય !
(રત્નાકર નાગર, બોટાદ) 

* દારૂબંધી દૂર થાય તો વધારે દુઃખી કોણ થાય ?
- અફ કૉર્સ હું...! દારૂબંધીના પ્રચાર માટે પ્રવચનો કરવાના મને ઢેર સારા રૂપિયા મળે છે. એ બંધ થઈ જાય, ભ’ઈ !
(હારૂન ખત્રી, જામ ખંભાળીયા) 

* સાળીને અડધી ઘરવાળી કહેવાય તો પ્રેમિકાને ?
- પરણેલા પુરૂષો પ્રેમિકાને જાહેરમાં ‘બહેન’ કહે છે અને પ્રેમિકા ય પરણેલી હોય તો, ‘આઘી-બાઘી’ નહિ, આખી ‘ભાભી’ કહે છે.
(ભાવેશ માધાણી, રાજકોટ) 

No comments: