Search This Blog

19/05/2013

ઍનકાઉન્ટર 19-05-2013

* પાકિસ્તાન આપણા સૈનિકોને બેરહેમીથી મારી નાંખે છે. શું આપણી પ્રજાની ય સંવેદનશીલતા મરી પરવારી છે ?
- ...સહેજ પણ નહિ. સરબજીત શહીદ થયો, એ પહેલા એણે ૩-૪ શરતો પૂરી કરી હોત તો અમે ખૂબ સંવેદનશીલ થઇએ એવા છીએ. (૧) એ અમારી જ્ઞાતિનો હતો ? હોત તો જ્ઞાતિના પ્રમુખશ્રીને પૂછીને એના માટે એકાદી શ્રદ્ધાંજલિ-ફ્રધ્ધાંજલિ ગોઠવાઇ દેત ! (૨) એ અમારા ધર્મનો હતો ? ના. એ સીખ્ખ હતો અને અમે રહ્યા વાણીયા-બા'મણ...! (૩) આવો કોઈ પણ યુવાન દેશ માટે શહીદ થાય, પછી પોલીસ-ફોલીસના લફરાં અમારા ઘર સુધી નહિ આવવા જોઇએ. (૪) શ્રધ્ધાંજલિનો દિવસ રવિવાર કે જાહેર રજાનો રાખવો, તો અમે કંઇક કરીએ.
(સાધના નાણાવટી, જામનગર)

* અશોક દવે, તમારૂં કોઇ ઉપનામ કે હુલામણું નામ ખરૂં ?
- હજી તો નામ બનાવવા સુધી ય પહોંચ્યો નથી !
(નલિન ત્રિવેદી, જામનગર)

* આજકાલ હીરોઇનો બીજવર, ત્રીજવર કે ચોથવરને કેમ પરણે છે ?
- પંચવરને પરણી શકાય માટે.
(રમેશ સુતરીયા-ટ્રોવા, મુંબઇ)

* આપણાં ધર્મના વડાંઓમાં દેશદાઝ નામની ય નથી. અબજોની સંપત્તિમાં આળોટે છે. ઇશ્વરને નામે પ્રજા ક્યાં સુધી છેતરાતી રહેશે ?
- સાલો કોઇ પણ ધર્મનો એકે ય ભક્ત એના ગુરૂને પૂછતો નથી કે, ત્રણે ય પાડોશીઓથી આપણો દેશ સંકટમાં છે...માત્ર બે વર્ષ માટે ભગવાન-ફગવાન મૂકો બાજુ પર ને અમને દેશદાઝ અપાવો...! ઇન ફૅક્ટ, ઘેર આવીને કોઇ આપણને થપ્પડ મારી જાય, એને માટે આપણે લાયક જ છીએ.
(જગદિશ વાળા, સુરેન્દ્રનગર)

* સાસુ-વહુના ઝગડામાં દીકરાએ કોનો પક્ષ લેવો જોઇએ...પત્નીનો કે માં નો ?
- એ બેમાંથી જેનાથી એ ડરતો હોય એનો !
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

* ...કોના બાપની દિવાળી ?....તો હોળી ?
- એ હજી અમારા 'નૅટ-વર્ક'માં શોધાયું નથી.
(હેમાંગ પી. ત્રિવેદી, પેટલાદ)

* ..તલગાજરડાના 'અસ્મિતાપર્વ'માં બધા સાહિત્યકારોને આમંત્રણ હોય છે...તમે કેમ નથી આવતા ?
- 'બાપૂ' મને સાહિત્યકાર ગણે પછી બોલાવશે.
(પી.સી. પટેલ, મહુવા)

* ..પત્નીઓ પતિને તુંકારે કેમ બોલાવે છે ?
- બોલાવે છે, એટલું પૂરતું નથી ?
(ઓમકાર જોશી, ગોધરા)

* તમે રાતોરાત કરોડપતિ બની જાઓ તો શું કરો ?
- બસ્સો-પાંચસો તમને આપીને તમારૂં મોંઢું બંધ રખાવું ?
(ભરત પી.ભીલ, દિહોર-ત્રાપજ)

* તમારી 'ડિમ્પલ' બસ્સો કરોડના બંગલામાં રહે છે, ને તમે હજી ત્રણ બેડરૂમના ફલૅટમાં ? કંઈ સમજાયું નહિ !
- મને પણ !
(જયેશ અંતાણી, ભાવનગર)

* .મેહમાનગતિ કાઠીયાવાડની વખણાતી....હવે ?
- હવે કાઠીયાવાડના મહેમાનો ય વખણાય છે.
(જયેશ કે. સંપટ, મુંબઇ)

* .આપણી દ્રષ્ટિએ સૌથી તગડો હાસ્યરસ કોનો ?
- સૌરાષ્ટ્રના ગઢવીઓનો. ચારણી સાહિત્યની રજુઆત હોય કે ગઢવીઓની વાણી, બન્નેમાં સૂક્ષ્મ હાસ્ય નિરંતર નિતરે છે. ડાયરાઓમાં જ નહિ, હું તો કોક ગઢવી રસ્તામાં મળે તો ય ઊભા રાખીને બે-ચાર વાતો અમથી ય સાંભળી લઉં...ભરચક થઇ જવાય !
(લોપામુદ્રા દવે, મુંબઈ)

*..બુદ્ધિને બમણી કરવા શું કરવું ?
- તમારે વાંચવી આવી કૉલમો ને કરવી છે બુધ્ધિ બમણી...! અરે, આ ૪૨-વર્ષમાં મારી બમણી નથી થઇ તો તમારી ક્યાંથી થાય ?
(પ્રબોધ જાની, વસઇ-ડાભલા)

* ...હાથી જીવતો લાખનો ને મરેલો સવા લાખનો....તો મનુષ્ય ?
- મનુષ્ય જીવતો લાખનો ને મરેલો આઠ હજારનો ! (બેસણાંની જા.ખ.નો ખર્ચો)
(રામચંદ્ર કે. શાહ, વડનગર)

* ...તમે સૌથી સફળ હાસ્યલેખક તો છો, પણ ડૉ. મનમોહનસિંઘને હસાવી શકો ખરા ?
- હાથીને સ્ટ્રૉ નાંખેલી કોકાકોલા પીવડાવવી સહેલી પડે !
(ઘનશ્યામ આચાર્ય, આંબરડી-જસદણ)

* ...બળાત્કારની શું સજા હોવી જોઇએ ?
- ખસી.
(કે.સી. ક્ક્કડ, અમદાવાદ)

* ...આપને બીજી વખત કૂતરૂં કરડયું. હવે કેમ છે ?
- કૂતરાંને સારૂં છે.
(વિનોદ ડાભી, લાલાવાડા-પાલનપુર)

* પુરુષને તેનો પગાર ને સ્ત્રીને ઉંમર ન પૂછાય, તો બાળકને શું ન પૂછાય ?
- એના પપ્પાનું નામ.
(પ્રાપ્તિ રીંડાણી, રાજકોટ)

* તેંડુલકરની નિવૃત્તિ પછીની મૅચો કેવી હશે ?
- એની તો ખબર નથી, પણ આજકાલ જે મૅચમાં સચિન રમવાનો હોય, એ મૅચ કોઇ જોતું નથી !
(મણીબેન પટેલ, ઊંટડી-વલસાડ)

* શ્રી નરેન્દ્ર મોદીના માતૃશ્રીના ચશ્માની દાંડીઓ દોરી વડે બંધાયેલી છે..સ્ક્રૂ નથી. શું કારણ ?
- એ દૉરીનું બીજું નામ 'નરેન્દ્ર મોદી' છે.
(તરૂલતા/નિરૂપમા જોશી, રાજકોટ)

* ...એકવાર આપને રૂબરૂ મળવાની ઇચ્છા છે. બોલો ક્યારે આવીએ ?
- થૅન્ક ગૉડ...તમે મારાથી સારા લેખકો નથી વાંચ્યા !
(મુનિરા હાતિમભાઈ કાગળવાલા, મુમ્બ્રા, મહારાષ્ટ્ર)

* દીકરી ને ગાય, દોરે ત્યાં જાય...તમે સુઉં કિયો છો ?
- દીકરી સુધી બરોબર છે...ગાય તો ફાવે ત્યાં જાય !
(યાસ્મિનબાનુ સોલંકી, રાણપુર)

* મલ્લિકા શેરાવત જૂનાગઢનો નાગાબાવાઓનો મેળો જોવા જાય તો આશ્ચર્ય કોને થાય ?
- કોઇને નહિ...કારણ કે, જેમને એવા આશ્ચર્યો થવાના હોય, એ બધા અગાઉથી નાગાંબાવા થઇને બેઠા હોય !
(મધુકર માંકડ, જામનગર)

* નરહરિ અમીન માટે કહી શકાય ખરૂં કે, 'દેર સે આયે....દુરસ્ત આયે'?
- તંદુરસ્તીનો એમને પહેલેથી શોખ....!
(ધીમંત ભાવસાર, બડોલી-ઇડર)

No comments: