Search This Blog

03/05/2013

'નઇ રોશની' ('૬૭)

ફિલ્મ : 'નઇ રોશની' ('૬૭)
નિર્માતા : વાસુ મેનન
દિગ્દર્શ : સી. વી. શ્રીધર
સંગીત : રવિ
ગીત- સંવાદ : રાજીન્દર કિશન
રનિંગ ટાઇમ : ૧૭ રીલ્સ
થિયેટર : રીગલ (અમદાવાદ)
કલાકારો : અશોકુકમાર, રાજકુમાર, માલા સિન્હા, તનુજા, વિશ્વજીત, શૈલેષકુમાર, અસિત સેન, ભાનુમતિ, પહાડી સાન્યાલ, જ્યોતિલક્ષ્મી, ચમનપુરી, પ્રતિમાદેવી, અનવર હુસેન. 
***
ગીતો
૧. યે તોહફા તુમ્હારે પ્યાર કા, દિલ સે પ્યારા, જાન સે પ્યારા આશા ભોંસલે
૨. કીસી તરહા જીતે હૈ યે લોગ બતા દો યારો, હમ કો ભી મુહમ્મદ રફી
૩. જીતની લિખ્ખી થી મુકદ્દર મેં, હમ ઉતની પી ચૂકે મુહમ્મદ રફી
૪. તેરી આંખ કા જો ઇશારા ન હોતા તો બિસ્મિલ કભી દિલ મુહમ્મદ રફી
૫. ગરીબોં કા જીના ભી હૈ કોઈ જીના, ગરમી યા સરદી પસીના મુહમ્મદ રફી
૬. મૈ ગુન્હેગાર હું જો ચાહા સઝા દો મૂઝકો, મેને અપને સપને મેં લતા- મહેન્દ્ર કપુર
૭. સપને હૈ સપને કબ હુએ અપને, આંખ ખૂલી ઓર તૂટ ગયે લતા મંગેશકર 
***

http://www.youtube.com/watch?v=UEqW4WyS5t0&wide=1

જે ફિલ્મમાં અશોક કુમાર, રાજકુમાર, માલા સિન્હા અને તનૂજા જેવી ઉત્તમોત્તમ સ્ટારકાસ્ટ હોય, એ ફિલ્મ આંખ મીંચીને (ક્ષમા... આંખો ખુલ્લી રાખીને) જોઈ જ લેવી પડે. આ લોકો એક્ટિંગના રાજા- બાદશાહો ને મહારાણીઓ હતા. વિશ્વજીત પણ હતો, પણ એને તો નાનું છોકરૂં સમજીને ફિલ્મ જોતા જોતા થોડીવાર રમાડી લેવાનું હોય, એટલે એ કાંઈ આપણને બહુ નડે નહિ. 

આપણે સ્કૂલ- કૉલેજમાં હતા, ત્યારે મદ્રાસની એવીએમ, જૅમિની કે વાસુ મેનનની ફિલ્મો બહુ આવતી. મદ્રાસની મોટા ભાગની ફિલ્મો સુપરહિટ હોય. પરિવારની સ્વચ્છ અને સંસ્કારી ઘરોમાં પસંદ પડી જાય એવી વાર્તાઓ એમાં હોય. પ્રોડક્શન પણ મુંબઈની ફિલ્મો કરતા હજાર દરજ્જે ઊંચા ઘરાણાનું. એમાં વાસુ ફિલ્મ્સના નેજા હેઠળ વાસુ મૅનને બહુ થોડી પણ સુંદર ફિલ્મો બનાવી હતી. આશા પારેખ- ગુરૂદત્તની 'ભરોસા', નૂતન- સુનિલ દત્તની 'ખાનદાન', 'નઇ રોશની', હેમા- જીતેન્દ્રની 'વારીસ' અને છેલ્લે 'સાસ ભી કભી બહુ થી' 

યાદી ઉપરથી જોઈ શકાશે કે, સંગીતકાર રવિ વાસુ મૅનનની ફિલ્મોમાં છવાયેલા હતા. 'નઇ રોશની' રવિ માટે વાસુ મેનનની છેલ્લી ફિલ્મ હતી. ગીત- સંગીત તો મધુરા હતા જ, પણ રફી સાહેબના ચાર- ચાર સોલો ગીતો હોવા છતાં ક્યાંય કશું કાચું બેશક કપાયું હતું. રફીના ડાય-હાર્ડ ચાહકો પાસે ય એમની પસંદગીના પહેલા ૧૦ ગીતોમાં 'નઇ રોશની'નું એકે ય ન આવે, એમાં વાસુએ રવિને ત્યજી દીધા. આ બાજુ રાહુલદેવ બર્મન નામનું વાવાઝોડું આવ્યું એમાં રવિ- ફવિ બધા ઊડી ગયા ને બર્મને 'વારીસ'માં તદ્દન નવી બ્રાન્ડનું છતાં લોકોને ગમે તેવું સંગીત આપ્યું. 

આ ફિલ્મમાં આદત મુજબ, ગીતકાર રાજીન્દર કિશને ખૂબ અસરકારક ગીતો લખ્યા છે. સંવાદો તો રાજકુમાર અને અશોક કુમાર જેવા મહારથીઓ પાસે બોલાવાના હોય એટલે કાચોપોચો સંવાદલેખક ચાલે નહિ, પણ અહીં રાજીન્દરમાં પડેલો સાહિત્યકાર પણ દેખાયો છે. સંવાદોમાં ચમત્કૃતિ છે. ક્લબોમાં જવાની ફેશનેબલ વાઇફ ઘરમાં ઍર-કન્ડિશન નંખાવાની ફર્માઇશ અશોકકુમારને કરે છે, ત્યારે દાદામોની કહે છે, ''ઍર કન્ડિશન તો ઠીક હૈ ભાગવાન... લેકીન પહેલે અપની કન્ડિશન ભી દેખની ચાહિયે ?'' રાજકુમારને તો તોતિંગ સંવાદો મળવા જ જોઈએ, એ મુજબ એ કહે છે, ''મેરે પૈદા હોને કે કિતની દેર કે બાદ મેરી મા ક્લબ ગઈ થી, જાનતે હો ?'' 

રાજકુમારનો મફલરનો શોખ બેમિસાલ તો ખરો પણ ઘણીવાર આંચકો આપનારો ય લાગતો. ફિલ્મની વાર્તા મુજબ ગરમી... ગરમી ને સખ્ત ગરમીના સંદર્ભો અપાય છે, પણ એ જ વખતે રાજકુમાર ગળે મફલર બાંધીને એની ઑફિસમાં બેઠો હોય છે. જ્હોની લિવરની મિમિક્રીમાં આવતું હતું કે, એક પ્યાલા-બરણીવાળી મુંબઈની એક સોસાયટીમાં બૂમો પાડતી જતી હતી, જ્યાં ફિલ્મસ્ટારો રહેતા હતા. અશોકુકમારે પોતાની જૂની શૉલ કાઢી, જીતેન્દ્રએ એનું કાયમી સફેદ પાટલૂન કાઢ્યું, રાજકુમારે મફલર અને દારાસિંઘે લંગોટ આપીને બે વાસણ લીધા. 

વાર્તા : પ્રોફેસર કુમાર (અશોક કુમાર) હાયર-મિડલ ક્લાસના સજ્જન છે. તેની પત્ની (ભાનુમતિ - સાઉથ) અને બે દીકરીઓ માલા સિન્હા અને તનૂજા સાથે સુખેથી રહે છે. માલા એમની સગી દીકરી નથી. માલા સિન્હા ટિપીકલ ઇન્ડિયન કલ્ચરમાં ઉછરેલી સંસ્કારી છોકરી છે, પણ તનૂજા મોડર્ન જમાનાની સ્ટુપિડ છોકરી છે. ન્યાયમૂર્તિ પહાડી સન્યાલના કુપુત્ર શૈલેષકુમાર સાથે તનૂજા પ્રેમમાં છે. આ છોકરો આવારા અને ઐયાશ છે, તેની ખબર માલાને પડી જાય છે અને તનૂને રોકવા કોશિષ કરે છે, પણ ત્યાં સુધીમાં તો તનૂ પ્રૅગનન્ટ બની ચૂકી હોય છે. અશોકકુમારનો એકનો એક દીકરો જ્યોતિ (રાજકુમાર) ઘર છોડીને અન્યત્ર રહે છે. શરાબી હોવાને કારણે રાત્રે મોડો ઘેર આવે- ન પણ આવે અને પોતાના પરિવાર અને મા-બાપથી વિદ્રોહી છે. મને જન્મ આપીને પિતા પુસ્તકોમાં અને માતા ક્લબોમાં ગૂમ થઈ ગઈ. મને ઘરની નોકરાણીએ ઉછેર્યો, એ ફરિયાદ એની કાયમી છે. દરમ્યાનમાં પ્રકાશ (વિશ્વજીત) નામનો એક યુવાન મોટો વિસ્ફોટ કરે છે અને પ્રો. કુમારે આ પ્રકાશની મા (સુલોચના લટકાર)ને પ્રસૂતા બનાવીને એટલા માટે છોડી દીધી હતી કે સુલોચનાની આંખો જતી રહે છે. એક તરફ પોતાની દીકરી નાજાઇઝ સંતાનની મા બનવા ઉપર આમાદા છે ને બીજી તરફ આ નવો વિસ્ફોટ ! 

અશોકકુમાર એમાંથી બહાર આવે છે કે નહિ, એ જાણવા ફિલ્મ જોવી જરૂરી ! 

ફિલ્મ જોવી ગમે એવી બની હોવાનું સાદું કારણ એના દિગ્દર્શકને વાર્તા કહેતા આવડી છે. ઘટનાઓ એક પછી એક સરળતાથી બનતી જાય છે. બિનજરૂરી મેલોડ્રામા (કરૂણ વાત) નથી આવતો અને જ્યાં થોડો ઘણો આવવા જાય છે, ત્યાં 'જાની'ની એન્ટ્રી પડે, એટલે પ્રેક્ષકોમાં મર્દાનગી આવવા માંડે. માલા સિન્હા સાથે આમ તો જીતુભ'ઇવાળી ફિલ્મ 'મેરે હુઝુર'માં એ રોમેન્ટિક રોલમાં હતો, પણ અહીં માલાનો એ ભાઈ બને છે. કોને પોતાની પાસે આવવા દેવો ને કોને નહિ, એની સખ્તાઈ રાજકુમાર પાસે હતી, શુટિંગ દરમિયાન નવરાશમાં એ કોઈ ઇંગ્લિશ ક્લાસિક વાંચે. સામાન્ય માણસોની માફક સામાન્ય પુસ્તકો ય તેની પાસે જવાની હિંમત નહોતા કરતા. 

માલા સિન્હા મૂળ નેપાળની ક્રિશ્ચિયન હતી, નામ માલા આલ્બર્ટ સિન્હા. ચિદામ્બરપ્રસાદ લોહાણીની એ પત્ની હતી. ફિલ્મ 'દિલ તેરા દિવાના'ના શુટિંગ દરમિયાન ભાઈ શ્રી શમ્મીકપૂર એના રૂપ ઉપર પાગલ થઈને 'આઇ લવ યુ' કહી બેઠા. બીજા જ દિવસે સ્ટુડિયોમાં માલાએ શમ્મીને બધાની વચ્ચે રાખડી બાંધીને યોગ્ય જવાબ પાઈ દીધો હતો. એની દીકરી પ્રતિભા સિન્હા એકાદ બે ફિલ્મોમાં હીરોઇન તરીકે આવી, પણ સ્વ. ગુલશનકુમાર હત્યાકાંડમાં જેનું નામ ચર્ચાયું હતું, તે સંગીતકાર નદીમ (શ્રવણ) સાથે બેનને પ્રેમો થઈ જતા માલા વિફરી હતી અને સીધી બાળાસાહેબ ઠાકરેના શરણમાં પહોંચી જઈ દીકરીને છોડાવવા ઘા નાખી હતી. બીજે જ દિવસે નદીમ આઉટ...! 

એ વાત જુદી છે કે માલા સિન્હા પણ લફરામાંથી છટકી શકી નહોતી. પ્રદીપકુમાર સાથેની એની પ્રેમકથાઓ મશહૂર છે, જેમાં પ્રદીપ પૂરેપૂરો ચાલુ માણસ હતો ને મધુબાલા સાથે ય એનું પ્રણય-કૌભાંડ જોરશોરથી ચાલવા માંડયું ત્યારે માલા ખીજાઈ અને પ્રદીપના ઘરે પહોંચીને એને થપ્પડ મારી દીધી હતી. (આવી થપ્પડ મારવા મધુબાલા આવી નહોતી, કારણ કે એને તો પ્રદીપની સાથે ભારતભૂષણને પણ સંભાળવાનો હતો ! મધુએ જ્યારે જ્યારે લફરા કર્યા છે, ત્યારે પૅરમાં (જોડીમાં) જ કર્યા છે. પ્રદીપ- ભારત ભૂષણના નવ્વા- દસ્સાની જોડીની જેમ પ્રેમનાથ અને દિલીપકુમારને પણ નિરાશ નહોતા કર્યા. માલા સિન્હા માટે જો કે એમ કહી શકાય કે...પછી જે કાંઈ થયું, એણે પ્રદીપ સાથે સમાધાન કરી લીધું હતું. હવે બોલો... કોઈ કહી શકે, ભારતભૂષણ અને પ્રદીપકુમાર નબળા ઍક્ટરો હતા...? 

માલુનું સાચું નામ 'આલ્ડુ'... સોરી 'આલ્ડા' હતું, પણ સ્કૂલમાં બધા એને 'ડાલડા' કહીને ચીઢવતા હોવાથી નામ બદલીને 'માલા' કરી દીધું. 'ડાલડા' નામનું વનસ્પતિ ઘી એ જમાનામાં ઘણું પ્રખ્યાત હતું. 

તનૂજાની ઓળખાણ આજની હીરોઈન કાજોલની મૉમ તરીકે આપવી પડે, એમાં કાંઈ ખોટું નથી, કારણ કે કાજોલ પણ ઘણા ઊંચા ગજાની હીરોઇન... આઇ એમ સૉરી 'ઍક્ટ્રેસ' છે. મોટી બહેન નૂતનની જેમ તનૂજા પણ સ્વિત્ઝર્લેન્ડમાં ભણી છે. તનૂજા ચેઇનસ્મોકર છે, એના જમાઈ બાબુ અજય દેવગણની જેમ ! આ બન્ને બહેનોની સિદ્ધિ એક સારા ઘરના ફિલ્મ રસિકોએ બિરદાવવી પડે કે, આખી જીંદગીઓ આ બન્ને બહેનોએ ફિલ્મનગરીમાં કાઢી નાખી, પણ બેમાંથી એકેય ના ચરિત્ર ઉપર દાગ લાગે, એવું કોઈ કામ કર્યું નથી, કોઈ લફરું નહિ, કોઈ ઝગડા- ફગડા નહિ. એના ગોરધન સ્વ. શોમુ મુકર્જી માની ન શકાય એટલો દારૂ પી પીને મરી ગયો. હું શોમુ અને જોય મુકર્જીના સૌથી નાના ભાઈ શુબિરના ઘરે ગયો, ત્યારે ખબર પડી કે, આગળના જ બંગલામાં શોમૂ રહે છે પણ રહે છે કરતા પડયો રહે છે કહેવું વધારે યોગ્ય હતું. એ સવારથી ઢીંચેલો એના બંધ રૂમમાં પડયો રહે ને માત્ર બોટલ અને જમવાની થાળી પૂરતો એનો દરવાજો અધખુલ્લો રાખે. અંદર આવવાની પરમિશન તો જોય, દેબુ કે શુબિરને પણ નહિ, એકમાત્ર દીકરી કાજોલ પપ્પા પાસે જઈ શકતી ને ખૂબ રડતી... પપ્પા પાસે દારૂ છોડાવવા માટે...! પપ્પાને દારૂ કરતા દુનિયા છોડવી વધુ માફક આવી...! 

વિશ્વજીત કેવો સોહામણો લાગતો ! ચોકલેટ-ફૅસ હતો, પણ હૅન્ડસમ એટલો જ. ચરિત્રનો પણ શુદ્ધ હતો. પણ રામ જાણે હમણાં પાછલી ઉંમરે કયો એરૂ આભડી ગયો કે, એની દીકરીની ઉંમરની કોઈ છોકરી સાથે બીજા લગ્ન કરીને આખા કોલાકાતામાં બદનામ થયો. એનો દીકરો પ્રસન્નજીત બંગાળી ફિલ્મોનો આજે ય સુપરસ્ટાર ગણાય છે. દીકરો બાપને બોલાવતો નથી. આ ફિલ્મનો વિલન શૈલેષ કુમાર એક જમાનામાં ખૂબ જાણીતો હતો, ખાસ કરીને ફિલ્મ 'કાજલ'માં એ મીનાકુમારીનો ભાઈ અને 'ભાભી કી ચૂડિયા'માં એ જ મીનાકુમારીને માતા સ્વરૂપે સ્વ. મૂકેશના કંઠે ગવાયેલું વેદનાસભર ગીત 'તુમ સે હી ઘર ઘર કહેલાયા' શૈલેષકુમારના મુખે ફિલ્મમાં મુકાયું હતું. વાત કમ્માલની છે કે, આ શૈલેષકુમાર પછી ક્યાં ખોવાઈ ગયો, એની કોઈને જાણ નથી. 'ફિર વો ભૂલી સી યાદ આઈ હૈ, અય ગમે દિલ તેરી દુહાઈ હૈ'- ફિલ્મ 'બેગાના'માં રફી સાહેબનું આ બેનમૂન ગીત શૈલેષકુમારને મળ્યું હતું. છેલ્લે છેલ્લે બનતા સુધી '૮૪માં મનોજકુમારની ફિલ્મ 'યાદગાર'માં એ આવ્યો, પછી ક્યાં જતો રહ્યો, તેની જાણકારી નથી. 

દાદામોની જેવો સિદ્ધહસ્ત ઍક્ટર હજી સુધી તો ભારતીય ફિલ્મોમાં નથી જ થયો. મને ગર્વ છે કે, ૬૨ વર્ષ પહેલાં મારું નામ 'અશોક' આ મહાન કલાકારના નામ પરથી પાડવામાં આવ્યું. ગર્વ તો આખાદેશને એક વાતનો થવો જોઈએ કે, અશોકકુમાર અને કિશોરકુમાર નામના ગાંગુલી બ્રધર્સે આ દેશની ફિલ્મોને ટોચનો એક્ટર અને ટોચનો ગાયક આપ્યા. દાદામોનીનો ગુસ્સો, એમની અકળામણ, એમનું વાત્સલ્ય, એમનો રોમાન્સ કે 'જ્વેલથીફ' જેવી ફિલ્મોમાં એમની નકરી બદમાશી યાદ કરો તો ઉત્સવ થઈ જાય, આવા મહાન કલાકારની કોઈ ફિલ્મ જોયાનો. એમાં ય સાથમાં આપણો 'જાની' રાજકુમાર હોય એટલે બરોબરીની ટક્કરના ધોરણે દાદા તો કેવા ખીલે ? યાદ કરો, એ બન્નેની ફિલ્મો... 'ઉંચે લોગ', 'આજ ઔર કલ', 'પાકિઝા' કે આજની આ ફિલ્મ 'નઈ રોશની' હોય. રાજકુમારની તમે જેટલી ફિલ્મો જોઈ હોય, એ બધાનું કોમન ફેક્ટર હજી મગજમાં ઉતરે એવું નથી. મોટા ભાગની ફિલ્મોમાં એને હીરોઇન તો ઠીક, સાઇડ- હીરોઇન સાથે પણ બતાવાયો નથી. રોમાન્સ કે 'રનિંગ અરાઉન્ડ ટ્રીઝ' એને માફક આવે એમ નહિ હોય ! એ પછી બહુ બધાને ખબર ન હોય કે, રાજકુમારનો જન્મ બલુચિસ્તાનના લોરાવલી ખાતે થયો હતો. અસલી નામ તો કુલભૂષણ પંડિત હતું, કારણ કે મૂળ એ કાશ્મિરી બ્રાહ્મણ હતા. ગાયત્રી નામની સ્ત્રી સાથે '૬૦ની સાલમાં લગ્ન કર્યા પછી રાજકુમારને પુરૂ અને પાણિની નામના બે પુત્રો અને 'વાસ્તવિકતા' નામની એક દીકરી છે. ફિલ્મોમાં આવ્યા પહેલા 'જાની' મુંબઈના માહિમ પોલીસ-સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર હતો, પણ પોતાના સિનિયરોને કદી સલામ નહી મારવાની પ્રતિજ્ઞા એને ફિલ્મોમાં ખેંચી લાવી. કોઈ એક ફિલ્મમાં એ પોલીસ સુપ્રિન્ટૅન્ડૅન્ટ બને છે ને વાર્તા મુજબ, એના સીનિયરને સલામ કરવાની હોય છે. દિગ્દર્શક તૌબા પોકારી ગયો કે, 'રાજ સા'બ સલામ મારવાની ના પાડે છે.' 'જાની, હમને કભી અસલી જીંદગી મેં અસલી સીનિયર કો ભી કભી સલામ નહિ મારી...!' આગળનો સંવાદ દિગ્દર્શકે પોતે ધારી લેવાનો ! 'નઇ રોશની'માં આમ રાજકુમારને સંવાદોની કોઈ સીરિઝ મળી નથી, જે 'વક્ત' કે 'હમરાઝ'માં મળી હતી. આજે અનેકને નવાઈ લાગશે કે દેવ આનંદ, દિલીપકુમાર અને રાજકુમાર હંમેશા બંધ ગળાના કપડા જ કેમ પહેરતા હતા ? જવાબ સરળ છે કે, ત્રણેના શરીર ઉપર ઘણા મોટા જથ્થામાં રીંછ જેવી રૂવાટી હતી. આ લોકો તો હાથ પણ કાંડા સુધી ઢાંકેલા રાખતા હતા. ફિલ્મની શરુઆતમાં અશોકકુમાર કૉલેજથી બે ફાઇલો અને બે-ત્રણ નાના પુસ્તકો લઈને ઘેર આવે છે, ત્યારે બન્ને ફાઇલો કલર સાથે બદલાઈ જાય છે.. ડોહા પુસ્તકો રસ્તામાં પાડી આવ્યા હશે !

No comments: