Search This Blog

24/01/2014

'એક ફૂલ, ચાર કાંટે' ('૬૦)

ફિલ્મ : 'એક ફૂલ, ચાર કાંટે' ('૬૦)
નિર્માતા : પર્વત ફિલ્મ્સ
નિર્દેશક : ભપ્પી સોની
સંગીત : શંકર-જયકિશન
ગીતો : શૈલેન્દ્ર-હસરત
રનિંગ ટાઈમ : ૧૭ રીલ્સ
થીયેટર : પ્રકાશ ટોકીઝ (અમદાવાદ)
કલાકારો : સુનિલ દત્ત, વહિદા રહેમાન, જ્હોની વૉકર, ધુમાલ, ડેવિડ અબ્રાહમ, રાશિદ ખાન, વીર સખૂજા, મુમતાઝ બેગમ, ટુનટુન, મોહન ચોટી, કૃષ્ણ ધવન, કન્હૈયાલાલ, ઈકબાલસિંઘ.


ગીતો
૧. સમ્હલ કે કરના, જો ભી કરના પાંવ લચક ના જાયે... - મુકેશ
૨. બનવારી રે જીને કા સહારા તેરે નામ રે, મુઝે... - લતા મંગેશકર
૩. તીરછી નજર સે યૂં ન દેખ પલટ કે... - મુહમ્મદ રફી
૪. ઓ બોમ્બે શૅલ... ઓ બેબી ઓફ બોમ્બે... - ઈકબાલ સિંઘ
૫. દિલ એ દિલ બહારોં સે મિલ, સિતારોં સે... - લતા-તલત મેહમૂદ
૬. મતવાલી નાર ઠૂમક ઠૂમક ચલી જાય, ઇન કદમોં પે... - મૂકેશ
૭. ઓ મેરી બેબી ડોલ, હાં યા ના કર... - મુહમ્મદ રફી
૮. સોચ રહી થી કહું ન કહું, પર આજ કહુંગી... - લતા મંગેશકર
૯. આંખો મેં રંગ ક્યું આયા, બોલો નશા સા... - લતા મંગેશકર-મૂકેશ

૧૯૬૦માં સફળતાપૂર્વક બનેલી આ ફિલ્મ 'એક ફૂલ ચાર કાંટે'ની બેઠી નકલ આપણા ડેવિડ ધવને સલમાન ખાન અને કરિશ્માકપૂરને લઇને 'દુલ્હન હમ લે જાયેંગે' બનાવીને પોતાનો મોક્ષ કર્યો. અહીંના ચાર કાંટાઓ જહૉની વૉકર, ડેવિડ, રાશિદખાન અને ધુમાલને બદલે આ લોકોએ અનુપમ ખેર, ઓમપુરી અને પરેશ રાવલને લીધા હતા. પેલી આજે ૫૩ વર્ષો પછી ય ગીતો સાથે સહુને યાદ છે, જ્યારે ડેવિડ ધવનવાળી ફિલ્મ કોઇને યાદ પણ રહી નથી. (ડેવિડ ધવન જૂના ફિલ્મ હીરો અનિલ ધવન ('ચેતના'વાળા)નો સગો ભાઈ થાય.)

ખાસ વાત એ હતી કે, 'એક ફૂલ ચાર કાંટે'ની સ્ટાર કાસ્ટ ઉપરાંત દિગ્દર્શક ભપ્પી સોનીની માવજત મોટું કામ કરી ગઈ, (આ ભપ્પી સોની એટલે ફિલ્મ 'જાનવર'માં રાજેન્દ્રનાથની પ્રેમિકા બને છે, તે માધવીનો પતિ) પણ સરીયામ તમામ ગીતો સુપરહિટ આપવા માટે મશહૂર શંકર-જયકિશન અહીં ૨૦ ટકા જ સફળ થયા હોવા છતાં બે ગીતો એવા બનાવતા ગયા કે, ફિલ્મ આજે પણ શંકર-જયકિશનના નામથી ઓળખાય છે. કેટલાક નિરાશોએ આ ફિલ્મને શંકર-જયકિશનના પતનની શરૂઆત ગણાવી હતી, એ ગલત છે. કબુલ કે, આ ફિલ્મમાં બે જ ગીતો એમના નામને લાયક હતા, 'બનવારી રે' અને 'મતવાલી નાર'. મૂકેશ બહુ ગમતો હોય એવાને જ લતા સાથેનું 'આંખો મેં રંગ ક્યુ. આયા...' યાદ હોય, પણ આ બન્ને ગ્રેટ મ્યુઝિક-ડાયરેકટરોની '૬૦ પછીની ફિલ્મોગ્રાફી તપાસો તો ચોંકી જવાય એવું છે કે, '૭૦ના અંત સુધી આ લોકોએ સાતત્ય જાળવી રાખ્યું હતું.

મૂકેશનું 'મતવાલી નાર ઠૂમક ઠૂમક ચલી જાય...' બે-ત્રણ વાતે ધ્યાન ખેંચે છે. એક તો મૂકેશના બહુ ઓછા ગીતો આલાપ સાથે શરૂ થાય છે, એમાંનું એક આ. બીજું એક યાદ આવે છે, ઉષા ખન્નાના સંગીતમાં, 'ચાંદ કો ક્યા માલુમ, ચાહતા હૈ ઉસે કોઈ ચકોર...' આવા આલાપથી શરૂ થતા ત્રીજા, આઠમાં કે ૫૦-મા ગીત માટે વાચકો જાતે મેહનત કરી લે એવા છે, પણ આ ગીત રાગ મારૂ બિહા પર આધારિત છે, એમાં આ રાગની વિશિષ્ટતા માટે વડોદરાના હિંદી ફિલ્મી ગીતોના શાસ્ત્રીય રાગો અંગેના એનસાયક્લોપીડિયા ગણાતા શ્રી રશ્મિકાંત બી. શેઠના દાવા અનુસાર મારૂ બિહાગ દુઃખ ભૂલાવવાનો રાગ છે. એમાં એ અસર છે, જે સાંભળીને દર્દ ઓછું લાગે. યાદ હોય તો 'ચમન કે ફૂલ ભી તુઝકો ગુલાબ કહેતે હૈ' કે, મુકેશનું જ પેલી કઇ ફિલ્મ...? હા, 'હમ મતવાલે નૌજવાન'નું 'બનકે ચકોરી ગોરી ઝુમઝુમ નાચોરી,'ફિલ્મ 'સેહરા'નું 'તુમ તો પ્યાર હો સજના, મુઝે તુમસે પ્યારા ઓર ન કોઈ...' મારૂ બિહાગની રચના છે. આ 'મતવાલી નાર...' ગીતના ફિલ્માંકનમાં વહિદાનો ઉત્કૃષ્ટ ડાન્સ મદ્રાસના નૃત્યગુરૂ કૃષ્ણ કુટ્ટી કરાવ્યો છે.

ગુજરાતના બહુ ઊંચા સંગીતજ્ઞોમાં જેમનું નામ છે, છતાં બને ત્યાં સુધી અજ્ઞાત રહેતા શ્રી મનિષ કાપડીયાના જણાવ્યા મુજબ, લતા મંગેશકરનું 'બનવારી રે જીને કા સહારા તેરે નામ રે...' રાગ પિલુની રચના છે. નૌશાદના આ પ્રિય રાગમાં 'ચંદન કા પલના, રેશમ કી ડોરી, ઝૂલા ઝુલાયે નીંદિયા કો તોરી...', 'મોરે સૈયાજી ઉતરેંગે પાર હો નદીયા ધીરે બહો...' કે રાજેશ રોશનનું 'કા કરૂં સજની આયે ન બાલમ...' પણ પિલુની મહેરબાનીઓ છે. આમ નૌશાદના નામ પર ચઢેલા ફિલ્મ 'ગંગા જમના'ના લતાના બે ગીતો 'દો હંસો કા જોડા બિછડ ગયો રે...' અને 'ઢુંઢો ઢુંઢો રે સાજના ઢુંઢો, કાન કા બાલા...' વાસ્તવમાં નૌશાદે નહિ, એમના આસિસ્ટન્ટ મુહમ્મદ શફીએ બનાવ્યા છે. ફિલ્મ 'આદમી'નું 'કારી બદરીયા, મારે લહેરીયા' પણ શફીની જ ધૂન.'મુગલ-એ-આઝમ' જેવી નૌશાદની અનેક ફિલ્મોનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક શફીએ આપ્યું હતું. ફિલ્મ 'સોહની મહિવાલ'ના તો તમામ ગીતો નૌશાદે નહિ, મુહમ્મદ શફીએ બનાવ્યા હતા. બિમારીને કારણે નૌશાદ કામ કરી શકે એમ નહોતા. મશહૂર સિતારવાદક ઉસ્તાદ વિલાયતખાનના એ સગા ભાઈ થાય. આ શફી ગુમનામીમાં ગુજરી ગયા.

