Search This Blog

27/06/2014

દાલ મેં કાલા ('૬૪)

ફિલ્મ : દાલ મેં કાલા ('૬૪)
નિર્માતા : બીપિન ગુપ્તા
દિગ્દર્શક : સત્યેન બોઝ
સંગીત : સી.રામચંદ્ર
ગીતકારો : ભરત વ્યાસ, પી.એલ.સંતોષી, મજરૂહ સુલતાનપુરી, રાજા મેંહદીઅલી ખાન
રનિંગ ટાઈમ : ૧૪ રિલ્સ
થીયેટર : ખબર નથી
કલાકારો : કિશોરકુમાર, નિમ્મી, અભિ ભટ્ટાચાર્ય, આગા, બીપિન ગુપ્તા, શમ્મી, સુંદર, મોહન ચોટી, સજ્જન, મારૂતિ, કમ્મો, ટુનટુન, મુમતાઝ બેગમ, સુલોચના ચેટર્જી, અશિમકુમાર, કેસ્ટો મુકર્જી, રવિકાંત, બાબુ રાજે, રતન ગૌરાંગ, મુકુંદા બેનર્જી, જેરી.



ગીતો
૧. આઈ બલા, લાહૌલવલા, હોય હોય - કિશોર-ચિતલકર
૨. સજન બડે વો હૈ, સનમ બડે વો હૈ - આશા ભોંસલે
૩. ચાંદ ચુપચાપ હૈ, સિતારેં ગુમસુમ - કિશોર કુમાર
૪. લો હો ગઇ શામ, તારેં નીકલ આયે - આશા ભોંસલે
૫. દો આંખે જનાની, દો આંખે મર્દાની - આશા-કિશોર
૬. દુનિયા કે બાઝાર મેં કૈસે કૈસે ખેલ તમાશા - આશા-કિશોર
૭. ઇન આંખોને તુમ્હેં અપના બનાને કી - આશા ભોંસલે

હંમેશા 'અચ્છા' બુઢ્ઢાનો રોલ કરતા બીપિન ગુપ્તા આ ફિલ્મના પ્રોડયુસર છે. આ એકમાં જ પતી ગયા કે બીજી ફિલ્મો બનાવી હશે, તેની મને ખબર નથી. જામેલા દહીં જેવો કડક અવાજ, કાળી ફ્રેમના ચશ્મા, 'મુગલ-એ-આઝમ છાપ મૂછો' અને ઓડિયન્સને ગમે એવા જ કિરદારો નિભાવવાના, એ એમનું આઈ-કાર્ડ. મોટા ભાગે દયાળુ જમીનદાર અને પ્રભાવશાળી ધનવાનના પાત્રમાં હોય...

પણ આ ફિલ્મ 'દાલ મેં કાલા' બનાવ્યા પછી ન તો એ પ્રભાવશાળી રહ્યા હશે, ન ધનવાન. ફિલ્મ જોનારા અમીરો ય હાથમાં અરજીપત્રક પકડીને ગાંધીનગરમાં 'ગરીબ આવાસ યોજના'ની લાઈનમાં ઊભા હોય, એવી ફાલતુ ફિલ્મ હતી આ. લતા મંગેશકરનો ફોટો પૂજાના ઘરમંદિરમાં રાખનારા ભક્તો એ જાણે છે કે, આ પુજામાં પ્રસાદ સંગીતકાર સી.રામચંદ્રના હાથનો મળતો હતો, પણ આ ફિલ્મમાં લતા તો ગાયબ છે... ને લતા ગાયબ હોય, એટલે અન્નાના સંગીતમાં ય કોઈ ઠેકાણા ન હોય, એ ધારાધોરણ મુજબ અહીંયા ય રામભ'ઇએ ભોપાળું જ કર્યું છે. પોતાના સમયના બીજા અનેક સફળ સંગીતકારો કરતા અન્ના બે ગજ ઊંચા હોવા છતાં વેઠ ઉતારવાના પૈસા મળતા હોય, ત્યારે પોતાની શૌહરતનો ય વિચાર ન કરે કે, કેવું ઘટીયા સંગીત હું આપી રહ્યો છું ! જમાનો એ હતો દરેક સંગીતકારોનો કે કિશોરકુમારની ફિલ્મ કરવા મળે તો છવાઈ જવાય. કિશોરનું અસલી વાવાઝુડું તો '૬૯માં ફિલ્મ 'આરાધના' પછી આવ્યું, પણ ત્યાં સુધી તો એ દેવઆનંદને બાદ કરતા બીજા કોઈ હીરોને પ્લેબેક નહોતો આપતો. અપવાદો હતા થોડા ઘણા, પણ તો ય દાદા બર્મન, શંકર-જયકિશન, ઓપી નૈયર કે બાકીના છૂટક છૂટક સંગીતકારોએ આપણને આજ સુધી યાદ આવે, એવા તોફાની વત્તા-મધુરા ગીતો ય ખૂબ ગવડવ્યા છે. જોવાની ખૂબી નહિ પણ ખામી એ છે કે, સી.રામચંદ્ર કિશોરનો અહીં ધમાકેદાર ઉપયોગ થઇ શકે એવો હોવા છતાં કાંઈ કરતા કાંઈ ઉકાળ્યું નહિ. એક ગીત તો મશહૂર થઇ શક્યું હોત...? શીટ... એક અંતરો પણ નહિ.

અન્નાની દાઝી જવાય એવી નિષ્ફળતાનું કારણ તો બધા જાણે છે. ૧૯૫૯માં મુંબઇના ખૂબ જાણિતા સિનેમાઘર 'મરાઠા મંદિર'માં યોજાયેલા ફિલ્મ 'પૈગામ'ના પ્રીમિયરમાં લતા અને અન્ના થોડા વહેલા આવી ગયેલા. જે વાતની જાણ અન્ના-પત્નીને થઇ જતા, ઘટનાસ્થળે આવીને મોટો ધજાગરો કર્યોં અને લતાને પણ અપનામિનત કરી, તેનાથી છંછેડાયેલી લતાએ કાયમ માટે અન્નાને 'કાઢી મૂક્યા'. ગબ્બરના ખૌફથી તો જય-વીરૂને ગામવાળાઓ પાણી કે વ્હિસ્કી ય ન આપે, એમ લતાનો ખૌફ થયા પછી અન્નાની હાલત ધંધાકીય દ્રષ્ટિએ પણ ઝીરો થઇ ગઈ. એમની બધી ફિલ્મોનું સંગીત ફ્લોપ જવા માંડયું. કોઈ લેવાલ પણ નહિ.

આમાં આપણે સમજવા જેવી વાત એ નીકળી છે કે, લતાએ ધાર્યું હોત, તો જે તે સંગીતકાર માટે લતાની બહેન આશા ભોંસલેને પણ ગાવા ન દેત, પણ ધંધામાં મંગેશકર-સિસ્ટર્સ આપણી ભાષામાં 'બહુ જબરીઓ' છે. લત્તા જાણતી હતી કે, એ પોતે નહિ ગાય તો એને મળનારા તમામ ગીતો, ખાસ તો સુમન કલ્યાણપુર લઇ જશે. ગીતા દત્ત અને બીજીઓ ય ખરી, પણ આશા ભોંસલેને છૂટ આપો, તો પૈસો મંગેશકર-ખાનદાનમાં જ આવવાનો છે ! વ્હી. શાંતારામને લતા સાથે આપણી કાઠીયાવાડની ભાષામાં, 'ડખો' પડયો હતો, એટલે આવી જાજરમાન ફિલ્મ નવરંગમાં લતાને ન લેવાઈ, એનો સીધો ફાયદો આશાને થયો 'નવરંગ'ના ગીતોએ આશાની કેરિયર ક્યાંથી ક્યાં પહોંચાડી દીધી, એ ઈતિહાસ છે, પણ મન્ના ડે ની જેમ આશાનેય સંગીતકારો 'ગરજ સરોને આશા મરો'ની નીતિથી ચલાવતા હતા. એ દ્રષ્ટિએ આ ફિલ્મ 'દાલ મેં કાલા' આશા ભોંસલે માટે કરિયર સુધારનારી બની હોત.... સી.રામચંદ્ર કોઈ સાધારણ સંગીતકાર નહોતા.

પણ વન્સ અગેઇન, અહીં પણ અન્નાએ ધાર્યા કરતા વધારે વેઠ ઉતારી. એક એકથી ચઢે એવા ફાલતુ ગીતો એક જ ફિલ્મમાં ભરી દેવાની અન્નાને ફાવટ હતી, સિવાય કે એ ફિલ્મમાં લતાના ગીતો હોય. અહીં તોલતાએ જ અન્નાને ખોટી જગ્યાએ લાત મારીને કાઢી મૂક્યા હતા અને નવરંગને બાદ કરતા આશાબાઈ પાસે ઉત્તમોત્તમ કામ લેતા ખુદ અન્નાને ય આવડતું નહોતું. કેમ જાણે અન્નાની કરિયર કેવળ લતાના ચરણોમાં સમૃધ્ધ થવા કે રગદોળાવા સર્જાઈ હોય. ઓર તો ઓર... અન્ના સ્વભાવે તોફાની સંગીતકાર ! હિંદી ફિલ્મોમાં 'આના મેરી જાન મેરી જાન, સન ડે કે સન ડે...' જેવા તોફાની ગીતોનો પ્રારંભ જ અન્નાએ કર્યો, એ હિસાબે અહીં તો તોફાનોના મહાસાગર કિશોરકુમાર પાસે કામ લેવાનું હતું... !
...સાલુ, એક ગીતમાં ઠેકાણું નહિ ! ભલે એક ગીત તો એક ગીત... કિશોર પાસે ફિલ્મ 'અધિકાર'માં 'તિકડમબાઝી' જેવું ઝક્કાસ ગીત ગવડાવીને આપણા ગુજરાતી સંગીતકાર અવિનાશ વ્યાસે કિશોરના વિન્ટેજ-ફેવરિટ ગીતોમાં તો પોતાનું નામ અંકિત કરી દીધું. અન્નાની છેલ્લી છેલ્લી ફિલ્મો જુઓ... 'દાલ મેં કાલા' તો કુછ નહિ, ભાઈસા'બ... એનાથી ય વધુ ભંગારના પેટનો માલ ઉતાર્યો હતો.

અર્થાત્, આ ફ્લોપ ફિલ્મને એના મહાન સંગીતકાર પણ ઉગારી ન શક્યા. ફિલ્મ વધુ બેકાર નહોતી, થોડી બેકાર હતી અને કિશોરની સાથે તત્સમયની સમજો ને... બધી હીરોઇનોને કામ કરવાની ગમ્મત પડી જતી, એમ નિમ્મીએ મને પોતાને કીધેલી વાત છે કે, 'મેં આટલા બધા હીરો સાથે કામ કર્યું, પણ હું સૌથી વધારે કમ્ફર્ટેબલ કિશોર સાથે હતી. એ હોય એટલે કામનું કોઈ ટેન્શન જ નહિ. હસતા હસતા એકટિંગ કરે જાઓ.' નિમ્મી રાજકપૂરની શોધ હતી. મેહબૂબખાનની ફિલ્મ 'અંદાઝ'નું જસ્ટ... શૂટિંગ જોવા આવેલી નવાબ બાનુનું સૌંદર્ય અને ખાસ કરીને તપખીરીયા રંગની એની આંખો રાજને ગમી ગઈ. ફિર ક્યા...? નવાબ બાનુ ફિલ્મ 'બરસાત'ની હીરોઇન નિમ્મી બની ગઈ. રાજકપૂરને 'નિમ્મી' નામનું ઓબ્સેશન હતું અને શરૂઆતની ફિલ્મોમાં એની હિરોઈનોના નામ 'નિમ્મી' રાખતો. છોકરી ફક્ત ખૂબસુરત જ નહિ, સારી અભિનેત્રી પણ હતી, એટલે દિલીપકુમારની સામે 'આન'માં પૂરેપૂરું કૌવત બતાવી દીધું. એ પછી તો અનેક ફિલ્મો આવી.

ઓસામા બિન લાદેન પાકિસ્તાનના જે શહેરમાં મરાયો, એ ઍબોટાબાદમાં બાળપણ ગુજારી ચૂકેલી નિમ્મીની માં વહિદનબાઈ લખનૌની તવાયફ હતી. વહીદનની બહેન જ્યોતિ ગાયિકા અભિનેત્રી હતી અને લૂઝ કેરેકટરને કારણે બહુ વગોવાયેલા ગાયક જી.એમ.દુરાણીની પત્ની હતી, દુરાણીને તમે ફિલ્મ 'લાલ પથ્થર'માં મુહમ્મદ રફીના પ્લેબેકમાં કિમતી ગીત, 'ઉનકે ખયાલ આયે તો આ કર ચલે ગયે...' ગીત તાનપુરા પર ગાતો જોયો છે. અમિતાભ બચ્ચનની ફિલ્મ 'બેશરમ'માં દુરાણી બિંદુનો પિતા બને છે. નિમ્મી પોતાની પહેલી ફિલ્મ 'બરસાત'ના સંવાદ લેખક અલી રઝા સાથે પરણી ગઇ. અલી રઝાએ નિમ્મીની જ બે ફિલ્મો 'આન' અને 'અમર'ના ડાયલોગ્સ પણ લખ્યા હતા. આ અલી રઝા વિખ્યાત લેખક આગાજાની કશ્મિરીનો ભત્રીજો થાય. છેલ્લે છેલ્લે નિમ્મી ધર્મેન્દ્ર-નંદાની ફિલ્મ 'આકાશદીપ'માં આવી... સાલ હશે કોઈ ૧૯૬૫ની. પણ કે.આસીફની આખરી અને વિવાદાસ્પદ ફિલ્મ 'લવ એન્ડ ગોડ'માં (૧૯૮૬)માં એ સંજીવકુમારની સાથે ચમકી હતી. ફિલ્મ રિલિઝ થઇ હતી '૮૬માં પણ બનતી તો હતી છેલ્લા વીસેક વર્ષોથી. મૂળ હીરો ગુરુ દત્ત હતો. પણ એની જેમ આ ફિલ્મ સાથે સંકળાયેલા આ અનેક કલાકાર-કસબીઓ ગૂજરી જવા માંડયા, એમાં બચી ગઈ એક માત્ર નિમ્મી. પરિણામે ફિલ્મ આટલી મોડી રીલિઝ થઈ.

ફિલ્મ 'દાલ મેં કાલા'માં સજ્જન જેવા અસરકારક કલાકારને સાવ છોટો રોલ આપવામાં આવ્યો છે, એ નવાઈ લાગે. સજ્જન તો જો કે પોતે ભારે નિખાલસતાપૂર્વક કહેતો કે, 'હું કોઈ ગ્રેટ એકટર નહતો અને મારૂં નામ 'ગ્રેટ'માં મૂકાય, એવો કોઈ રોલ મેં કર્યો નથી. છેલ્લે છેલ્લે અરૂણ ગોવિલ સાથે ટીવી સીરિયલ 'વિક્રમ વેતાળ'માં એ વેતાળ બનીને વિક્રમના ખભે ચઢી જતો. એ પહેલા તમને ખાસ યાદ રહી જાય એવો એનો રોલ કિશોર કુમારની ફિલ્મ 'ચલતી કા નામ ગાડી'માં મધુબાલાના મંગેતરનો હતો. જીતેન્દ્ર-બબિતાની ગોલ્ડન જ્યુબિલી ફિલ્મ 'ફર્ઝ'માં એ બબિતાનો બાપ બને છે. અમારા વડિલ દોસ્ત તુષાર માંકડના ફેવરિટ ગીત 'અપની નઝર સે, ઉનકી નઝર તક, એક જમાના એક ફસાના' ગીત સજ્જન ઉપર ફિલ્મ 'હમલોગ'માં ફિલ્માયું હતું. નૂતન હતી હીરોઇન, પણ ફિલ્મ ભલે ફ્લોપ ગઇ, પણ જેના ગીતો આજ તક સજ્જાદ હુસેનના બેનમૂન સંગીતને કારણે ખ્યાતનામ થયા હતા, તે મારા જેવા લતા-પાગલોની ફિલ્મ 'સૈયા'માં સજ્જન મધુબાલાનો હીરો હતો. આ ફિલ્મ હોલીવૂડની ફિલ્મ 'ડયુએલ ઇન ધ સન'ની સીધી ઉઠાંતરી હતી, જેમાં ગ્રેગરી પેકવાળો બદમાશ ભાઈનો રોલ સજ્જને કર્યો હતો. સજ્જન માટે આ ફિલ્મ પૈસા અને શોહરત સાથે બહુ લાડકી બની હતી, એટલે એણે પોતાના બંગલાનું નામ પણ 'સૈયા' રાખ્યું હતું. પૈસે ટકે બર્બાદી આવતા એ બંગલો ભાડે આપી દેવો પડયો હતો. એકટર-નિર્માતા બિપીન ગુપ્તાએ સજ્જનને આ ફિલ્મ 'દાલ મેં કાલા'માં બેવકૂફ જ બનાવ્યો. વાર્તા કંઇક સંભળાવવામાં આવી અને ફિલ્મ બની ત્યારે કપાઈ-ઝપાઈને સજ્જનનો રોલ સાવ ફાલતુ અને ટુંકો બની ગયો હતો.

ફિલ્મની વાર્તા મગજ સાસરે મૂકીને સમજવી પડે... અર્થાત્ કોઈને ન સમજાય એવી બની હતી. ધનવાન બિપીન ગુપ્તાના માણસો ભૂલમાં કિશોર કુમારને પ્રોફેસર સમજીને ઘરે લઇ આવે છે અને જે પ્રોફેસર હતો, તે અભિ ભટ્ટાચાર્યને ઓમપ્રકાશની નાટક કંપનીવાળા હીરો-ગાયક સમજીને પોતાને ત્યાં જબરદસ્તી લઇ આવે છે. આગા કિશોર કુમારનો ચમચો હોવાથી કિશોરની સાથે સાથે એ ય ઘસડાઈ આવે છે. ફિલ્મોના ગણિત મુજબ ત્યાં જઇને કિશોરે હીરોઇન નિમ્મી અને આગાએ સાઇડ હીરોઇન શમ્મીના પ્રેમમાં પડવાનું હોય છે. મૂળ તો બન્ને ખિસ્સાકાતરૂઓ છે અને નિમ્મીને આ વાતની જાણ થઇ જતા કિશોરને કાઢી મૂકે છે. અભિ ભટ્ટાચાર્ય મૂળ સ્થાને પાછો આવતા સઘળો ભાંડો ફુટે છે, પણ તેથી નિમ્મીના પિતા બિપીન ગુપ્તાને કોઈ ફરક પડતો નથી. પોલીસની હાજરીમાં બધું સાબિત થઇ જવા છતાં એ કિશોરને સજ્જન જ માને છે. પછી ફિલ્મ નિયત સમયમાં પૂરી કરવાની હોવાથી, દિગ્દર્શક આ બધી બબાલોમાં પડવા માંગતા નથી. વાર્તા લેખકની જેમ એમને ય ખબર પડતી નથી કે, ફિલ્મનો અંત કેવી રીતે લાવવો ! બસ, ફિલ્મોમાં આવી કશી ખબર ન પડે તો 'ધી એન્ડ' એના નિર્માતાઓ કરતા દર્શકોને વધુ વહાલો લાગે છે.

યસ. ફિલ્મની એક માત્ર રાહત કિશોર કુમારને જોયે રાખવાની આવે છે. એની પાસે કોમેડીનો જે કોઈ માલ પડયો હતો, તે બધો વાપરીને હસાવવાનો પ્રયાસ કરે છે... બાકી બધું જે શી ક્રસ્ણ.

1 comment:

Anonymous said...

dadu, c. ramchandra south indian ANNA nota, e to marathi hata.

Singer ma j chitalkar naam lakhyu chhe e pote aa bhai.

Chitalkar Ramachandra