ફિલ્મ : 'હમારી યાદ આયેગી' (૬૧)
સંગીત : સ્નેહલ ભાટકર
ગીતો-વાર્તા : કેદાર શર્મા
ફિલ્મની લંબાઇ : ૧૬ રીલ્સ
કલાકારો : તનૂજા, અશોક, માધવી, અનંતકુમાર, આર. દુબે, સુજાતા, વિજય એમ., શિવરાજ
ગીતો
૧. ફરિશ્તોં કી નગરી મેં
મૈં આ ગયા હૂં... મૂકેશ, મુબારક બેગમ
૨. કભી તો પૂરા તોલ
પ્રાણી... મુબારક બેગમ અને અન્ય
૩. દિલ તોડ કે જાના હૈ તો
કલ હી ચલે જઇયો... સુમન કલ્યાણપુર
૪. સોચતા હૂં મૈં ક્યા, યે ક્યા કિયા મૈંને...
લતા-મૂકેશ
૫. જવાં મુહબ્બત હસિન આંખો
મેં કિસ લિયે... લતા-મૂકેશ
૬. છેલ છબિલા છોકરા મુઝે લિ
ગયા નદિયા પાર... સુમન-રફી
૭. કભી તન્હાઇયોં મેં યૂં, હમારી યાદ આયેગી... મુબારક
બેગમ
૮. આંખોં મેં તેરી યાદ લિયે
જા રહા હૂં મૈં... મૂકેશ
અમદાવાદના રેલવે સ્ટેશનની
સામે અલંકાર સિનેમા હતું, ત્યાં આજે કોઇ માર્કેટ-બાર્કેટ જેવું બની ગયું છે, પણ '૬૦ની સાલમાં થીયેટરના નવા
રૂપરંગ સાથે ફિલ્મ 'જંગલી' આવ્યું, તે પહેલા... સમજો ને, કોઇ '૫૮-'૫૯ની સાલમાં અમે હોઇશું કોઇ ૬-૭ વર્ષના, એટલે જૂની અલંકાર ટૉકીઝમાં
(એની ય પહેલા મોટે ભાગે તો એનું નામ 'સરસ્વતિ ટૉકીઝ' હતું... મૅમરી-લૉસ કરવાની મને છુટ્ટી...!!!) પહેલા અમે બાળકો માટે
કેદાર શર્માની ટચુકડી (આજની ભાષામાં ૨૦ -૨૦ ક્રિકેટ મૅચો જેવી) બાળકો માટે ખાસ
બનાવેલી ફિલ્મ 'જલદીપ', 'હરિયા' અને 'સ્કાઉટ-કૅમ્પ'... કૅન યૂ બીલિવ...? ફક્ત રૂ. ૦.૨૫ પૈસાની ટિકીટમાં જોવા મળતી. આ ત્રણે ફિલ્મો થોડી ઘણી
નહિ, ઘણી-ઘણી
હજી ય યાદ છે. ખાસ તો એ ફિલ્મોનો હીરો સંસારનું સર્વશ્રેષ્ઠ નામ જીતી લાવ્યો હતો, ''અશોક'' (અહીં તમે સૌજન્ય ખાતર, આ વાંચતા વાંચતા ઊભા થઇને
તાળીઓ દ્વારા અભિવાદન કરી શકો છો...!) આ અશોક શર્મા કેદાર શર્માનો દીકરો હતો. ઘણો
હૅન્ડસમ અને રૂપકડો. થોડો મોટો થયો એટલે એના ડૅડીએ નૂતનની નાની બહેન તનૂજાને લઇને
પહેલી ફિલ્મ બનાવી, તે આ.... 'હમારી યાદ આયેગી'.
ધેટ્સ ફાઇન... ફિલ્મની વાતો
પછી કરીશું, પહેલા કેદાર શર્મા (૧૨ April ૧૯૧૦ - ૨૯ April ૧૯૯૯)ની વાતો વાંચવામાં ય પડતી મૂકાય નહિ, એવી રંગતભરી છે. એક તો, આ માણસનો બહુ મોટો આભાર
માનવો પડે, એણે ફિલ્મો દ્વારા આપણને જે કાંઇ આપ્યું છે, એ માટે. ઠેઠ કે.એલ. સાયગલના
જમાનામાં અભિનેતા, દિગ્દર્શક, ગીતકાર રહી ચૂકેલા કેદાર શર્માએ રાજ કપૂર, મધુબાલા, ગીતા બાલી, પેલી ખૂબ સુંદર-સુંદર ઝેબ
રહેમાન (પ્રીતિબાલા), સંગીતકારો રોશન અને સ્નેહલ ભાટકરની ભેટ એમણે આપી છે. સૈગલના તમે ચાહક
હો તો એમના મુલ્કમશહૂર ગીતો, 'બાલમ આયે બસો મોરે મન મેં', 'દુઃખ કે અબ દિન બીતત નાહી' કેદારનાથ શર્માએ લખેલા હતા. ફિલ્મ 'બાવરે નૈન'ના તો એકેક ગીત તમને કંઠસ્થ
છે, એટલે 'તેરી દુનિયા મેં દિલ લગતા
નહિ, વાપસ
બુલા લે'થી માંડીને અશોકકુમાર-મીનાકુમારી-પ્રદીપકુમારવાળી ફિલ્મ 'ચિત્રલેખા' સુધીની કેદાર-સફર મનોહર
હતી. એ પણ જોવાની બાદશાહત છે કે, પોતે આવા અર્થપૂર્ણ ગીતકાર હોવા છતાં, 'ચિત્રલેખા'ના ગીતો શુધ્ધ હિંદીમાં
હોવા છતાં સાહિર લુધિયાનવી ઉપર વિશ્વાસ રાખીને સાહિર પાસે લખાવ્યા... અને, ભા'...આય...ભા'...આય'.... 'યે પાપ હૈ ક્યા યે પૂન્ય હૈ
ક્યા, રીતોં પર ધર્મ કી મોહરેં હૈં. ઈસ લોક મેં ભી અપના ન સકે, ઉસ લોક મેં ભી ક્યા
પાઓગે..!' જેવી સુંદર રચનાઓ સાહિરે લખી છે.
ફિલ્મવાળાઓની આદત મુજબ, હીરો હોય કે દિગ્દર્શક, મજબુત બનાવટની, આકર્ષક અને ટકાઉ હીરોઇનોના
પ્રેમોમાં પડવું જ પડે... ના પડે તો, હીરોઇનોની બાઓ ખીજાય એટલે પરંપરા તૂટે નહિ એ ખાતર મૂળ છોકરી જેવો
અવાજ અને શરીર ધરાવતા કેદાર શર્મા ગીતા બાલીના પ્રેમમાં પડી ગયા. (ગીતામાં અક્કલ
હતી, એટલે પછી
તો એ શમ્મી કપૂરને પરણી, એ તમે જાણો છો.) ગીતા બાલીને પણ પ્રેમમાં ઘસડી લાવવા માટે પહેલી વાર
કેદારે જ ફિલ્મ 'સુહાગન'માં એને હીરોઇન બનાવી. આ ફિલ્મ મારા ઘેર પડી છે... અને કેદાર શર્માના
સોગંદ... પૂરી ૨૦ મીનિટ પણ જોઇ ન શકાય, એવી કન્ડમ ફિલ્મ છે.
ઇન ફૅક્ટ, કન્ડમ ફિલ્મો જ બનાવવાની
કેદાર શર્માને સૉલ્લિડ ફાવટ આવી ગઇ હતી. ઇવન ભલે રાજ કપૂરને પહેલી વાર હીરો તરીકે
એમણે જ 'નીલકમલ'માં ચમકાવ્યો- આ આપણી મધુબાલા સાથે, પણ ફિલ્મ એક ત્રાસ હતી. મેં
જોઇ છે એટલે કહું છું. એટલે પોતાના દીકરાનું ભવિષ્ય બનાવવા એમણે 'હમારી યાદ આયેગી' બનાવી, જે સૌથી વધુ કન્ડમ હતી, એમાં મેં નવું શું કીધું? આ તો એક વાત થાય છે. પણ, પણ... પણ મૂળ મધુબાલામાં ન
ફાવ્યા તો ગીતા બાલીમાં રોકાણ કરી જોયું, ત્યાં ય અરજી પાછી આવી એટલે પોતે બનાવેલી ફિલ્મોમાં હીરો ચારે બાજુથી
રીજૅક્ટ થતો હોય, એ વાત બધી વાર્તાઓમાં કૉમન રહી. મોટે ભાગે, પરણેલો પુરૂષ બહારના
રોકાણોમાં નિષ્ફળ જાય, ત્યારે બહુ ધુંધવાતો હોય, દુઃખી દુઃખી થઇને ફરતો હોય, લેંઘાનું નાડૂં ય ફીટ ના બાંધ્યું હોય અને સલૂનમાં ગયા પછી ય ભૂલી
જાય કે, દાઢી મારે કરાવવાની છે કે બીજા કોઇની કરી આલવાની છે...! લેખનો આ
હિસ્સો આત્મકથાનો ભાગ નથી, પણ લગ્ન માટે કૂંવારાઓ બાબતે કહેવાય છે કે, 'લગ્ન ના કર્યા હોય પણ
જાનમાં તો ગયા હોઇએ ને...?' એમ અમે કાંઇ કર્યું ન હોય, પણ બીજાઓને જોઇને જીવો તો બાળ્યા હોય ને...? આ તો એક વાત થાય છે!)
એટલે કેદારનાથ શર્માની
પર્સનલ નિષ્ફળતાઓ એમની ફિલ્મોમાં ડોકાતી હતી એટલે એમણે જે આત્મકથા લખી, એનું ટાઇટલ બહુ સૂચક રાખ્યું
The One And Lonely, KIDAR SHARMA.
એમનો પુત્ર અશોક સ્માર્ટ
અને હૅન્ડસમ બેશક હતો, પણ હીરો-મટીરિયલ નહતો, એટલે ફક્ત ઘરમાં જ ચાલ્યો. તનૂજાને પણ હીરોઇન તરીકે આ પહેલો બ્રેક
મળી રહ્યો હતો. આજે આ ફિલ્મ જુઓ તો, તનૂ માટે રીસ્પૅક્ટ થાય કે, સાવ કૂમળી વયની હોવા છતાં ઍક્ટિંગ એને માટે સાવ સાહજીક હતી. મમ્મી
શોભના સમર્થ હોય અને સગી બહેન નૂતન હોય, પછી સુપુત્રી કાજોલ જેવી હરકોઇ ઍન્ગલથી બેનમૂન અભિનેત્રી બને, એમં આશ્ચર્યો ફક્ત સુખદ જ
થાય. આજ સુધીની તમામ હીરોઇનોમાં ગીતા બાલી અને તનૂજાની બરોબરીની બીજી કોઇ હીરોઇન
આવી હોય તો એક માત્ર કાજોલ જ.
બાકી તો ફિલ્મ 'હમારી યાદ આયેગી'માં બીજી ય એક સાઇડ-હીરોઇન
હતી, માધવી.
ફાલતુ ઍક્ટ્રેસ હોવાને કારણે ક્યાંય ચાલી નહિ અને છેવટે ભપ્પી સોની નામના
દિગ્દર્શક સાથે થૂઇ-થપ્પા કરી લીધા, એટલે કે પરણી લીધું. આમ તો, આ ભપ્પી સોની ય એક જમાનામાં સફળ નામ હતું, ખાસ કરીને શમ્મી કપૂરવાળી
ફિલ્મ 'બ્રહ્મચારી' એમણે બનાવી હતી. એ પહેલા ય શમ્મી સાથે જ 'જાનવર' (જેમાં
પોપટલાલ-રાજેન્દ્રનાથની પ્રેમિકા આ માધવી બને છે!), 'જવાં મુહબ્બત' અને ધર્મેન્દ્ર સાથે 'તુમ હંસિ, મૈં જવાં', 'પ્યાર હી પ્યાર' અને 'ઝીલ કે ઉસ પાર' બનાવી. જેમાં રફી સાહેબનું
મારૃં લાકડું ગીત 'ચાંદની રાત મેં યૂં દિલ કો ચુરા કે તો ન જા' શશી કપૂર પર ફિલ્માયું
હતું... ભલે કલ્યાણજી-આણંદજીએ બનાવ્યું હોય...! પણ એક ઘણી સારી કૉમેડી 'એક ફૂલ ચાર કાંટે' (સુનિલ-વહિદા) પણ ભપ્પી
સોનીની જ દેન છે.
ભપ્પી સોની અને માધવીની સુપુત્રી
'સાગરિકા
સોની' જાણીતી મૉડેલ છે.
આ કૉલમમાં આપણે 'હમારી યાદ આયેગી'ને બંડલ ફિલ્મ કહી દીધી અને
અગાઉ પણ આવી ફાલતુ ફિલ્મો વિશે લખીએ છીએ, તો પ્રશ્ન થાય કે જાણવા છતાં આવી ફિલ્મો વિશે લખવાનો ઈરાદો શું?
ઘણીવાર આપણને જોર ચઢે છે
બંડલ ફિલ્મોના બેનમૂન સંગીત અને ગીતોથી. આ લો ને... અત્યારે પૅપર ફોડી દીધું કે, 'હમારી યાદ આયેગી' ફાલતું ફિલમ જ હતી, છતાં ય એ જ ફિલ્મના ગીતો
જરી યાદ તો કરી જુઓ...! ઉપર લખેલા છે, એટલે રીપિટ નથી કરતો, પણ પૂરી સાનભાન સાથે કહી રહ્યો છું કે, મેં સાંભળેલું આજ સુધીનું
સર્વોત્તમ ગીત આ ફિલ્મનું મૂકેશજીએ ગાયેલું, 'ફરિશ્તોં કી નગરી મેં મૈં આ
ગયા હૂં...' છે. અફ કૉર્સ, મારી પસંદ-નાપસંદ સાથે વાચકોને લેવા-દેવા ન હોય, પણ આ ગીત હું કદી ય સાંભળતો
એટલા માટે નથી કે મારે એનો ચાર્મ બરકરાર રાખવાનો છે. ઘરમાં તો વર્ષોથી ડાયમંડ
નૅકલેસની માફક સચવાયેલું પડયું હોય, પણ આ સમજ મારી છે કે, મને ખૂબ જ ગમતા ગીતો સાંભળવાના જ નહિ... સિવાય કે, મન બહુ ભરાઇ આવ્યું હોય
ત્યારે એકાદ વાર સાંભળી લેવાથી વર્ષો જૂનો ઊભરો બહાર નીકળી જાય. સંગીતકાર સ્નેહલ
ભાટકરને મૂકેશ ખૂબ ગમતો હતો, એટલે એમની ફિલ્મોમાં ક્યાંક તો મૂકેશ હોય જ... ઇવન, વર્ષો પહેલાની એમની ફિલ્મ 'ઠેસ'માં મુહમ્મદ રફી સાથે
મૂકેશનું યુગલ ગીત 'બાત તો કુછ ભી નહિ, દિલ હૈ કે ભર આયા હૈ..' તો જેણે સાંભળ્યું હોય, એને માટે સિંહાસન સાતમા આસમાને મૂકાવવું પડે. ઇવન આ ફિલ્મ હમારી યાદ
આયેલી'માં પણ લતા સાથેનું યુગલ ગીત, 'સોચતા હું યે ક્યા...'માં મૂકેશ કેવી જમાવટો કરે છે!
સંપૂર્ણ ગાંધીવાદી સંગીતકાર સ્નેહલ ભાટકરે પૂરી કરિયરમાં સંગીત તો ફક્ત ૧૯
ફિલ્મોમાં જ આપ્યું છે અને ખાસ કાંઇ સફળ બી નહોતા, પણ કેદાર શર્માની જ ફિલ્મ 'ફરિયાદ'ના ગીતો આલા-દરજ્જાના હતા
કે નહિ? પેલું ઝગડમ-ઝગડીવાળું મહેન્દ્ર કપૂર-સુમન કલ્યાણપુરવાળું, 'વો દેખો દેખા દેખ રહા થા
પપીહા... પપીહા... પપીહા... પપીહા... પપીહા... પપીહા'વાળું ગીત, સુમનનું જ 'હાલે દિલ ઉનકો સુનાના થા, સુનાયા ન ગયા' અને રફી-સુમનનું 'તેરે દમ સે મેરી મેરે મેરે
તેરે દમ સે તેરી જીંદગાની... જીંદગાની... જીંદગાની'વાળું ગીત. સ્નેહલે તો
સ્વયં નૂતન પાસે અને હેમંતકુમાર પાસે ફિલ્મ 'છબિલી'માં કેવા મધુરા ગીતો
ગવડાવ્યા હતા, 'લહેરોં પે લહેર, ઉલ્ફત હૈ જવાં...'
અગાઉ ફિલ્મનું નામ 'જવાં મુહબ્બત' રાખવામાં આવ્યું હતું અને
ફિલ્મના બે-ત્રણ ગીતોની ૭૮ rpm રૅકોર્ડ્સ્ એ નામે જ બહાર પડી હતી. પછી મુબારક બેગમનું ગીત 'કભી તન્હાઇયોં મેં યૂં, હમારી યાદ આયેગી...'ના રીહર્સલો થતા હતા, ત્યારે સંગીતકાર સ્નેહલ
ભાટકર અને નિર્માતા કેદાર શર્માને ખ્યાલ આવી ગયો હતો કે, આ ગીત સુપરહિટ જવાનું તય
છે. ત્યાં સુધીમાં ફિલ્મ 'જવાં મુહબ્બત'ને નામે રૅકોર્ડ્સ ભલે બહાર પડી ગઇ... બાકીના ગીતોમાં ફિલ્મનું હવે
બદલેલું નવું નામ, 'હમારી યાદ આયેગી' જ રાખીશું.
સ્નેહલનો છોકરો રમેશ ભાટકર
અગાઉ 'કમાન્ડો' કે એવા કોઇ નામ વાળી ટીવી-સીરિયલમાં આવતો હતો.
અમોલ પાલેકર ફૌજી ભાઇયોં કા
વિશેષ જયમાલા કાર્યક્રમમાં આવ્યો ત્યારે એક રસિક વાત કરતો ગયો હતો કે, નાનપણથી રેડિયો ઉપર ફિલ્મી
ગીતોમાં સંગીતકાર સ્નેહલ નામ સાંભળું, એટલે એ કોક સુંદર સ્ત્રી હશે, એમ સમજીને મનોમન એમના
પ્રેમમાં પડી ગયો હતો, પછી ખબર પડી એટલે...!
ઇન ફૅક્ટ, સ્નેહલ એમની દીકરીનું નામ છે.
એમનું પોતાનું નામ તો વાસુદેવ ભાટકર હતું, એટલે કેદાર શર્માએ બનાવેલી
રાજ કપૂર-મધુબાલાવાળી ફિલ્મ 'નીલકમલ'માં ભાટકરનો 'બી' લઇને સંગીતકાર તરીકે નામ, 'બી. વાસુદેવ' રાખ્યું હતું. એ ફિલ્મમાં આપણા ગુજરાતી ગાયક નીનુ મજુમદાર અને અનિલ
બિશ્વાસના બીજી વારના ઘરવાળા અને ગાયિકા મીના કપૂર પાસે જે ભજન ગવડાવ્યું, ''આઇ ગોરી રાધિકા, બ્રીજ મેં બલખાતી, બલી બલી જાઉં, ક્રિશન કન્હાઇ...'' એના રાગ-ઢાળ સાથે રાજ કપૂરે
પૂરેપૂરૃં 'સત્યમ શિવમ સુંદરમ'માં ઉઠાવીને મૂકી દીધું હતું. હવે 'યશોમતિ મૈયા સે પૂછે
નંદલાલા...'ના રાગમાં આ 'આઇ ગોરી રાધિકા...' ગાઓ, એટલે તમે વગર સાંભળે ૭૦ વર્ષ પહેલાનું ગીત પરફૅક્ટ ગાયું કહેવાય!
ફિલ્મ વિશે બહુ કાંઇ વાત
કરવા જેવી નથી. કેદાર શર્માનું નામ બહુ ફખ્ર સાથે ભંગાર ડાયરેકટરોના લિસ્ટમાં
મૂકાય. બ્લૅક-ઍન્ડ-વ્હાઇટ ફિલ્મો બનાવતા હોવા છતાં એમને લાઇટિંગ કે કૅમેરાના 'ટૅકિંગ'નું બહુ ભાન પડતું હોય, એવું તો ક્યાંય દેખાતું
નથી. કૅમેરા એક જ સ્થાને યથાવત રહે, ફિલ્મના પડદે ગાનાર હીરો-હીરોઇન ફ્રૅમમાંથી બહાર નીકળ્યા વગર આખું
ગીત પૂરૂં કરી લે, એવું તો સંવાદોમાં ય અનેક ઠેકાણે બન્યું છે. પોતાની ફિલ્મોમાં પોતાનો
પર્સનલ-ટચ આપો, એમાં તો ખુદ રાજ કપૂરે ય નિષ્ફળ ગયો હતો, ત્યાં આ લોકો તો બિચારા
કેટલું દોડે? કાઢવો જ હોય તો એક સારો ગુણ નીકળે કે, કેદાર શર્માને વાર્તા કહેતા
સરસ આવડતી હતી, એટલે ફિલ્મ જોતી વખતે બહુ સરળતાથી વાર્તાનો ફ્લો વહે રાખે... ક્યાંય
કશો ગુંચવાડો નહિ, એટલે ફિલ્મ જોવાનો કંટાળો સહેજ પણ ન આવે.
No comments:
Post a Comment