આ કોલમ નિયમિત વાચનારાઓ અગાઉ પણ જાણી ચૂક્યા છે કે, જયકિશન સાથે લતા મંગેશકરના સૂરો ઘણા માધુર્યથી મળ્યા હતા. બન્ને વચ્ચે કાયમની નોંકઝોંક એ વાતે કે, જય લતા માટે હાઈપિચની (તારસપ્તકની) ધૂનો બનાવતો, એમાં લતા મીઠાશથી ખીજાતી પણ ખરી. આ ફિલ્મમાં એનું 'સોચ રહી થી કહું ન કહું...' આવા જ ઊંચા સૂરનું ગીત છે.

ઓકે. ફિલ્મની વાર્તા ય રસ પડે એવી હતી. કોઈ ગ્રેટ વાર્તાઓ તો અમથી ય આપણે ત્યાં કયાં બની છે, પણ જે કાંઈ માલ પડયો હતો એમાંથી 'એક ફૂલ ચાર કાંટે' માણવી ગમે એવી હતી.

માં-બાપ ગુમાવી ચૂકેલી યુવાન વહિદા રહેમાનને તેના ચાર કાકાઓ ઉછેરે છે અને એની માવજતમાં કોઈ કમી રહી ન જાય, માટે ચારે લગ્ન પણ નથી કરતા. વહિદા સુનિલ દત્તના પ્રેમમાં પડે છે, પણ ચારે ય કાકાઓની આકરી પરીક્ષામાંએ નાપાસ થાય છે. ધુમાલ ધાર્મિક સંત જેવો કાકો છે, જે વહિદાને આધ્યાત્મિક જ્ઞાન આપતો રહે છે. મતલબ, એને પરણનારને રામાયણ-મહાભારત આવડવા જોઇએ. ડેવિડ પોતાને મહાન અભિનેતા માને છે ને જમાઈબાબુ પણ નાટય-કલાકાર જ જોઇએ. જ્હૉની વોકર આમ કૂંવારો છે પણ ક્લબમાં નાચગાના ઉપરાંત છોકરીઓનો શોખિન છે, એટલે રોક-એન-રોલ આવડે એવો જ જમાઈ જોઇએ, જ્યારે રાશિદખાન યોગાચાર્ય છે. જમાઈને યોગાસનો બધા આવડવા જોઇએ. પાછું, એના પોતાના બૉડીના કોઈ ઠેકાણા નહિ. માંડમાંડ પોતાના વકીલ સુપુત્રને વહિદા સાથે પરણાવવા તૈયાર થઈ ગયેલા ફાધર (બીર સખૂજા) અને પહેલેથી તૈયાર મધર (મુમતાઝ બેગમ) પણ ચોંકી જાય છે, પોતાના દીકરાને જમાઈ બનાવવા માટે આવી જરૂરિયાતોથી. પણ આ બાજુ સુનિલ દત્ત આ ચારે ય કલાઓ વારાફરતી શીખી લઇને ચારે ય કાકા-સસરાઓને ખુશ કરી વહિદાને પરણે છે.

એક પણ વિલન વગરની ફિલ્મો એ જમાનામાં ય બહુ કમ બનતી. આવી ફિલ્મો જોવાની મોકળાશ બહુ રહે. આ ફિલ્મમાં ય કોઈ વિલન નથી અને ૨૧ વર્ષની વહિદા પૂરબહાર યુવાન અને સુંદર લાગે છે. સુનિલ દત્ત આ ફિલ્મ વખતે ૩૧ વર્ષનો હતો. બન્નેએ સાથે બહુ ઓછી પણ મહત્ત્વપૂર્ણ ફિલ્મોમાં કામ કર્યું છે. 'રેશ્મા ઔર શેરા', 'મેરી ભાભી', 'મુઝે જીને દો.' અને બહુ ઓછાએ જોયેલી 'જીંદગી જીંદગી' મારી પસંદગીની સર્વોત્તમ ૨૫ ફિલ્મોમાં આવે છે. બર્મન દાદાએ આ ફિલ્મના બનાવેલા ગીતો સાલા લોકોમાં ઉપડયા નહિ, નહિ તો ક્યું ગીત ક્ષણભર પણ વિસરાય એવું હતું ? સ્વયં મન્ના ડે દાદાએ મને ઓન રેકોર્ડ કહ્યું હતું, એમની પસંદગીના સર્વોત્તમ ૧૦ ગીતોમાં આ ફિલ્મનું 'મેરા સબ કુછ મેરે ગીત રે, ગીત બીના કૌન મેરા મિત રે...' બર્મનદાદાના પોતાના બે ગીતો, 'જીંદગી ઓ જીંદગી, તેરે હૈ દો રૂપ' અને 'પિયા તૂને ક્યા કિયા...' કિશોરનું 'તુને હમેં ક્યા દિયા રી જીંદગી' ઘણું ભાવુક ગીત હતું.સુનિલ અને વહિદાની ફિલ્મ 'મુઝે જીને દો'નો સમયગાળો ગુરૂદત્ત અને વહિદા વચ્ચેના ડીઝાસ્ટર પછીનો હતો. શરાબ પીને એક વાર ગુરૂદત્ત વહિદાને મનાવવા આ ફિલ્મના સેટ પર આવી ચઢ્યો હતો અને રાડો મચાવ્યો. સુનિલે એક સીનિયર આર્ટિસ્ટને અપાય એટલું સૌજન્ય જાળવી જોયું પણ ગુરૂ ન માન્યો, એટલે બધાની વચ્ચે સુનિલે ગુરૂદત્તને લાફો મારીને સેટની બહાર કાઢી મૂક્યો હતો. યસ. વહિદા પાછળ સર્વસ્વ હોમી ચૂકેલા ગુરૂદત્તને વહિદાએ પૂરો નવડાવીને નિચોવી નાંખ્યો હતો. વહિદા જેના પ્રેમમાં પડતી, એની સામે એક જ શરત હોય, 'તું ઇસ્લામ અંગીકાર કરી લે, તો જ પરણું' ગુરૂદત્ત પછી વિજય આનંદે પણ આ માંગણી ન સ્વીકારી, એટલે એને પડતો મૂક્યો. શશી રેખી દિલ્હીનો બિગ શોટ વેપારી હતો. એ ફિલ્મોમાં હીરો તરીકે પણ આવતો. ફિલ્મ 'સન ઓફ ઇન્ડિયા'નું લતા રફીનું 'દિલ તોડનેવાલ, તુઝે દિલ ઢુંઢ રહા હૈ' આ કમલજીત અને કુમકુમ ઉપર ફિલ્માયું હતું. શશી બદલીને ફિલ્મો માટે નવા કમલજીત રાખ્યું, પણ વહિદાએ તેને મુસ્લિમ બનાવ્યો. એ તો પરણ્યાના થોડા જ વખતમાં એને ભૂલ સમજાઈ ને પાછો હિંદુ ધર્મ સ્વીકારી લીધો, એમાં બન્ને વચ્ચે મોટી તિરાડ પડી. પછી તો શશી ગૂજરી પણ ગયો. વહિદાની એક દીકરી કાશ્વી અમેરિકાના સિયાટલ શહેરમાં રહે છે.આમ તો 'એક ફૂલ ચાર કાંટે' ફિલ્મમાં કામ કરવાનો સુનિલ-વહિદા બન્નેનો હેતુ એક જ હતો. ફિલ્મોમાં આવ્યા ત્યારના બન્ને રોતડી ફિલ્મો જ કરતા હતા... બધા હીરો-હીરોઇનોની માફક. આ ફિલ્મમાં કોમેડી હતી અને કામ પણ હળવાશથી કરવાનું હતું.
ફિલ્મોવાળાઓની અનેક વાતો સામાન્ય ચાહકની સમજની બહાર હોય છે. સુનિલ દત્તની છાપ આમ તો જેન્ટલમેનની હતી, પણ એક જમાનામાં પોતાનાભાઈ સોમ દત્તને લીના ચંદાવરકરની જેમ પહેલી વાર ચાન્સ આપીને ફિલ્મ 'મન કા મિત' બનાવ્યા પછી બે ભાઈઓ વચ્ચે જે કાંઈ થયુંહોય... આજ દિન સુધી આ સોમ દત્તનો કોઈ પત્તો નથી. નરગીસના મૃત્યુ કે સંજયદત્તના જેલ-પ્રકરણ જેવી ઘટનાઓમાં સોમ દત્ત ક્યાંય દેખાયો નથી. આવું જ, અમિતાભના ભાઈ અજીતાભનું પણ છે.

'૬૦ની સાલમાં સુનિલ દત્તની ચાર ફિલ્મો આવી હતી, 'ઉસને કહા થા' (નંદા), એક ફૂલ ચાર કાંટે (વહિદા) અને દુનિયા ઝુકતી હૈ (શ્યામા), જ્યારે વહિદા રહેમાનની આ ઉપરાંત 'ચૌદહવી કા ચાંદ' (ગુરૂદત્ત) આવી હતી. વહિદા તો હજી ફિલ્મોમાં આવતી રહે છે. શું લેવાનું હજી બાકી રહી જતું હશે કે, ચેહરો કરમાઈ ગયો હોવા છતાં ફિલ્મોનો મોહ છુટતો નથી. એના જ સમયની નંદા, સિન્હા કે સાધનાની જેમ ગ્રેસફૂલી નિવૃત્તિ કેમ લઇ લેતી નહિ હોય ?

No comments: