Search This Blog

11/12/2011

ઍનકાઉન્ટર : 11-12-2011

* તમે ‘એનકાઉન્ટર’ શોખથી કરો છો કે ફરજથી ?
- પબ્લિસીટી માટે.
(મમતા બારડ, સરખડી-કોડિનાર)

* દિવસે દિવસે વધતી મોંઘવારી સામે નેતાઓ જલસા કરે છે...
- ચલો, તમારી પાસેથી જાણવા મળ્યું, મોંઘવારી રાત્રે નથી વધતી !
(મહેન્દ્ર ગાંધી, સુરેન્દ્રનગર)

* ઘેર આવતા મહેમાનોને બે-ત્રણ વખત આવો-આવો કહેવામાં આવે છે, પણ જાય ત્યારે એક જ વખત ‘આવજો’ કહેવાય છે...
- એ હાળા એક વખતમાં ય આવે એવા હોય છે!
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)

* ત્રણ વેદોનું જ્ઞાન ધરાવનારને ‘ત્રિવેદી’, ને ચારેય વેદોના જાણકારને ‘ચતુર્વેદી’ કહે છે, તો ‘દવે’?
- અમને લોકોને બે જ વેદોમાં બધી સમજ પડી જાય છે. (‘દવે’ એ ‘દ્વિવેદી’નો અપભ્રંશ છે!)
(જયંતી સી. પટેલ, મહેસાણા)

* સારા પ્રસંગે તો જમવાનું હોય, પણ આપણે ત્યાં તો માઠા પ્રસંગે ય જમવાનું હોય છે... !
- એમાં તમારા કાકા, ફૂઆ કે માસાનું શું જાય છે?... ને પાછો આવો સવાલ એક બ્રાહ્મણને પૂછો છો !
(રૂચિત પી. શાહ, સુરેન્દ્રનગર)

* સાનિયા મિર્ઝાની અક્કલ શું ઘાસ ચરવા ગઈ’તી કે, પાકિસ્તાની શોએબ મલિકને બદલે આપણો ઇરફાન પઠાણ ન દેખાયો ?
- આવું ન બોલો. ઇરફાનનો ટેસ્ટ ઊંચો છે.
(મુહમ્મદ ઈલિયાસ ખીલજી, અમદાવાદ)

* ગોગલ્સ આંખોને બદલે માથે ભરાવવાની ફેશનનો શું મતલબ?
- આંખોનું કામ મગજથી લેવા માટે!
(ઝાકીરહૂસેન વાય. રાયલી, ઈખર)

* પહેલો સગો પડોસી, તો પહેલો દુશ્મન કોણ?
- એ ય પડોસી... જો એની વાઇફ સુંદર હોય તો !
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

* મંદિરમાં આરતી પછી કપૂરની ગોળી કેમ પ્રગટાવવામાં આવે છે?
- પ્રસાદ ભેગી ખવાઈ ન જાય માટે.
(બલદેવ એમ. ભટ્ટ, બામરોલી)

* દાદુ, ગઈ જન્માષ્ટમીએ પોલીસની ધોંસ બહુ હોવાથી તમે રમ્યા હતા કે નહિ ?
- અમારે પોલીસ-ચોકીમાં રમવું પડ્યું હતું !
(સ્વપ્નેશ મોદી, વ્યારા)

* નાલાયક નેતાઓ અને લંપટ સાઘુઓની માયાજાળમાંથી ગુજરાત ક્યારે મુક્ત થશે?
- એ લોકોનો નવો લોટ આવે પછી.
(રમાગૌરી એમ. ભટ્ટ, ધોળકા)

* ભલે તમારો અતોપતો ન આપો, હકીભાભીનો મોબાઈલ નંબર તો આપો!
- ઓ બેન... મેં કાંઈ તોફાન-બોફાન કયરૂં છે?
(નિલા નાણાવટી, રાજકોટ)

* વજન ઉપર ટીકીટ આપવામાં આવે તો મુસાફરી મોંઘી થાય કે સસ્તી?
- મને અને હકીને તો રીક્ષાવાળા ના પાડે છે કે, ‘ચાર જણા નહિ આવે !’
(અફરોઝબેન આર. મીરાણી, મહુવા)

* જેલમાં જતો રાજકારણી ચોક્કસપણે કહે છે, ન્યાયતંત્રમાં મને પૂરો વિશ્વાસ છે. મતલબ ?
- એ સાચું બોલે છે. આવા ન્યાયતંત્રમાં કોઈ એનું બગાડી શું લેવાનું છે?
(સુનિલ નાણાવટી, રાજકોટ)

* પોતાની હરએક ફિલ્મમાં કોઈ મેસેજ આપનાર રાજ કપૂર, આવી ઉમદા વિચારસરણી ખુદ પોતાના જીવનમાં કેમ ઉતારી શક્યો નહિ ?
- એણે એમ પણ કીઘું હતું કે, ‘મેહમાં જો હમારા હોતા હૈ, વો જાન સે પ્યારા હોતા હૈ...’ આવી ઉમદા વિચારસરણીને આધીન એણે કોઈને કાંઈ પાછી નથી કાઢી... !
(ખેવના હેમાંગ માંકડ, જામનગર)

* સરકારી તંત્રમાં આપની દ્રષ્ટિએ સૌથી વઘુ ભ્રષ્ટ ખાતું ક્યું ?
- મને દસેક લાખ મોકલાવો, તો કહું.
(રાકેશ શિવશંકર ભટ્ટ, અમરેલી)

* ઘરમાં પત્નીથી ડરીને ચાલનારો પતિ ઘરની બહાર નીકળતા જ કેમ બહાદુર થઈ જાય છે?
- એ તો બહાદુર હોય એને ખબર... !
(જગદિશ ટી. રાઠવા, ધોંઘંબા)

* બધા જ હાસ્યલેખકો બ્રાહ્મણો જ કેમ હોય છે?
- એ સિવાય તો બીજે ક્યાં બળતણીયા જોવા મળવાના ?
(ઇલ્યાસ એ. પટેલ, સંતરામપુર)

* સ્ત્રીઓને મોબાઈલ પર લળી લળીને વાતો કરતી જોઈને, તમને શું વિચાર આવે?
- પેલો મરવાનો થયો છે... !
(સુરેશ પ્રજાપતિ, નવસારી)

* સત્તા ટકાવી રાખવા હવાતીયાં મારવા, એટલે શું ?
- માયાવતી.
(કવિતા જે. વાળા, સુરેન્દ્રનગર)

* ભારતના એકેય આતંકવાદી હુમલામાં હજી સુધી કોઈ નેતા ભોગ બન્યો નથી. શું કારણ ?
- સ્વ. રાજીવ ગાંધી શરદી થવાથી ગૂજરી ગયા નહોતા.
(રવિરાજ વાળા, સુરેન્દ્રનગર)

* જીવિત માં-બાપની સેવા ન કરનારા મર્યા પછી એમના ફોટા ઉપર હારતોરા કેમ કરે છે?
- ઘરમાં પડેલા વાસી ફૂલોને એમ કાંઈ નાંખી દેવાય છે, ભ’ઈ?
(હેમંત એસ. બારૈયા, કાવઠ)

* તમે લખ્યા મુજબ, ફિલ્મ જોતા જોતા તમને બાજુવાળાને પોપકોર્ન ધરવા દે, એવા હકીભાભી છે ખરા?
- બે-ચાર વાર તો એ ય ખઈ ગઈ’તી... જે પોપકોર્ન મેં નહોતા ધર્યા!
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* સ્ત્રીને એક કોયડો કહેવાય છે, તો પુરૂષ શું છે?
- ઉકેલ.
(સંદીપ એચ. દવે, જૂનાગઢ)


* પુરૂષોનું શોષણ અટકાવવા કોઈ કાયદો નહિ ?

- આવે છે... આવે છે... પાર્લામેન્ટમાં પુરૂષોની ૩૩ ટકા અનામત બેઠકોનો કાયદો આવે છે.... હોઓઓઓ!
(જયદીપ આર. સોલંકી, આટકોટ)

* જગતનું સૌથી મોટું સુખ ક્યું ?
- વગર કારણે પણ હસી શકો તે.
(જાહનવી-નિખિલ વસાવડા, મુંબઈ)

* શું ગૃહમંત્રીઓનું પોતાના ઘરમાં કાંઈ ઉપજતું હશે ખરૂં ?
- મને ખ્યાલ છે ત્યાં સુધી પ્રફુલ્લભાઈ પટેલ એક આદર્શ પતિ છે.
(કાવ્યા પટેલ, સુરત)

No comments: