Search This Blog

27/05/2012

ઍનકાઉન્ટર : 27-05-2012

૧. વ્યસન કરીને વહેલું મૃત્યુ પામનારા અને ભક્તિભાવથી લાંબુ જીવનારાઓ વચ્ચે શો ફેર?
- યૂ મીન... તમારી દ્રષ્ટિએ વ્યસન અને ભક્તિભાવ જુદા છે?
(હર્ષા ઈલેશ ઝવેરી, મુંબઈ)

૨. ટેન્શન દૂર કરવાનો કોઈ ગુરૂમંત્ર આપશો, ગુરૂજી?
- બીજા માટે ટૅન્શનો ઊભા કરો.
(જયેન્દ્રસિંહ કે. રાઠોડ, વઢવાણ સિટી)

૩. આજના ડીજે-મ્યુઝિક અને શાસ્ત્રીય સંગીત વચ્ચે શું ફરક?
- શાસ્ત્રીય સંગીતમાં ગાયકે કે આપણે બહુ હલવાનું હોતું નથી.
(પીયુષ પ્રવિણભાઈ પટેલ, કલોલ)

૪. લગ્ન પછીની જવાબદારીઓ સમજી ન શકનારાઓ લગ્ન શું કામ કરતા હશે?
- કયો ગધેડો વળી સમજવા માટે લગન કરે છે?
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)

૫. સરદાર પટેલે બધા રાજ્યોને ભેગા કર્યા... આજના નેતાઓ રાજ્યો જુદા કરે છે... કારણ?
- ઘરમાં ઘણું બઘું ભેગું કરવા માટે.
(દેવેન્દ્ર શાહ, પેટલાદ)

૬. અજમલ કસાબના જન્મદિવસે સરકાર એને શું ગિફ્‌ટ આપશે?
- કોંગ્રેસનું સભ્યપદ.
(ગોવિંદ રામલાલ સોની, નવસારી)

૭. લાલુ યાદવ અમિતાભ બચ્ચન વિશે કેમ આડું બોલે છે?
- શહેરના રાજમાર્ગ પર હાથી નીકળ્યો છે એટલે ગલીના કૂતરાં ભસવાના તો ખરા ને!
(વિજયકાંત પી. સિઘ્ધપુરીયા, કામરેજ)

૮. રાજકારણમાં પ્રવેશવાની લાયકાત કઈ જોઈએ?
- ઘણી બધી... ગેરલાયકાતો જોઈએ!
(હિતેશ એસ. દેસાઈ, ગણદેવી)

૯. શેરબજારના ભાવો અને શાકભાજીના ભાવો વચ્ચે શો તફાવત?
- શેરબજારવાળાને શાકભાજીના ભાવો વધે તેની ચિંતા કરવી પડતી નથી.
(ચંદ્રવદન પટ્ટણી, ભૂજ)

૧૦. અમદાવાદના ઈન્કમટૅક્સ સર્કલ પર ગાંધીજીની પ્રતિમા બ્લૅક કેમ છે?
- ગાંધીનગર જવાનો રસ્તો ત્યાંથી શરૂ થાય છે.
(દેવાશું વસાવડા, ભરૂચ)

૧૧. તમારા અમદાવાદમાં, અમારા મુંબઈના મર્ડર૧-૨-૩ ની જેમ ફ્‌લેટના નામ શરણમ૧-૨-૩ રખાય છે... હવે શું?
- નારણપુરા ૧-૨-૩...મોદી ૧-૨-૩... વાઈફ ૧-૨-૩...!!!
(જયંત વી. હાથી, થાણે-મહારાષ્ટ્ર)

૧૨. હૅરોઈનઅને હીરોઈનવચ્ચે શું ફરક?
- એનો આધાર, તમારે તાત્કાલિક કોની જરૂર પડી છે, એની ઉપર છે.
(સલમા મણીયાર, વિરમગામ)

૧૩. લગ્નને લાડવો કહેવાતો હોય તો એ લાડવો ખાવો કે નહિ?
- બને ત્યાં સુધી પારકે ભાણે ખઇ આવવો.
(દિપ્તી/વિવેક/કેજલ રાવળ, બોટાદ)

૧૪. તમે જીવનમાં વીતી ગયેલી ક્ષણોને યાદ કરો છો કે આવનારી?
- અત્યારે જલસા કરૂં છું.
(હરેશ લાલવાણી, થર્મલ)

૧૫. દિવસની કોઈપણ ક્ષણે રૂપજીવિનીઓ આનંદમગ્ન જોવા મળે છે, છતાં સમાજ તેમને દુઃખી કેમ માને છે?
- અચ્છા.. એવું હોય છે?
(દિનેશ સ્વરૂપચંદ મેહતા, ભૂજ)

૧૬. તમને ઍનકાઉન્ટરની પ્રેરણા ક્યાંથી મળી?
- આપણા દેશમાં પ્રશ્નો સૉલ્વ કરનારા કરતા પ્રશ્નો ઊભા કરનારાઓ વધારે છે, એ જાણ્યા પછી!
(વૃત્તિ એમ. અઘ્યારૂ, પાટડી-સુરેન્દ્રનગર)

૧૭. હું ચૂંટણી લડવા માંગુ છું. શું કરૂ?
- હાથ જોડો.
(મંજુલા સદાભાઈ પરમાર, ગાંધીનગર)

૧૮. દુશ્મનાવટ ભૂલી જવા છતાં, દુશ્મનોમાં કેમ કોઇ ફરક પડતો નથી?
- ખાનદાની તો તમારી દેખાઈ ને?
(પૂર્વી પટેલ, અમદાવાદ)

૧૯. સત્ય અને પ્રામાણિકતાની કિંમત શું?
- મેં પેટ ભરીને ચૂકવી છે, માટે આનો જવાબ આપવા માટે હું નાલાયક છું.
(આર.બી. ચારણીયા, રાજકોટ)

૨૦. ‘‘કૌન બનેગા કરોડપતિ’’માં તમે રૂ. ૫ કરોડ જીત્યા હોત, તો પત્નીને આપત કે ડિમ્પલને?
- અમારા લોકોમાં એવા ભેદભાવો હોય જ નહિ.
(લલિત ટી. ભટ્ટ, રાજકોટ)

૨૧. ભારતનો નાગરિક રાષ્ટ્રદેવો ભવઃક્યારે શીખશે?
- નાગરિક...? ભારતમાં તમે વળી નાગરિક ક્યારે જોયો? આપણા દેશમાં તો કોઈ વૈષ્ણવ છે, કોઈ જૈન છે, કોઈ બ્રાહ્મણ છે... આવી નાગરિક જેવી ગાળ ન બોલો, ભાઈ!
(અજયસિંહ આઈ. ચંપાવત, હિંમતનગર)

૨૨. એક ટીવી શોમાં શત્રુધ્ન સિંહાએ અમિતાભ બચ્ચનને અપમાનજનક સ્થિતિમાં મૂકી દીધા હતા. આપની કમૅન્ટ?
- હમણાં એક ઍડમાં પેલું હાડપિંજર ખન્નુય નથી મંડયું...? લેકીન શેર આખિર શેર હોતા હૈ...!
(રસિક શાહ, ભાવનગર)

૨૩. દેશના સર્વોત્તમ છાપાની વ્યાખ્યા શું?
- બસ. જેમાં ઍનકાઉન્ટરછપાતું હોય!
(ચેતન રાજાણી, રાજકોટ)

૨૪. તમે વાત વાતમાં બા ખીજાયકહો છો. વાઈફ ખીજાય એવી નથી?
- વાઈફો તો બા ઉપરે ય ખીજાય, બોલો!
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)

૨૫. જાણે બહાર હુસ્ન તેરા બેમિસાલ હૈ’, એવું ધર્મપત્નીને કહીએ તો કેવું લાગે?
- બસ. એના ગોરધનને ખબર ન પડવી જોઈએ.
(ડૉ. પ્રવીણગીરી ગોસ્વામી, પોરબંદર)

૨૬. ભગવાન શ્રી કૃષ્ણે સુદામા પાસેથી પોતાનું પિતામ્બર પાછું માંગી લીઘું, ત્યારે સુદામાને કેવી લાગણી થઈ હશે?
- દ્રોણાચાર્યે કર્ણ પાસેથી અંગૂઠો માંગી લીધો હતો તેવી.
(ડી.કે. માંડવીયા, પોરબંદર)

૨૭. સાંભળ્યું છે કે, તમે કોઈની ઉપર વેર નથી રાખતા... ફાયદો થયો કે નુકસાન?
- હવે તો એ લોકોને નુકસાન થાય છે, એનો ય જીવ બળે છે.
(કાર્તિકી મનોહરભાઈ શુક્લા, અમદાવાદ)

No comments: