Search This Blog

18/12/2011

ઍનકાઉન્ટર : 18-12-2011

* વડીલો તો કહેતા, ‘પાપની જાહેરાત કરવી અને પૂણ્ય છુપું રાખવું’. આજે આ કથન કેટલું પ્રસ્તુત છે.
- વડીલો એ વખતે એ જ કહેતા’તા, જે આજે કહે છે. પાપ-પૂણ્ય આપણા નહિ. બીજાના માટે આ વાત કહેવાઈ છે.
(ડી. કે. માંડવીયા, પોરબંદર)

* ગાંધી-પરિવારના ફરજંદ એમની આ એક માત્ર લાયકાતથી શું ભારતના વડાપ્રધાન બની જશે ?
- એ એક માત્ર લાયકાત બાકીના ૧૦૦-કરોડને વડાપ્રધાન બનતા રોકી શકે એમ છે.
(અનિષા વ્યાસ, જામનગર)

* મેં અનેક કૂકિંગ-કલાસીસ ભર્યા, વાનગીના પુસ્તકો વાંચ્યા, છતાં મારી રસોઈ મારા પતિ વખાણતા નથી. શું કરૂં ?
- તમારી રસોઇના કોક બીજીના પતિ વખાણ કરે, એ ટ્રીક કોઈ ક્લાસ-બાસ ભર્યા વગર શીખી લેવી !
(હિના નાણાવટી, રાજકોટ)

* બૉમ્બ-વિસ્ફોટોના અનેક કોયડા ટીવી પરની ‘સીઆઈડી’ સીરિયલવાળાને તરત મળી જાય છે તો સરકારને કેમ નહિ ?
- હા, પણ એટલા માટે સરકાર ચલાવવા કાંઈ સીઆઈડીવાળાઓને ના અપાય!
(પુલીન સી. શાહ, સુરેન્દ્રનગર)

* સ્ત્રીઓ આખલાથી નથી બીતી, એટલી ગાયથી કેમ બીએ છે ?
- પુરૂષોથી શું બીવાનું ?... હંહ...!
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

* લગ્નને માંડવે સાસુ જમાઈનું નાક કેમ ખેંચે છે ?
- નાડું ના ખેંચાય એટલે.
(અનિલ દેસાઈ, નિયોલ- સુરત)

* માણસ મરી ગયા પછી ક્યાં જતો હશે ?
- ઓ બેન... હવે તો પૂછપરછ બંધ કરી, એને હખે મરવા તો દો ! હવે ક્યાં ખોટું બોલવાનો છે...?
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* બૅન્કોમાં કમ્પ્યુટરોમાં પ્રોગ્રામ બદલે ત્યારે ઘણીવાર ગ્રાહકો મુશ્કેલીમાં મૂકાઈ જાય છે.. તેનું શું ?
- તો ય ખાતું દરજીની દુકાનમાં કે અંધજન મંડળમાં ન ખોલાવાય !
(મઘુરી આઈ. લાકડાવાલા, સુરત)

* લોકોને મઘુબાલા આટલી બધી ગમતી હતી, તો ઈશ્વરે ગામેગામ આવી ૮-૧૦ મઘુબાલા સર્જી હોત તો ?
- એ તો બરાબર છે, પણ ગામે-ગામ આટલા બધા અશોક દવેઓ ક્યાંથી લાવવા?
(મીના નાણાવટી, રાજકોટ)

* આટઆટલા સીસીટીવીઓ મૂકવા છતાં ચોર-આતંકવાદીઓ પકડાતા કેમ નથી ?
- પોલીસનો મંત્ર છે, ‘પકડા-પકડી ત્યાં નહિ પરમેશ્વર’.
(દેવેન્દ્ર શાહ, વડોદરા)

* અંગ્રેજીથી પ્રભાવિત લોકો ‘રામ’નું ‘રામા’, ‘શિવ’નું ‘શિવા’ કે ‘યોગ’નું ‘યોગા’ બોલે છે... કેમ ‘ગૉડ’નું ‘ગૉડા’, ‘વૂમન’નું ‘વૂમના’ કે ‘ફાધર’નું ‘ફાધરા’ નથી બોલતા ?
- એવું એમનું ‘હાર્ટા’ નથી માટે.
(નેહલ પટેલ, અમદાવાદ)

* અન્ના હજારેના ઉપવાસનો મતલબ ?
- નવા ઉપવાસનું રીહર્સલ.
(જીનલ/ભવ્યા/ધવલ, અંકેવાળીયા- લીમડી)

* બિરબલના સમયમાં તમે હોત તો ?
- બિરબલ આટલું ફાલતુ લખતો’તો ?
(વિજય ભોગી, મુંબઈ)

* સામેથી આવતા યુવાનને જોઈને યુવતી નીચું કેમ જોઈ જાય છે ?
- કઈ કમાણી ઉપર મોઢું બતાવવું ?
(જયેશ ટી. પંડ્યા, સાણંદ)

* સ્વ. જ્યોતીન્દ્ર દવે તમારા શું સગા થાય ?
- મળવાનું થશે, ત્યારે પૂછી જોઈશ.
(એ.કે. પરમાર, વડોદરા)

* ભેંસ કાળી હોવા છતાં દૂધ સફેદ કેમ આપે છે ?
- ના આલે તો ભેંસની બા ખીજાય !
(અવંતિકા એ. ગજ્જર, પાલણનગર- જી. સુરત)

* ભગવાનને કોણે બનાવ્યા ?
- એમની બાએ.
(જયંત, રાજકોટ)

* રાખી સાવંત જેવી હલકા સ્તરની હીરોઈનોને ટીવીવાળા આટલું મહત્ત્વ કેમ આપે છે ?
- બીજી કઈ તમને સારી લાગી ?
(મુસ્તફા વાય. ત્રવાડી, પોરબંદર)

* આટઆટલા બૉમ્બ-બ્લાસ્ટ્‌સ છતાં ક્યાંય ચૅકિંગમાં ગંભીરતા કેમ નથી દેખાતી ?
- ગંભીરતા તો સીસીટીવી-કૅમેરામાં ય નથી પકડાતી, બોલો !
(પ્રેરક બ્રહ્મભટ્ટ, અમદાવાદ)

* ‘ગુપ્તચર વિભાગ’. આ ગુપ્તચર એટલે શું ?
- ગુપ્ત રહી ચરી આવે એ.
(સુબોધ નાણાવટી, રાજકોટ)

* ગરીબ મંદિરની બહાર અને ધનવાન મંદિરની અંદર ભીખ માંગે છે. આ સિવાય બન્ને વચ્ચે કોઈ ફરક ખરો ?
- હાલમાં તમે ક્યાં ઊભા છો, એ જણાવો તો ખબર પડે !
(ચેતન ઈન્દ્રવદન શાહ, ઝનોર, જી. ભરૂચ)

* ધર્મની બહેન વાસ્તવમાં બહેન નથી હોતી. ધર્મનો ભાઈ ભાઈ નથી હોતો... ધર્મપત્ની...??
- એમાં ‘ધરમ’ નથી હોતો.. ખાલી ‘હેમા’ જ હોય છે !
(દિવ્યા રામનાથન, વડોદરા)

* સવાલોના જવાબો આપી આપીને તમે કંટાળતા નથી ?
- મારા લગ્નને ૩૫- વર્ષ થયા.
(કિંજલ એ. મોદી, પાટણ)

* આપણે કોઈનાથી ડર્યા વગર શાંતિથી લાંચ ક્યારે લઈ શકીશું ?
- હા... પણ એ શું સારૂં લાગશે ?
(સાત્વિક/હર્ષા/ભરત, ગાંધીનગર)

* સરકારને આવેદનપત્ર અપાય, પછી એનું શું થશે ?
- ઓફિસમાં ગોટા-પકોડા ખાઈ લીધા પછી ટેબલ લૂછવાનું ય નહિ ?
(અંકિત ગજાનનભાઈ ત્રિવેદી, મોડાસા)

* પ્રભુ શ્રીરામ વનમાં ગયા, ત્યારે ભરતે એમની પાદુકાને પ્રભુ ગણીને રાજ્ય કર્યું હતું... સોનિયા હમણાં પરદેશ ગયા ત્યારે...?
- ત્યારે ડૉ. મનમોહનજી ફક્ત ‘નાઈકી’ના શૂઝ પહેરતા હતા !
(ડૉ. અમિત પી. વૈદ્ય, ડેમાઈ- તા. બાયડ)

No comments: