Search This Blog

05/05/2013

ઍનકાઉન્ટર-05-05-2013

* થોડા સમય પહેલા ગાંધીનગરના એક વાનરે ધમાલ મચાવી અનેકને ઘાયલ કર્યા હતા... એ વાનરના શું સમાચાર છે?
- એ વાંદરો ખરીદવાના દિલ્હીમાં આજકાલ બ્લૅક બોલાય છે.
(ગોવિંદ એમ. પટેલ, પૂણે-મહારાષ્ટ્ર)

* માણસે જીવનના કયા પ્રસંગે ચૂપ રહેવું જોઇએ?
- સવારે બ્રશ કરતી વખતે.
(વિનુ ભટ્ટ, બાબરા-અમરેલી)

* વાચકોને 'એનકાઉન્ટર' ગમવાનું કારણ શું?
- પૂછનારે કે જવાબ આપનારે ક્યાંય બુધ્ધિ વાપરવી પડતી નથી.
(પ્રતાપ બી. ઠાકોર, ખરેટી-માતર)

* સ્ત્રીઓ ચૂપ કેમ રહી નથી શકતી?
- હોઠ પર ભૂલથી ફેવિસ્ટીકને બદલે લિપસ્ટીક લગાડી દે છે.
(ભરત ડી. સાંખલા, ડીસા)

* હું લખવા બેઠો છું, પણ શું લખું અને શું ન લખું?
- અક્ષરજ્ઞાન અને મોતીયાની પૂરતી તપાસ કરાવી લો.
(મનોજ ઝાલા, સંજાણ)

* દિલ્હી અને દેશમાં બનતી ઘટનાઓ જોયા પછી એવું નથી લાગતું કે, આપણે સ્વાતંત્ર્ય દિન ઉજવવાને લાયક નથી?
- બેશક આપણે જગતની સર્વોત્તમ પ્રજા છીએ.... થોડા ઘણા નાલાયકોને કારણે સ્વતંત્રતાનું મૂલ્યાંકન ઓછું ન અંકાય...! બહુ બલિદાનો આપીને આઝાદી મેળવી છે.
(તસ્નીમ હકીમુદ્દીન વ્હોરા, ઉમરેઠ)

* તમે ૧૩-ના આંકડાને અપશુકનવંતો માનો છો?
- પોતાની કાબેલિયત નહિ, તકદીર ઉપર જ ભરોસો રાખનાર બુઝદિલો આવા બધા ફતૂરોમાં માને!
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

* મારી ઘરવાળીનું વજન ખૂબ વધતું જાય છે... કોઇ ઉપાય?
- કાં તો વજનકાંટો બદલી નાખો ને કાં તો ઘરવાળી બદલી નાંખો! યાદ રાખો, ક્રાંતિ હંમેશા ભોગ માંગી લે છે.
(અસીત એસ. ગાંધી, ગોધરા)

* ગોરધન મરે તો 'દિયરવટું' થતું, પણ વાઇફ મરે તો 'સાળીવટું' કેમ નથી થતું?
- હું તો પ્રભુને પ્રાર્થના કરું છું કે, મારી વાઇફને બસ્સો વર્ષ જીવાડજે... મારે ૭૫-૭૫ વાળી ત્રણ સાળીઓ છે.... તમારી યોજના મુજબ ત્રણે વળગે તો મારા તો ફોદાં નીકળી જાય કે નહિ?
(સુનિલ નાણાવટી, રાજકોટ)

* લોકો તેન્ડુલકરને નિવૃત્ત થવાનું કહે છે, પણ ૮૦-૮૦ વર્ષના રાજકીય ડોહાઓ માટે કેમ આવું ઝનૂન ઊભરતું નથી?
- સચિને દેશને ઘણું આપ્યું છે ને ડોહાઓએ ઘણું લીધું છે... આપનાર કરતા લેનારનો હાથ ઊંચો હોય છે!
(ઉપેન્દ્ર એ. વાઘેલા, રાજકોટ)

* બળાત્કાર ને છેડતી તો દૂર રહી, કેટલીક બિચારીઓની તો સામે ય કોઇ જોતું નથી... શું આને રેપથી ય મોટો ગૂન્હો ન કહેવાય?
- બળાત્કાર જગતનો અધમોધમ ગૂન્હો છે. એની સરખામણી અન્ય કોઇ ગૂન્હા સાથે થઇ ન શકે.
(સુબોધ નાણાવટી, રાજકોટ)

* આજકાલ 'મુન્ની' અને 'મુનિ' બન્ને બદનામ કેમ છે?
- મુન્ની લીધેલા પૈસાનું વળતર આપે છે... મુનિઓ દાનપૂણ્યને નામે ખંખેરી નાંખે છે. અલબત્ત, અંગત રીતે મને જૈન મુનિ શ્રી.ચંદ્રશેખર વિજયજી માટે પૂરતો આદર છે, જેમણે ભારત દેશ માટે અનેક પુસ્તકો લખ્યા છે, દેશભકિતને ઉન્નત કરી છે અને બીજાં ધર્મોને ઉતારી પાડયા નથી.
(લલિત ઓઝા, જૂનાગઢ)

* નાટકો કરીને ઝૂંપડપટ્ટીમાં જમવા બેસે કે લોકલમાં મુસાફરી કરે, એવા રાજકારણીઓ માટે શું માનો છો?
- આ લોકો વેશ્યાલયોમાં જઇને 'પ્રવૃત્ત' હોવાના ય ફોટા પડાવી શકે છે ને પછી ટીવી-કૅમેરા સામે બોલશે, ''યે સબ ભી હમારી માં-બહેન કે સમાન હૈ...!''
(શિરીષ વસાવડા, વેરાવળ)

* ન્યાયની દેવીની આંખે પટ્ટી હોવાનું કારણ શું?
- કન્ઝક્ટિવાઇટીસ.
(કમલા વડુકૂળ, રાજકોટ)

* બુલબુલની હાલત અને શિકારીની નિયત બદલાઇ નથી... ચમનનું શું થશે?
- શિકારીને જીવવાનું હોય છે, બુલબુલને બચવાનું હોય છે... જો જીતા વો હી સિકંદર!
(જાગૃતિ ગોસ્વામી, પોરબંદર)

* આપની શુક્રવારની કૉલમમાં ફિલ્મ 'ડૉકટર'ના રિવ્યૂમાં લખ્યું હતું, ''યે રાતેં, યે મૌસમ, યે હંસના, હંસાના..'' દરેક કાકાએ કાકી સામે ખુરશી પર બેસાડીને રોજ રાત્રે ગાવું જોઇએ... મતલબ?
- એવું નથી...! આમાં તો કાકીએ-કાકીએ ફરક હોય છે... મોટા ભાગની કાકીને બેસાડીને 'રાધે રાધે રાધે, શીરા-પુરી ખાજે... હોઓઓઓ' જેવી મધુર ધૂન ગાવી જોઇએ!
(ગોપાલ ઉદ્દેશી, મુંબઈ)

* રાજકારણીઓ કે પોલીસો તો સમજ્યા, ડૉકટરોની ફાંદો ય કેમ વધતી જાય છે?
- દવા બનાવનારી કંપનીઓ પહેલા પૅન-સૅટ જેવી મામુલી ગિફટ આપતી હતી... પછી ડૉકટરોને ફૅમિલી સાથે પરદેશ પ્રવાસો ગિફટમાં આપવા માંડી.... એ બધાનો બદલો લેવા હવે ફાંદ આપે છે.
(જીતેન્દ્રસિંહ રાઠોડ, વાઘપુર-પ્રાંતિજ)

* તમામ મોરચે નિષ્ફળ ગયેલા મનમોહનસિંઘને ભારતની પ્રજાએ કયું પારિતોષિક આપી શકાશે?
- 'મરણોત્તર'.
(તપસ્યા ધોળકીયા, અમદાવાદ)

* આદર્શ પત્ની મેળવવાનો કોઇ ઉપાય?
- આપણે ત્યાં આદર્શ કન્યા શોધાય છે, તૈયાર આદર્શ પત્ની નહિ!
(માલવ પી. મારૂ, સુરત)

* આપણા સાધુ-આચાર્યો સફેદ કે ભગવા રંગની લૂંગી ધારણ કરવાનું શું કારણ?
- ઍર કન્ડિશન્ડ.
(કનોજ વસાવા, ઉમરપાડા-સુરત)

* પેલી ૨૧-મી ડીસેમ્બરની પૃથ્વીના વિનાશની આગાહી ખોટી પડી... 'ગૉડ ઈઝ ગ્રેટ' જ સાચું છે ને?
- ભગવાનોને ય એક સામટા આટલા મોટા જથ્થામાં ભક્તો ગૂમાવવા પોસાય નહિ! એ લોકોએ પોતાની લાજ બચાવી લીધી!
(અખિલ બી. મહેતા, પાટણ)

* દીકરી ને ગાય દોરે ત્યાં જાય, તો દીકરો ક્યાં જાય?
- એના બાપના તબેલામાં.
(એમ.જી. માવદિયા, વસઇ-મહારાષ્ટ્ર)

* સ્ત્રીના વેષમાં સફળતાથી ભાગવા મળ્યું હતું, એ ગુરૂ હવે તો એ ડ્રેસ કાયમ સાથે જ લઇને ફરતા હશે ને?
- ડ્રેસ જાવા દિયો... એ ગુરૂ એવો રોલ આજે પણ ભજવી રહ્યા છે!
(અંકિત જી. ત્રિવેદી, મોડાસા)

* નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વિશે કાંઇ કહેવું છે?
- રાહુલ ગાંધી વિશે કોઇ કાંઇ બોલવા માંગતું નથી ને નરેન્દ્ર મોદી માટે એકલું મીડિયા બોલે જાય છે!
(તુષાર સુખડીયા, હિમતનગર)

* કેટલાક લોકો મૉર્નિંગ-વૉકમાં કૂતરાને સાથે લઇને કેમ જાય છે?
- એ બેમાંથી કૂતરો કયો છે, એ લોકો ભૂલી ન જાય માટે!
(રોહિત પ્રજાપતિ, સાંથલ-મેહસાણા)

No comments: