Search This Blog

29/04/2018

ઍનકાઉન્ટર : 29-04-2018


* 'હમ્મઅઅઅઅ...'નો મતલબ શું ?
- કોઇનું બી કપાળ !
(
કેયૂર કાનપરીયા, સુરત)

* દેશની પરિસ્થિતિ જોયા પછી, આપણા ધર્મગુરૂઓ ધર્મને બદલે સ્વચ્છતા, શિસ્ત કે પાણીનું મહત્વ જેવા વિષયો ઉપર જ્ઞાન આપતા હોય તો ?
- એવા વિષયોના જ્ઞાનની દેશને જરૂર હોય તો એ લોકો બેશક આપે.
(
શારદા મકવાણા, ચકલાસી)

* તમે 'બૅબી', 'ઍરલિફ્ટ' કે 'રૅઇડ' જેવી ફિલ્મોના વખાણ કરો છો, એવી સુંદર ફિલ્મો વિશે લખતા કેમ નથી ?
- '૭૦-'૮૦ પહેલાની ફિલ્મોનો તબક્કો પૂરો થઇ જાય, પછી આવી સુંદર ફિલ્મો માટે લખાશે.
(
હિમા શુક્લ, ભાવનગર)

* બૅન્કોને નવડાવવાનું ક્યારે બંધ થશે ?
- 'નહાવા-ધોવા' પૂરતી બૅન્કો પગભર થશે ત્યારે.
(
હર્ષ એસ. હાથી, ગોંડલ)

* દેશમાં કૌભાંડોની હારમાળા સર્જાણી છે... સુઉં કિયો છો ?
- પ્રાર્થના કરો કે એકાદામાં આપણું ય નામ બોલાતું થાય !
(
અનંત ત્રિવેદી, ગોરડકા-ગઢડા)

* નરેન્દ્ર મોદી ગુજરાતનો હવે વિકાસ કરી શકે એમ લાગે છે ?
- યૂ મીન... એમાં સવર્ણોનો વિકાસ આવે ?
(
જનમ પટેલ, ભાવનગર)

* હાલમાં જીવંત ટૉપ નંબરે કયા ગુજરાતી કવિ અને ેલેખક છે ?
- કવિઓમાં તો આપણે સહેજ બી નહિ.. હોં !
(
મુકુંદ પટેલ, સુરત)

* ઉખાણું પૂછી શકું ?
- એવા બધા કામો રાહુલને સોંપ્યા છે.
(
આનંદ કણસાગરા, ઊપલેટા)

* હકારાત્મક અને નકારાત્મક  વિચારો વિશે તમારૂં શું કહેવું છે ?
- થૅન્ક્સ ! હું વિચારી પણ શકું છું, એવું સ્વીકારો છો.
(
મીરા ગોહેલ, ભાવનગર)

* આત્મજ્ઞાન, હરિભક્તિ અને રાષ્ટ્રપ્રેમમાં સર્વોત્તમ શું ?
- એ જે હોય તે... ત્રણે સાથે વાપરવામાં કોઇ બચકું ભરી જાય છે ?
(
હરૂભાઇ કારીઆ, મુંબઈ)

* આશ્રમોમાં ઋષિમુનીઓ ભણાવતા અને આજના શિક્ષણમાં શું ફેર ?
- વાલીઓ એટલું નથી સમજતા કે શિક્ષણ તમારા માટે છે... સ્કૂલના ટ્રસ્ટીઓ  માટે નહિ !
(
સુધીર પરમાર, રાખેજ-ગીરસોમનાથ)

* સોની-મૅક્સ પર વારંવાર  'સૂર્યવંશમ' જ કેમ બતાવાય છે ?
- ધરપત રાખો. આજે 'સૂર્યવંશમ' બતાવ્યું... પછી 'ગાંધીવંશમ' પણ ફ્રીમાં દેખાડશે.
(
મિતેશ ચૌહાણ, વડોદરા)

* કૉંગ્રેસ માટે સૉફ્ટ-કોર્નર રાખનાર મીડિયાને શું કહેવાય ?
- '૧૯ની ચૂંટણીઓ કૉંગ્રેસના પરિણામો પછી બાપુનગર, સરસપુર કે ચમનપુરામાં નાનકડી ઑફિસો ખોલી પણ શકે.. આઇ મી, એટલા ત્રણેક સંસદ સભ્યો ચૂંટાવા જોઇએ.
(
સિધ્ધાર્થ ધોળકીયા, ભાવનગર)

* શ્રીદેવી અને શંકરાચાર્યના અવસાન એક જ દિવસે થયા, પણ રાષ્ટ્રીય-સન્માન કેવળ શ્રીદેવીને મળ્યું..
- વહેલું નામ લખાવવાની આટલી ઉતાવળે ના કરો.
(
ધિમંત ભાવસાર, બડોલી-ઈડર)

* ઈન્કમટૅક્સની  રૅઇડો નેતાઓને ત્યાં કેમ પડતી નથી ?
- ઉપરથી કોક પકડી ન રાખે  તો માલમુદ્દો હેઠે આવે ને !
(
ધવલ જે. સોની, ગોધરા)

* 'ઍનકાઉન્ટર'નું  નામ તમે બદલાવવાના છો ?
- આપણે સામસામુ રાખી દઇએ.
(
ડૉ. જ્યોતિ હાથી, રાજકોટ)

* બધુ સરકારી અસરકારી કેમ નથી હોતું ?
- ઘેર જઇને પતંગ ફાટી જાય તો દુકાનવાળાનો વાંક ?
(
ડૉ. મયંક કે છાયા, અમદાવાદ)

* 'આક્રોષ'માં સ્મિતા પાટીલે આવો છીછરો રોલ કર્યો ?
- કડક દિગ્દર્શકે આથી આગળ જવાની ના પાડી હોય !
(
બાલેન્દુ વૈદ્ય, વડોદરા)

* બાબા રામદેવની દવાઓ લેવાય કે નહિ ?
- વિદેશી દવાવાળા આપણને લૂટી જતા હતા. આ ય લૂટતા હશે, પણ ઘરનો પૈસો ઘરમાં તો રહે છે ને ?
(
પ્રિયાંક ત્રિવેદી, ભાવનગર)

* સાધુબાવાઓ રાજકારણમાં જોડાય છે, એ મારી કૉલમો છે, તમારો શું પ્રતિભાવ ?
- એ મારી કૉલમો છે. લખી આપતા હોય તો મને વાંધો નથી.
(
રાજેન્દ્ર મનજી પઢારીયા, ડૉમ્બિવલી)

* પ્રજા પાસે ગેસ-સીલિન્ડરો છોડવાની અપીલો કરતા, પ સાંસદો પોતાનો ગેસ કયાં છોડે છે ?
એવી જગ્યા મારાથી તમને ન લઇ જવાય... બા ખીજાય !
(
યોગીન ડોબરીયા, ભાવનગર)

* સોશિયલ મીડિયા ન હોત તો ?
- તો પ્રજા  પોતાની બુધ્ધિથી ચાલતી હોત !
(
જીગ્નેશ પરમાર, વડોદરા)

* નેતાઓ એકબીજાનું ખરાબ બોલવાનું બંધ કરી દે તો ?
- આપણને શું વાંધો છે... છોને ઝગડી મરતા !
(
ભવ્ય મેહતા, સુરત)

No comments: