Search This Blog

26/05/2013

ઍનકાઉન્ટર 26-05-2012

* હાથે મૂકેલી મેંહદીનો કલર સારો આવે તો એવું મનાય છે કે, એ સ્ત્રીને એનો પતિ ખૂબ પ્રેમ કરે છે... તમે માનો છો ?

- એ મેંહદી સ્ત્રીના વાળમાં મૂકાઈ હોય છતાં ગોરધન એનો એ જ ટકી રહ્યો હોય તો માનું કે, પતિ પ્રેમીલો છે.
(રાજેશ વી. શુકલ, ભરૂચ)

* શ્રેષ્ઠ પત્રલેખક મહાત્મા ગાંધી હયાત હોત તો 'ઍનકાઉન્ટર'માં સવાલ પૂછત ખરા ?
- તેઓ હિંસાથી સદા ય દૂર હતા.
(સ્વપ્નેશ મોદી, વ્યારા)

* બ્રશ કરતી વખતે અરીસામાં દાંતને બદલે ચેહરો કેમ જોવાય છે?
- પેલું એકમાં પતે... ને દાંત માટે ૩૨-રાઉન્ડ મારવા પડે !
(સિધ્ધાર્થ એન. શેઠ, જામનગર)

* દર વખતે તમે, 'તારી ભલી થાય ચમના...' કહો છો... તો 'ચમની'એ તમારૂં કાંઈ બગાડયું છે ?
- ચમનીનું સુધરે તો ચમનાનું ભલું ક્યાંથી થવાનું છે?
(પ્રમોદ સિંઘલ, આબુરોડ-રાજસ્થાન)

* રાહુલ ગાંધી ચૂંટણી પ્રચારોમાં નેહરૂ, ઈંદિરા, મોતીલાલ કે પાપા રાજીવ ગાંધીના બલિદાનોના થાળીવાજાં વગાડે છે... પણ રાહુલનું પોતાનું શું ?
- આપણે ઇચ્છીએ કે, રાહુલ બાબાને ક્યારે ય બલિદાન ન આપવું પડે... એમને તો બલિદાનો માંગવાના હોય!
(જીતેન્દ્ર રામભાઈ પટેલ, ઊંઝા)

* તમે એક મહિના માટે દિલ્હીના પોલીસ-કમિશ્નર બનો તો?
- બીજા મહિનાથી ટીવી-ન્યૂઝમાં ચમકવાનું ચાલુ !
(જયેશ અંતાણી, ભાવનગર)

* હું ૧૭-વર્ષની છું, પણ દુષ્ટ લોકોને જોઈને એમ થાય છે કે, સંસાર છોડીને વૈરાગ્ય લઈ લઉં... સુઉં કિયો છો ?
- એક વખત આવી જાહેરાત મેં પણ કરી હતી... પણ એ સાંભળીને, અગાઉ વૈરાગ્ય લઈ ચૂકેલા દૂષ્ટો ડઘાઈને સંસારમાં પાછા આવી ગયેલા... !
(વૃત્તિ અધ્યારૂ, પાટડી-સુરેન્દ્રનગર)

* સમાજમાં માણસાઈ ઓછી થતી જાય છે ને બીજી બાજુ Being Human ના ટી-શર્ટો પહેરવાનો મહિમા કેમ જાગ્યો છે ?
- આવા ટી-શર્ટો પહેરનારાઓ સ્ત્રીને જુએ ત્યારે ''Hu '' ઉપર હાથ મૂકી દે છે... !
(મિલિન્દ એમ. કેળકર, વાસદ)

* લગ્નમંડપમાં કન્યાને પાનેતર પહેરવું ફરજીયાત હોય છે, વર માટે કેમ નહિ ?
- વરથી એવું એવું ના પહેરાય... બા ખીજાય !
(નલિન ત્રિવેદી, જામનગર)

* સાંભળ્યું છે કે, તમે અને શાહરૂખ ખાન લંગોટીયા મિત્રો હતા... !
- હશે, પણ હું તો લંગોટ પહેરતો હતો... !
(ઉત્સવ, રાજકોટ)

* ભારતીય નારીની સાચી ઓળખાણ કઈ ?
- 'ભારતીય' હોવું, એ જ વિશ્વની સર્વોત્તમ ઓળખાણ છે.
(ઝૂબૈદા યુ. પૂનાવાલા, કડી)

* કેટલાક લોકો કહે છે, મોબાઈલથી પકડાઈ જવાય પણ જુઠ્ઠું બોલીને છુટી જવાય છે. શું કરવું ?
- મોબાઈલ પકડીને જુઠ્ઠું બોલવું.
(ઓમ/ફાલ્ગુની/હરિણી/કેદાર/હૅરિક દવે, જૂનાગઢ)

* શ્રી ગણપતિની પૂજા કરીએ તો ભગવાન શંકર પ્રસન્ન થાય, પણ શંકરની પૂજા કરવાથી ગણેશજી પ્રસન્ન થાય ખરા ?
- તમામ દેવોમાં બાપ-દીકરાનો આ એક જ સૅટ આપણી પાસે પડયો છે... ગમે તેની પૂજા કરો, બન્ને પ્રસન્ન !
(દીપા કતીરા, ભૂજ)

* નાનપણથી વૃદ્ધાવસ્થા સુધી સાથ આપે એવી ચીજ કઈ ?
- નગરપાલિકા.
(લલિત ઓઝા, જૂનાગઢ)

* આજે માનવ પોતે સુખી હોવા છતાં, પોતાના કરતા બીજાને વધારે સુખી કેમ માને છે ?
- આપણા ઘરના પગલૂછણીયા કરતા બાજુવાળાના પગલૂછણીયા ઉપર પગ વધારે સારા લૂછાય છે.
(ડી.કે. માંડવીયા, પોરબંદર)

* શ્રીરામ, શ્રીકૃષ્ણ અને શ્રી મહાદેવજી... ત્રણેમાંથી પરમ શ્રેષ્ઠ કોણ ?
- મારે તો હમણાં મહાદેવજી સાથે જરા હટી ગઈ છે... મારાથી હમણાં કાંઈ ન બોલાય !
(મોના જે. સોતા, મુંબઈ)

* ગયા 'વેલેન્ટાઈન-ડે'ના દિવસે તમે તમારી વાઈફને શું ભેટ આપી હતી ?
- દિવસે નહિ...
(હકીમ હુસેન સવઈ, મુંબઈ)

* જંગલી પ્રાણીઓ જંગલ છોડીને હવે શહેર તરફ કેમ આવવા માંડયા છે ?
- તમે ક્યાં રહો છો ?
(નૈષધ દેરાશ્રી, જામનગર)

* તમારે પત્ની સાથે ઝગડો થાય ખરો ?
- એનો આધાર એ કોની પત્ની છે, એની ઉપર છે.
(રૂપા કોઠારી, જસદણ)

* એસ.ટી. બસમાં સીનિયર સિટિઝનો માટે કન્સેશન કેમ નહિ ?
- સીનિયર સિટિઝનો જાણે છે... મરેલીને શું મારવી ?
(ઈન્દ્રવદન આર. પંડયા, હરસોલ)

* તમારા પત્ની અને ડિમ્પલ કાપડીયા વચ્ચે સૌંદર્યનો તાજ પહેરાવવાનો હોય તો તમે કોને પસંદ કરો ?
- અફ કોર્સ, પત્નીને જ! સની દેવલ ડંડો લઈને ફરી વળે, એવી બીક તો નહિ !
(લતા પટેલ, મહેસાણા)

* તમે જીંદગીથી ધરાઈ જાઓ ત્યારે શું કરો છો ?
- તરસ્યાઓના જવાબો આપું છું.
(પંકજ દફતરી, રાજકોટ)

* જે ઘરમાં પુત્રવધૂ દીકરી બનીને રહે ને સાસુ વહુને દીકરીની જેમ રાખે, એ ઘરમાં પ્રભુ પ્રસન્ન રહે. સુઉં કિયો છો ?
- પ્રભુને ફ્રી-ઑફ-ચાર્જ રાખવાના ને... ?
(જગદિશ ઠક્કર, મુંબઈ)

* વાણીયાઓ વિશે આપનો શું અભિપ્રાય છે ?
- જૈન અને વૈષ્ણવ... બન્ને વાણીયાઓ ગુજરાતની પ્રથમ પાંચ જ્ઞાતિઓમાં બીજા અને ત્રીજા નંબરે આવે !
(આસ્થા ભાવિન કોઠારી, રાજકોટ)

* તમે ફૅસબુક પર કેમ નથી ?
- ચૅકબૂક પરે ય નથી.
(દૂરવેશ યુ. કાસિમ, ગોધરા)

* બુદ્ધિમાન શ્રીમંત બની શકે છે, પણ શ્રીમંત પૈસાથી બુદ્ધિમાન બની શકતો નથી. સાચું ?
- પૈસો આવી ગયા પછી બુદ્ધિની જરૂર જ ક્યાં છે ?
(ફિરોઝ ડી. ગાર્ડ, અમદાવાદ)

No comments: