Search This Blog

31/01/2014

'આંધીયાં' ('૫૨)

ફિલ્મ - 'આંધીયાં' ('૫૨)
નિર્માતા - નવકેતન ફિલ્મસ
દિગ્દર્શક - ચેતન આનંદ
સંગીતકાર - ઉસ્તાદ અલીઅકબરખાન
ગીતકાર - પંડિત નરેન્દ્ર શર્મા
રનિંગ ટાઈમ - ૧૭-રીલ્સ : ૯૬ મિનિટ્સ
થીયેટર - લાઈટ હાઉસ (અમદાવાદ)
કલાકારો - દેવ આનંદ, કલ્પના કાર્તિક, નિમ્મી, ર્જ્હાની ર્વાકર, કે. એન. સિંઘ, પ્રતિમાદેવી, લીલા મીશ્રા, દુર્ગા ખોટે, ભગવાન સિન્હા, એમ. એ. લતિફ



ગીતો

૧. હૈ કહીં પે શાદમાની ઔર કહીં નાશાદીયાં (૩ ભાગમાં) - લતા મંગેશકર
૨. ઘનશ્યામ કો હૈ... નૈન મન મોર બના મોર - લક્ષ્મીશંકર
૩. વો ચાંદ નહિ હૈ દિલ હૈ કિસી દીવાને કા - આશા ભોંસલે-હેમંત કુમાર
૪. દિલકા ખઝાના ખોલ દિયા, દિલ લૂટાને આઈ હૂં - આશા-કોરસ
૫. દર્દ બંટ રહા હૈ, કિસે દર્દ ચાહિયે - આશા-કોરસ
૬. મૈં મુબારકબાદ દેને આઈ હૂં - સુરિન્દ્રર કૌર

બૅક ગ્રાઉન્ડ મ્યુઝિક
૧. સરોદ - ઉસ્તાદ અલીઅકબરખાન
૨. સિતાર-સૂરબહાર - પંડિત રવિશંકર
૩. સારંગી - રામનારાયણજી
૪. બાંસૂરી - પન્નાલાલ ઘોષ
૫. સૂર મંડલ - જયદેવ વર્મા
૬. તબલા - સુદર્શન અધિકારી

વિશ્વવિભૂતિ સિતારવાદક પંડિત રવિશંકરે ભલે કોઈ બે-ચાર હિંદી ફિલ્મોમાં સંગીત આપ્યું કે છેલ્લે છેલ્લે બાંસુરીવાદક પંડિત હરિપ્રસાદ ચૌરસીયા અને સંતૂરવાદક પંડિત શિવકુમાર શર્માએ થોડી ઘણી ફિલ્મોમાં મ્યુઝિક આપ્યું, પણ ભારતીય શાસ્ત્રીય સંગીતના વર્લ્ડ-ક્લાસ વાદકો હોવા છતાં 'ફિલ્મો જેવા' છિછરા માધ્યમમાં વગાડે... એ પ્રબુદ્ધોને માન્ય નહોતું. છતાં ઉસ્તાદ અલી અકબરખાને દેવ આનંદને તેની ફિલ્મ 'આંધીયા'માં સંગીત આપવાની હા કહી. એવું કોઈ જોરદાર અને સદીઓ સુધી યાદ રહી જાય એવું સંગીત તો બેશક નહોતું. સિવાય કે, ફક્ત જાણકારો માટે લતા મંગેશકરનું 'હૈ કહીં પે શાદમાની, ઔર કહીં નાશાદીયાં...' અને ખાસ તો હેમંત કુમારના ચાહક હો તો, આ ફિલ્મનું 'વો ચાંદ નહિ હૈ દિલ હૈ કિસી દીવાને કા...' આશા ભોંસલે સાથે યુગલમાં હેમંત કુમારે ગાયું હતું, બસ એટલું (... અને મોટા ભાગની ડીવીડીઓમાં બનતું હોય છે તેમ, 'આંધીયાં'ની ડીવીડીમાં પણ એનું સૌથી વધુ પ્રસિદ્ધ ગીત 'વો ચાંદ નહિ હૈ, દિલ હૈ કિસી દીવાને કા...' આશા-હેમંત) ગાયબ છે.

પંડિત શિવકુમાર શર્માએ તો ફિલ્મ 'ગાઈડ'ના 'પિયા તોસે નૈના લાગે રે...' ગીતમાં જાતે તબલાં વગાડયા છે, ભલે એ તો સંતૂરવાદક હતા, પણ પંચમ, એટલે કે રાહુલદેવ બર્મન સાથેની દોસ્તીને કારણે અવારનવાર મળવા રેકોર્ડિંગ વખતે જઈ ચઢતા. આ ગીતમાં જે કોઈ તબલચી હતો, તે શિવકુમારની દ્રષ્ટિએ પરફેક્શન લાવી શકતો નહતો. પંચમે તરત જ દોસ્તી વટાવી લીધી, 'પંડિતજી... આપ હી તબલે બજાઈયે, ના...!' અને એમ વાત બની.

મૈહર ઘરાણાના પદ્મવિભૂષણ ઉસ્તાદ અલીઅકબરખાન સાહેબ આજના મશહૂર સરોદવાદક ઉસ્તાદ અમજદઅલીખાનની જેમ સરોદના વિશ્વવિખ્યાત સંગીતકાર હતા. પંડિત રવિશંકરના પત્ની અન્નપૂર્ણાદેવી અલીઅકબરખાનના સગા બહેન થાય. અન્નપૂર્ણાદેવી સુરબહાર વગાડવામાં પૂરબહાર પ્રસિદ્ધ હતા. એ તો બધા જાણે જ છે કે, પંડિત રવિશંકર અને ઉસ્તાદ અલીઅકબરખાનની અનુક્રમે સિતાર અને સરોદની જુગલબંદીએ અનેક વખત દુનિયાને મંત્રમુગ્ધ કરી હતી.

તમને શંકર-જયકિશનની ફિલ્મ 'સીમા'માં લતા મંગેશકરે ગાયેલું, 'સુનો છોટી સી ગુડીયા કી લમ્બી કહાની...' યાદ હોય તો ગીતના પ્રારંભથી જ જે સરોદ વાગે છે, તે ઉસ્તાદ અલીઅકબરખાને વગાડી છે. એમને નામે એક અનોખી સિદ્ધિ પ્રમાણિત થયેલી છે. રાગ ચંદ્રનંદન એમની શોધ છે, જેમાં એમણે સાંજના રાગો માલકૌંસ, ચંદ્રકૌંસ, નંદકૌંસ અને કૌશી કાનડાનું મિશ્રણ કરીને રાગ ચંદ્રનંદન બનાવ્યો હતો. આ અનોખા પ્રયોગની રેકોર્ડ પણ બહાર પડેલી છે. આ લાઈનની થોડી જાણકારી હોય તો 'યૂ ટયૂબ' પર ઉસ્તાદજીએ પંડીત શંકર ઘોષની તબલાંસંગત સાથે વગાડેલો રાગ માંજ ખમાજ સાંભળવા જેવો છે. પ્રસન્નતા... પ્રસન્નતા... ને બસ, નકરી પ્રસન્નતા આવી જશે!

મૂળભૂત કુંડળીમાં શાસ્ત્રીય સંગીતકાર તરીકે પંકાયેલા ગુરુઓ ફિલ્મી સંગીતમાં જામ્યા નહિ (ફિલ્મ 'અનુરાધા'નો એક અપવાદ બાદ કરતા) તેના કારણો દેખિતા છે. એકલા વિલંબિતમાં જ દસ-વીસ મિનિટો ખર્ચતા આ મહાન સંગીતકારો કે ગાયકોને ફિલ્મી ગીત કેવળ ત્રણ મિનિટમાં પતાવવું પડે. 'આંધીયા'નો ય અંજામ કોઈ જુદો નહોતો. આમ તો ચેતન આનંદ કોઈ ફિલ્મ હાથમાં લે, એટલે એનું સત્યાનાશ વાળી નાંખવાનો કસબ પહેલેથી ઘડાઈ ચૂક્યો હોય. દા.ત. દેવ આનંદને લઈને પહેલી ફિલ્મ 'અફસર' બનાવી, એમાં જ (સુરૈયાના ગીતો સિવાય) કોઈ ઠેકાણા નહોતાં, ત્યાં રહી ગયા હોય એમ બન્ને ભાઈઓ વચ્ચે અનેક વર્ષો પછી સમાધાન થયું, એટલે એ જ 'અફસર'ને ફરી બનાવીને ફિલ્મ 'સાહિબ બહાદુર' નામ આપ્યું. કહે છે કે, આનાથી વધુ ભંગાર ફિલ્મ તો ઉત્તર ધ્રૂવના ટુન્ડ્ર પ્રદેશમાં ય નથી બની. આપણને દેવ આનંદના ચાહકોએ એ વાત પર ખુશ થવાનું કે, આ ફિલ્મની હીરોઈન કલ્પના કાર્તિક સાથે દેવને આ ફિલ્મથી પ્રેમસંબંધ બંધાયો અને બન્નેએ લગ્ન કર્યા.

કલ્પના કાર્તિકને દેવ 'મોના' કહીને બોલાવતો, એમાં તથ્ય ખરું. કલ્પના તો ફિલ્મી નામ હતું. અસલી નામ 'મોહના સિંઘા'હતું, એ 'મોહના'નો નાનકડો અપભ્રંશ કરીને દેવે જ ઈંગ્લિશ જેવું 'મોના' કરી નાંખ્યું. મોના પણ દેવ આનંદની જેમ પાકિસ્તાનના લાહૌરમાં ઉછરી હતી. જન્મ પણ ત્યાં જ, જીતેન્દ્રકુમારના ઘેર તા. ૧૯ સપ્ટેમ્બર, ૧૯૩૧ના રોજ. મોના આજે હયાત છે અને હિંદી ઉપરાંત ઉર્દુ, ફ્રેન્ચ, પંજાબી અને ઈંગ્લિશ પરફેક્ટ અને ફલ્યૂઍન્ટલી બોલી શકે છે. સુરૈયા સાથે દેવના પ્રેમપ્રકરણને કલ્પનાએ જીંદગીભર પચાવ્યું, પણ એ બહુ અઘરું ન પડયુ કારણ કે, દેવ આનંદ માટે રોજ એક નવી સુરૈયા તૈયાર જ હતી. દેવે પોતાની આત્મકથા 'રૉમાન્સિંગ વિથ લાઈફ'માં મોનાની હાસ્યવૃત્તિ વિશે લખ્યું છે. દેવ બાથરૂમમાં નહાતા નહાતા લપસી પડયો. ધબાકો થયો, તે સાંભળીને મોનાએ બૂમ પાડી, 'શું થયું?' દેવે કહ્યું, 'પડી ગયો...!' મોનાએ તરત પૂછ્યું, 'ફરી એક વાર...?? 'આપણે તો કલ્પના કાર્તિક એટલે કે મોનાને ફિલ્મ 'બાઝી', આંધીયાં 'હમસફર', 'ટેક્સી ડ્રાઈવર', 'ઘર નં. ૪૪' કે 'નૌ, દો, ગ્યારહ'માં જોઈ હોય, પણ એ પછી આજે એ હયાત છે. છતાં એ કદી જાહેરમાં દેખાઈ જ નહિ. ક્યારેક કોઈ ફિલ્મી પાર્ટીમાં એ દેવની સાથે આવી હોય તો મોટા ગોગલ્સ અને પરિધાનને કારણે કોઈ એને ઓળખી ન શકતું. એ તો બહુ ઓછાને ખબર હોય કે મોના જન્મે ક્રિશ્ચિયન હતી. ફિલ્મ 'આંધીયાં' અમૃતસરમાં બનેલી સત્યઘટના પર આધારિત ફિલ્મ છે.દેવ આનંદ એક મિડલકલાસ વસ્તીમાં રહેતો પ્રામાણિક વકીલ છે. એમ. એ. લતીફ નામના સામાન્ય વેપારીની દીકરી કલ્પના કાર્તિક સાથે પ્રેમમાં છે. દેવ લતીફનો લીગલ ઍડવાઈઝર પણ છે. બન્નેના પ્રેમનો એમ.એ. લતીફ કે દેવ આનંદના ઘરમાં કોઈને વિરોધ નથી અને આ ભવ્ય જોડાણની પાર્ટીથી ખુશ મોહલ્લાવાળાઓ ય જશ્ન મનાવે છે. (આ લતીફ ફિલ્મ 'કાલાપાની'માં દેવ આનંદનો કાલાપાનીની સજા પામેલો બાપ બને છે.) આ જશ્નમાં ફક્ત બે જણાને આનંદ નથી. એક સૅકન્ડ હીરોઈન નિમ્મી, જે નાનપણથી દેવના પ્રેમમાં છે, પણ આજ સુધી કહી ન શકી, એમાં લટકી ગઈ. દેવ આનંદના મુન્શીની ગરીબ ભત્રીજી હોવાને કારણે આવા હૅન્ડસમ અને શિક્ષિત દેવ આનંદ સાથે તો પોતાનો ટાંકો કેવી રીતે ભીડી શકે, એ ખૌફથી મનમાં ને મનમાં નિમ્મી રાજીનામું જ આપી દઈ, દેવ-કલ્પનાના સુખે સુખી રહેવાનો મનસુબો ઘડે છે. બીજો નારાજ છે કે. એન. સિંઘ, જે દેવ આનંદની મંગેતર કલ્પનાના ફાધરની ઉંમરનો હોવા છતાં કલ્પના સાથે પરણવાના મનસૂબાઓ ઘડતો રહે છે ને એમાં સફળ પણ થાય છે. એમ.એ. લતીફની પત્ની લીલા મીશ્રા ગંભીર બિમારીમાં પટકાય છે અને દીકરીના લગ્ન માટે બચાવેલી તમામ માલ-મિલ્કત બિમારીમાં ખર્ચાઈ જાય છે. એમ.એ. લતીફ મદદ માટે કે.એન.સિંઘ પાસે જાય છે, જે પૈસા આપવાની તો ચોખ્ખી ના જ પાડે છે, પણ જૂનું કરજ બાકી છે, તે તાબડતોબ વસૂલ કરવા ધમકીઓ આપે છે. કાં તો દીનદયાલે એટલે કે, લતીફે પોતાનું બધું વેચીને દેવું ભરવું અને કાં તો કલ્પના કાર્તિક સાથે પોતાના લગ્ન કરાવવા. કલ્પના પોતાના વહાલા માં-બાપના પૈસા અને આબરૂ બચાવવા કે.એન.સિંઘ સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય છે. બીજી બાજુ, આવા નફ્ફટ લગ્ન રોકવા માટે મોહલ્લાવાળાઓ નિમ્મી, દેવ આનંદ અને તેની માં (દુર્ગા ખોટે)ની આગેવાની હેઠળ કે.એન.સિંઘનું દેવું ચૂકવવા તનતોડ મહેનત કરીને પૂરા પૈસા ભેગા કરી લે છે, પણ મોડા પડે છે. લગ્નના છેલ્લા ફેરા ફેરવાઈ ગયા હોય છે. કલ્પનાને કે.એન.સિંઘ સાથે પરણવું જ પડે છે.પછી, ફિલ્મનો અંત તો સુખદ લાવવો જ પડે! નિમ્મી એવો પ્લોટ ઘડી કાઢે છે કે, કે.એન.સિંઘનું સઘળું જે સી ક્રસ્ણ થઈ જાય અને દેવ-કલ્પના ભેગા થઈ જાય. એ પોતે કે.એન.સિંઘનું ખુન કરી આવે છે ને ફિલ્મનું સત્તરમું રીલ પૂરું થવા આવ્યું હોવાથી અદાલતમાં જ કાયમ માટે ઢળી પડે છે, જેથી કલ્પના-દેવનો મારગડો મોકળો થાય.

ફિલ્મની વાર્તા ચેતન આનંદે પોતે લખી હતી. સ્વયં દેવ આનંદે પોતાની આત્મકથા 'રોમૅન્સિંગ વિથ લાઈફ'ના ૧૨૭માં પાના ઉપર લખ્યું છે તેમ, ફિલ્મ કંટાળાજનક બની હતી અને આખા દેશમાં પિટાઈ ગઈ હતી. આખી ફિલ્મમાં છેલ્લે છેલ્લે અદાલતના દ્રષ્યોને બાદ કરતા દેવ આનંદનો કોઈ રોલ જ અર્થપૂર્ણ નથી. બે ભાઈઓ વચ્ચે જુદા પડવાનું તય હોય એમ દિગ્દર્શક ચેતન આનંદે જેમાં દેવની અદાકારી હતી, તે અદાલતના ૯૫ ટકા દ્રષ્યો કાપી નાંખ્યા. ચેતનની હકાલપટ્ટી નિશ્ચિત બની.

નાનપણથી હીરોને પ્રેમ કરતી હોવા છતાં ફક્ત કહી ન શકવાને કારણે પર્મેનેન્ટ લટકી જવાનું નિમ્મીને તો ફિલ્મે ફિલ્મે ફાવી ગયું હતું. એના લગભગ બધા રોલ આવા જ હોય! નિમ્મી રાજ કપૂરની શોધ હતી અને નામ 'નિમ્મી' પણ રાજે આપ્યું હતું, એટલા માટે કે, રાજને આ નામ પાછળ પાગલપન પહેલેથી હતું. નિમ્મી છેલ્લે છેલ્લે બે-ત્રણવાર ગુજરાત આવી ગઈ. એ હિન્દીમાં નહિ, દિલીપકુમારની જેમ ઉર્દુ-અરબી-ફારસીમાં જ બોલે છે. પોતાની કરિયર બનાવવાનો પૂરો યશ તે રાજ કપૂરને આપે છે. આજે આટલી ઉંમરે પણ તેના વાળ ઢીંચણ સુધી લાંબા છે. યાદશક્તિ હજી ય ૨૪ વર્ષની છોકરી જેવી પાવરફૂલ છે. વર્ષો પહેલાં અમદાવાદની 'ગ્રામોફોન કલબ' હું ચલાવતો, ત્યારે અમે પૂરજોશ મળેલા. મેં એનો ઈન્ટરવ્યૂ લીધો હતો, એ બધી વાતો વર્ષો પછી એ જામનગરમાં શ્રી ચંદુભાઈ બારદાનવાલાની પાર્ટીમાં મળી ત્યારે એને મારૂં જ નહિ, મારી પત્નીના નામ સાથે સઘળું યાદ હતું. લક્ષ્મીશંકરનું નામ આમ તો ગાયિકા તરીકે મશહૂર છે, પણ આ ફિલ્મમાં નૃત્ય નિર્દેશન પણ એમનું છે. સુરિન્દર કૌરને ગાયિકા તરીકે બહુ ઓછા ચાહકો જાણતા હોય, કારણ કે એમાં જાણવા જેવું કાંઈ હતું પણ નહિ. આ ફિલ્મમાં લક્ષ્મીશંકરની જેમ એને પણ એક ગીત ગાવા મળ્યું છે.

દેવ આનંદની તમામ ફિલ્મોમાં એની પર્મેનેન્ટ ટીમ તો હોય જ. પ્રતિમાદેવી ફિલ્મ 'જ્વેલ થીફ'માં એની માં બને છે, તે અહીં કે.એન.સિંઘની પહેલી પત્ની બને છે. બહુ કદરૂપા ચેહરાવાળો હબીબ અહીં પહેલવાનના રોલમાં છે. દેવ આનંદનો બનેવી (શેખર કપૂરના પિતા) પણ આ ફિલ્મમાં કે.એન.સિંઘના ડ્રાયવર-કમ-મુન્શીના રોલમાં છે. ભગવાન સિંહા પણ સરકારી વકીલ છે. દેવના બીજા બે પર્મેનેન્ટ દોસ્તો જગદીશ રાજ અને રાશિદ ખાન પછી આવ્યા. બહુ ઉતરતી કક્ષાની ફિલ્મ તો ખુદ દેવે જ કીધી છે, છતાં ય તમારે જોવી હોય તો ભોગ તમારા...! (સીડી સૌજન્ય : શ્રી ભરત દવે, સુરત.)

No comments: