Search This Blog

10/05/2013

'નર્તકી' (૪૦)

યે કૌન આજ આયા સબેરે સબેરે...

ફિલ્મ : 'નર્તકી' (૪૦)
નિર્માતા : ન્યુ થીયેટર્સ, કલકત્તા
દિગ્દર્શક : દેવકી બોઝ
સંગીત : પંકજકુમાર મલિક
ગીતો : આરઝુ લખનવી
રનિંગ ટાઈમ : ૧૪ રીલ્સ
કલાકારો : પંકજ મલિક, લીલા દેસાઈ, જગદિશ સેઠી, નઝમ, આર.વાસ્તી, આર.પી. કપૂર, નંદકિશોર, ધ્રૂવકુમાર, વિક્રમ કપૂર, રજની રાણી, કાર્તિક રોય, લલિત નટવર, મુહમ્મદ સિદ્દીક. 
***
ગીતો
૧.મદભરી, રૂત જવાન હૈ, ગાલ રંગભરે ...પંકજ મલિક
૨.હે ચંદ્રચૂડ મદનાન્તક શૂલપાણી ...પંકજ મલિક-કોરસ
૩.યે કૌન આજ આયા સબેરે સબેરે ...પંકજ મલિક
૪.આંખ મૂંદ કર ધ્યાન મૂરખ, ઈધર ઉધર કાહે રાધારાની
૫.તેરી દયા સે અય દઈ, આજ મુરાદ મિલ ગઈ ...પંકજ મલિક
૬.કૌન તુઝે સમઝાયે મૂરખ, પ્રેમ જુઆ ઔર લાભ ...રૂપકુમારી
૭. પ્રેમ કા નાતા છુટા, બાત કા પાલન તૂટા ....પંકજ મલિક
૮.રટ શિવનામ કી માલા, ઈસ નામ સે જગ ઉજિયાલા ?
૯.કૌન તુઝે સમઝાયે, કૌન તુઝે સમઝાયે ...પંકજ મલિક
***
***
પંકજ મલિકે ફિલ્મ 'યાત્રિક'માં ગાયેલું, 'હે ચંદ્રચૂડ મદનાન્તક શૂલપાણી...' ભજન મેળવવા હું લિટરલી ચેન્નઈ, કોલકાતા, મુંબઈ અને અફ કોર્સ... અમદાવાદમાં ઘણો ભટક્યો હતો. દેખિતું છે, આવા કોઈ ગીતનું તો કોઈએ નામ પણ ન સાંભળ્યું હોય, ત્યાં એની કેસેટ કે રેકોર્ડ તો કોણ આપે?

પછી તો દુખિયાના બેલીઓ ઠેર ઠેર મળી જતા હોય, એમ મને પૂરી ફિલ્મ 'યાત્રિક' જ મળી ગઈ. આ ભજન માટે મને મારા સ્વ. કાકુમામાએ દોડાવ્યો હતો ને મળી ગયા પછી થાક ઉતરી ગયો કે, સાચો દોડાવ્યો હતો. એમાં ય આજે વળી ન્યુ થિયેટર્સની પંકજ મલિક (બાંગ્લા ઉચ્ચાર : પોંકોજકુમાર મલિક)ની ફિલ્મ 'નર્તકી' જોઈ, ત્યારે ખુશી બેવડાઈ ગઈ કે, આનું આ જ ભજન 'નર્તકી'માં પણ છે... એ જ રાગને એ જ ઢાળમાં!

યોગાનુયોગ, 'નર્તકી'નો ઊંધો શબ્દ 'કિર્તન' થાય છે.

... અને ગીતો 'નર્તકી'ના...? માય માય... પંકજ દા નો બૅઈઝ વોઈસ અને રસઝરતી મીઠાશ! જરા આ વાંચતા વાંચતા ગુનગુનાવી તો જુઓ, 'મદભરી રૂત જવાન હૈ...'માં '...ભરી'નો 'રી' કેવી મીઠાશથી ઉપર લઈ જાય છે? 'પ્રેમ કા નાતા છુટા...' ગીતમાં, 'બાત કા પાલન તૂટા...' વખતે પંકજ દા કેવો નાભિમાંથી ખરજનો સ્વર કાઢે છે! 'યે મુઝકો હુઆ ક્યા સબેરે સબેરે...' ગાતી વખતે જાણવા છતાં ડઘાઈ જવાનો ડોળ કરતો યુવાન આવા જ સ્વરોમાં ગાય ને? મારા ફાધરના આ ગમતા ગીતમાં એ રમુજ કરતા, 'સવેરે સવેરે દૂધવાળો આવે... એને માટે આવું રસસભર ગીત વેડફી નંખાતું હશે?' પંકજ મલિક આ ફિલ્મમાં બ્રહ્મચારી કવિના રોલમાં છે ને લીલા દેસાઈ નર્તકી. બેનને વાંધો એ છે કે, જસ્ટ બીકોઝ... એ નર્તકી છે, માટે હિંદુ સ્થાપિત હિતો એને મંદિરમાં પ્રવેશવાની મનાઈઓ શેના ફરમાવે? ફાધરનું કિંગડમ છે? અંતે તો હેમનું હેમ હોયે, એ મુજબ બધું થાળે પડે છે... બ્રહ્મચારીનું બ્રહ્મચર્ય તૂટે છે કે નહિ, એ જોવાની આપણને પરણેલાઓને શી જરૂર?

પંકજ બાબુએ ન્યુ થીયેટર્સને માત્ર આ 'નર્તકી' જ નહિ, અન્ય ફિલ્મો કે સુંદર સંગીત ને મધુરાં ગીતો જ નહિ... કારમી મજુરી પણ આપી હતી... બદલામાં ઠેંગો...! સાયગલ અને પંકજ બન્નેનું આ સ્ટુડિયો માટેનું પ્રદાન નાનુંસૂનું નથી. બન્ને વચ્ચે ઉંમરનો ય ઝાઝો તફાવત નહતો. પંકજ મલિકનો જન્મ ૧૦મી મે, ૧૯૦૫ અને સાયગલનો ૧૧મી એપ્રિલ, ૧૯૦૪... સમજો ને, ૧૩-૧૪ મહિના સાયગલ મોટા. હજી આજે ય ડરતા ડરતા એવું કહેનારા વડિલો હયાત છે, જેઓ માને છે કે, અમને સાયગલ કરતા પંકજનો અવાજ વધુ કર્ણપ્રિય લાગે છે. સરખામણીમાં તો સાયગલ કરતા પંકજનું પ્રદાન ઘણું મોટું, છતાં ન્યુ થિયેટર્સમાં સાયગલનો દબદબો હતો ને પંકજ રીતસર મજુરી કરે!

આ 'રીતસર'ની મજૂરી એટલે શું? 'નર્તકી આ સ્ટુડિયોમાં બની હતી. કલકત્તામાં ફિલ્મ રીલિઝ થઈ, એ પછી મુંબઈ મોકલવાની હતી. ક્યારેક સિનેમાના પ્રોજેક્ટર રૂમમાં ગયા હશો તો ખબર હશે કે, ફિલ્મ શરૂ થાય એ પહેલાં સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ દર્શાવે, એમાં રીલ્સ ૧૪, ૧૬ કે ૧૯ લખ્યા હોય. એ ૧૪ રીલ્સ (નર્તકી ૧૪ રીલ્સનું હતું.) એલ્યુમિનિયમના ગોળ મોટા ડબ્બા લઈને પંકજ મલિકને એકલા મુંબઈ મોકલવામાં આવ્યા. વિચાર કરો, એકલો માણસ, અન્ય સામાન અને ઉપરાંત જાતે આ ૧૪ ડબ્બા ઉપાડવા-લઈ જવાની મજૂરી! અને છતાંય, પૈસાને મામલે ન્યુ થીયેટર્સવાળા પંકજ બાબુને લૂંટતા જ રહ્યા. વર્ષ દરમ્યાન ફિલ્મો બહુ બહુ તો એકાદ-બે બને, જેમાં પંકજનું પ્રદાન હોય, પણ આ લોકો તો ત્યાં નોકરી કરતા હતા, એટલે ગાવા-બજાવવા ઉપરાંત આવી મજુરીના કામ ય કરવા પડતા. આજે સાલું કેવું શરમથી માથું ઝૂકી જાય છે કે, આપણા માટે જે દેવપુરુષ હતા, તે પંકજ મલિક ત્યાં પાણીના ભાવે વેચાતા હતા...!'

પરમ આદરણીય સ્વ. જગમોહન 'સુરસાગરે' આ લખનારને એક કિસ્સો કીધો હતો. સાયગલ અને પંકજ દા કોલકાતામાં રહેતા હતા. સાયગલે પૈસા બચાવી બચાવીને પોતાની મનગમતી મોટરસાયકલ ખરીદી અને બહુ તાનમાં આવી ગયા. કામ હોય કે ન હોય, ચક્કરો મારવા બહુ ગમે. દરમ્યાન એક દિવસે એ સ્ટુડિયો જતા હતા. વરસાદ હતો ને બસ સ્ટેન્ડ પર ઊભેલા પંકજ મલિકને જોયા એટલે બાઈક ઊભી રાખી. સાયગલની નવી બાઈક જોઈને ખુશ થયેલા પંકજ દા ધોતીયાનો કછોટો સંભાળીને હજી તો કહેવા જાય છે કે, જરા ધ્યાન રાખજે. હું બેસું છું, ત્યાં તો બાપુએ ગાડી ઉપાડી દીધી. ભીના ખાબોચીયાંમાં દાદા ઉલળી પડયા ને 'દે ધનાધન...' બંગાળીમાં જે કોઈ ગાળો બોલાતી હોય, તે બધી નિચોવી નિચોવીને દીધી ને ચાલતા સ્ટુડિયો પહોંચ્યા ને ત્યાં ય ગાળો દીધી. સાયગલને ખબરે ય નહોતી કે, પાછળ પંકજ દા હજી બેઠા નથી. બેઠા હશે, એમ સમજીને એ તો ચાલુ બાઈકે એકલા એકલા વાતો જમાવતા રહ્યા...! અલબત્ત, ગુસ્સો પલભરમાં ઉતરી જતાં, બન્ને દોસ્તો ફરી પાછા હંસી-મજાકની વાતોએ વળગી પડયા!

આપણા જેવા પંકજ દા ના ડાયહાર્ડ ચાહકોના જીવો ભડભડભડભડ એટલા માટે બળે કે, એમણે ગાયેલા બહુ ઓછા ગીતો આપણા સુધી પહોંચ્યા છે! આમ તો ફિલ્મો તો ઘણી આવી, પણ ગીતો ક્યાં? છેલ્લી ફિલ્મો 'યાત્રિક' અને દેવ આનંદવાળી ફિલ્મ 'ઝલઝલા' (એટલે ધરતીકંપ)ના થોડાઘણા ય ગીતો મળી રહે, પણ એમ તો આ બન્ને ફિલ્મો '૫૨માં આવ્યા પછી '૫૪માં 'ચિત્રાંગદા' અને ૫૫માં ફિલ્મ 'રાજકમલ' પણ આવી હતી, એના ગીતો ક્યાં? હિંદી-બંગાળી ભેગી કરીને એમની ૩૩ ફિલ્મો આવી હતી, પણ આપણી પાસે એમાંની કેટલી ફિલ્મોના ગીતો છે? આપણને તો કંઠ પંકજ બાબુનો હોય તો બેંગોલી ગીતો કે રવિન્દ્ર સંગીત સાંભળવાનો ય વાંધો નથી.

યસ, ગીતોમાં એમના ઉચ્ચારોનો પ્રોબ્લેમ તો હતો જ. આજ ગીત, 'મદભરી રૂત જવાન હૈ...'ના અંતરાઓમાંથી કેટલાના શબ્દો ઉકેલાય છે? એમના અતિપ્રસિદ્ધ શ્રૃંગાર-રસસભર ગીત, 'પિયા મિલન કો જાના...'ના અંતરા '...પાયલકો બાંધ કે...' પછી શું ગાય છે, તેની ક્યાં ઝટ ખબર પડે છે! ઉચ્ચારોનો પ્રોબ્લેમ આ કોઈ બે-ચાર ગીતો પૂરતો નહતો. ઘણા ગીતોમાં બાપુએ ગોટે ચઢાવી દીધા છે!

ફિલ્મ 'નર્તકી' જ નહીં, ન્યુ થિયેટર્સની ઓલમોસ્ટ બધી ફિલ્મોમાં જગદિશ સેઠીની જેમ વિક્રમ કપૂર પણ હોય જ. આ વિક્રમ કપૂર એટલે ગાયિકા મીના કપૂરના પિતા અને સંગીતકાર અનિલ બિશ્વાસના સસુરજી.

અનિલ બિશ્વાસના પ્રથમ પત્ની આશા એટલે આજના સંગીતકારો અમર-ઉત્પલની માતા. અલબત્ત, પુત્રો કે પિતા એકબીજાને બોલાવતા નહોતા. અમદાવાદમાં અનિલ બિશ્વાસ અને મીના કપૂર સાથે લંચ વખતે સ્વ. ગુજરાતી ગાયક-સંગીતકાર દિલીપ ધોળકીયાએ મને ભરાવી દીધો હતો. સવાલો હું પૂછતો હતો, એટલે દિલીપભાઈએ મને આંખ મીંચકારીને કહ્યું, 'એમને જરા અમર-ઉત્પલ વિશે પૂછો ને...!' મેં ભોળાએ પૂછ્યું, એમાં કાકા બગડયા. મોંઢું બગાડાય એટલું બગાડીને અનિલ દા એ આખો સવાલ ઉડાડી માર્યો.

આ ફિલ્મના કલાકાર વિક્રમ કપૂરની દીકરી મીના કપૂર સાથે અનિલ દા પ્રેમમાં પડયા અને લગ્ન કર્યા. અગાઉની પત્ની આશા મૂળ તો મુસલમાન હતા, પણ અનિલ દા ને પરણવા માટે એમણે હિંદુ ધર્મ અંગીકાર કર્યો હતો. મીના કપૂર પત્ની બન્યા પછી પણ અનિલ બિશ્વાસ એટલી હદે મોહિત હતા કે, વડોદરાના એક કાર્યક્રમમાં એમણે ખૂબ વિચિત્ર જાહેરાત કરી નાંખી કે, 'મીના કપૂર લતા મંગેશકર કરતા ય વધુ સારી ગાયિકા છે.' (કદાચ એ હાઈટ બોડીમાં કહેતા હોય તો એને મજાક સમજીને વાચકોએ કાકાને માફ કરવા!)

ફિલ્મની હીરોઈન લીલા દેસાઈ વિશે અગાઉ આ કોલમમાં લખ્યા પછી એમના ફેમિલીમાંથી મારા ઉપર ફોન આવ્યો હતો અને ઘણી વિશેષ માહિતી પણ જાણવા મળી હતી. આ ગુજરાતી હીરોઈનના પિતા. ડો. ઉમેદરામ લાલભાઈ દેસાઈના માતૃશ્રી સત્યબાળાદેવી બિહારના હતા અને ૧૯૦૦ની આસપાસના વર્ષોમાં સંગીતકાર તરીકે ખ્યાતનામ હતા. લીલા દેસાઈ હીરોઈન રમોલાના સગા બહેન થાય. 'પિયા મિલન કો જાના...' પંકજ દાએ આ લીલા દેસાઈ માટે ગાયું હતું અને ફિલ્મમાં 'કપાલ કુંડલા'નો ટાઈટલ રોલ એમણે કર્યો હતો.

ડાયરેક્ટર ફણી મજમુદારે લીલાની બહેન મોનિકા દેસાઈ સાથે લગ્ન કર્યા હતા. લીલા દેસાઈની મધરે દાર્જીલિંગમાં વિશાળ કોટેજ લીધું હતું. ફિલ્મ 'આનંદ'માં અમિતાભ બચ્ચનની પ્રેમિકા બનતી હીરોઈન સુમિતા સાન્યાલ આ લીલા દેસાઈની શોધ છે.

ફિલ્મ 'નર્તકી'ના દિગ્દર્શક દેવકી બોઝ સર્જનાત્મક માણસ હતા. 'ઓ બરશા કે પહેલે બાદલ, મેરા સંદેસા લે જાના...' એ જગમોહનના ખૂબ જાણીતા ગીતની ફિલ્મ 'મેઘદૂત' દેવકી બાબુએ દિગ્દર્શિત કરી હતી. ૧૯૩૨માં સાયગલ સાહેબની ફિલ્મ 'ચંડીદાસ'માં દેવકી બાબુએ પહેલી વાર બેકગ્રાઉન્ડ મ્યુઝિકની શરૂઆત રાયચંદ બોરાલના સંગીતમાં કરી. હવે એ વિવાદ તો હજી ચાલુ જ છે કે, હિંદી ફિલ્મોમાં પ્લેબેકનો પ્રારંભ ફિલ્મ 'ધૂપ-છાંવ'થી બોરાલ બાબુએ કર્યો કે પંકજ મલિકે! ફિલ્મી સંગીતના જાણકારો તો આર.સી. બોરાલથી મોટા સંગીતકાર ઈવન અનિલ બિશ્વાસને ય નથી માનતા. સ્વયં સાયગલ અને પંકજ મલિકે પણ એમના સંગીતમાં અનેક ગીતો ગાયા છે.

આમ તો, ૩૦ કે ૪૦ ના દશકોની ફિલ્મો આજે જોવા મળે, એ જ ઘણું કહેવાય. આવી ફિલ્મો બજારમાં તો મળતી ન હોય, પણ જામનગરના શ્રી ચંદુભાઈ બારદાનવાલાને કારણે આ ફિલ્મ મળી, તેની નોંધ લઈએ છીએ.

No comments: