૧. વ્યસન કરીને વહેલું મૃત્યુ પામનારા અને ભક્તિભાવથી લાંબુ જીવનારાઓ
વચ્ચે શો ફેર?
- યૂ મીન... તમારી દ્રષ્ટિએ વ્યસન અને ભક્તિભાવ જુદા છે?
(હર્ષા ઈલેશ ઝવેરી, મુંબઈ)
૨. ટેન્શન દૂર કરવાનો કોઈ ગુરૂમંત્ર આપશો, ગુરૂજી?
- બીજા માટે ટૅન્શનો ઊભા કરો.
(જયેન્દ્રસિંહ કે. રાઠોડ, વઢવાણ
સિટી)
૩. આજના ડીજે-મ્યુઝિક અને શાસ્ત્રીય સંગીત વચ્ચે શું ફરક?
- શાસ્ત્રીય સંગીતમાં ગાયકે કે આપણે બહુ હલવાનું હોતું નથી.
(પીયુષ પ્રવિણભાઈ પટેલ, કલોલ)
૪. લગ્ન પછીની જવાબદારીઓ સમજી ન શકનારાઓ લગ્ન શું કામ કરતા હશે?
- કયો ગધેડો વળી સમજવા માટે લગન કરે છે?
(રવીન્દ્ર નાણાવટી, રાજકોટ)
૫. સરદાર પટેલે બધા રાજ્યોને ભેગા કર્યા... આજના નેતાઓ રાજ્યો જુદા
કરે છે... કારણ?
- ઘરમાં ઘણું બઘું ભેગું કરવા માટે.
(દેવેન્દ્ર શાહ, પેટલાદ)
૬. અજમલ કસાબના જન્મદિવસે સરકાર એને શું ગિફ્ટ આપશે?
- કોંગ્રેસનું સભ્યપદ.
(ગોવિંદ રામલાલ સોની, નવસારી)
૭. લાલુ યાદવ અમિતાભ બચ્ચન વિશે કેમ આડું બોલે છે?
- શહેરના રાજમાર્ગ પર હાથી નીકળ્યો છે એટલે ગલીના કૂતરાં ભસવાના તો ખરા
ને!
(વિજયકાંત પી. સિઘ્ધપુરીયા, કામરેજ)
૮. રાજકારણમાં પ્રવેશવાની લાયકાત કઈ જોઈએ?
- ઘણી બધી... ગેરલાયકાતો જોઈએ!
(હિતેશ એસ. દેસાઈ, ગણદેવી)
૯. શેરબજારના ભાવો અને શાકભાજીના ભાવો વચ્ચે શો તફાવત?
- શેરબજારવાળાને શાકભાજીના ભાવો વધે તેની ચિંતા કરવી પડતી નથી.
(ચંદ્રવદન પટ્ટણી, ભૂજ)
૧૦. અમદાવાદના ઈન્કમટૅક્સ સર્કલ પર ગાંધીજીની પ્રતિમા બ્લૅક કેમ છે?
- ગાંધીનગર જવાનો રસ્તો ત્યાંથી શરૂ થાય છે.
(દેવાશું વસાવડા, ભરૂચ)
૧૧. તમારા અમદાવાદમાં, અમારા
મુંબઈના ‘મર્ડર’ ૧-૨-૩ ની જેમ ફ્લેટના નામ ‘શરણમ’ ૧-૨-૩ રખાય છે... હવે શું?
- નારણપુરા ૧-૨-૩...મોદી ૧-૨-૩... વાઈફ ૧-૨-૩...!!!
(જયંત વી. હાથી, થાણે-મહારાષ્ટ્ર)
૧૨. ‘હૅરોઈન’ અને ‘હીરોઈન’ વચ્ચે શું ફરક?
- એનો આધાર, તમારે
તાત્કાલિક કોની જરૂર પડી છે, એની ઉપર
છે.
(સલમા મણીયાર, વિરમગામ)
૧૩. લગ્નને લાડવો કહેવાતો હોય તો એ લાડવો ખાવો કે નહિ?
- બને ત્યાં સુધી પારકે ભાણે ખઇ આવવો.
(દિપ્તી/વિવેક/કેજલ રાવળ, બોટાદ)
૧૪. તમે જીવનમાં વીતી ગયેલી ક્ષણોને યાદ કરો છો કે આવનારી?
- અત્યારે જલસા કરૂં છું.
(હરેશ લાલવાણી, થર્મલ)
૧૫. દિવસની કોઈપણ ક્ષણે રૂપજીવિનીઓ આનંદમગ્ન જોવા મળે છે, છતાં સમાજ તેમને દુઃખી કેમ માને છે?
- અચ્છા.. એવું હોય છે?
(દિનેશ સ્વરૂપચંદ મેહતા, ભૂજ)
૧૬. તમને ‘ઍનકાઉન્ટર’ની પ્રેરણા ક્યાંથી મળી?
- આપણા દેશમાં પ્રશ્નો સૉલ્વ કરનારા કરતા પ્રશ્નો ઊભા કરનારાઓ વધારે છે, એ જાણ્યા પછી!
(વૃત્તિ એમ. અઘ્યારૂ, પાટડી-સુરેન્દ્રનગર)
૧૭. હું ચૂંટણી લડવા માંગુ છું. શું કરૂ?
- હાથ જોડો.
(મંજુલા સદાભાઈ પરમાર, ગાંધીનગર)
૧૮. દુશ્મનાવટ ભૂલી જવા છતાં, દુશ્મનોમાં
કેમ કોઇ ફરક પડતો નથી?
- ખાનદાની તો તમારી દેખાઈ ને?
(પૂર્વી પટેલ, અમદાવાદ)
૧૯. સત્ય અને પ્રામાણિકતાની કિંમત શું?
- મેં પેટ ભરીને ચૂકવી છે, માટે આનો
જવાબ આપવા માટે હું નાલાયક છું.
(આર.બી. ચારણીયા, રાજકોટ)
૨૦. ‘‘કૌન બનેગા કરોડપતિ’’માં તમે રૂ. ૫ કરોડ જીત્યા હોત, તો
પત્નીને આપત કે ડિમ્પલને?
- અમારા લોકોમાં એવા ભેદભાવો હોય જ નહિ.
(લલિત ટી. ભટ્ટ, રાજકોટ)
૨૧. ભારતનો નાગરિક ‘રાષ્ટ્રદેવો
ભવઃ’ ક્યારે શીખશે?
- નાગરિક...? ભારતમાં
તમે વળી નાગરિક ક્યારે જોયો? આપણા
દેશમાં તો કોઈ વૈષ્ણવ છે, કોઈ જૈન
છે, કોઈ બ્રાહ્મણ છે... આવી નાગરિક જેવી ગાળ ન બોલો, ભાઈ!
(અજયસિંહ આઈ. ચંપાવત, હિંમતનગર)
૨૨. એક ટીવી શોમાં શત્રુધ્ન સિંહાએ અમિતાભ બચ્ચનને અપમાનજનક
સ્થિતિમાં મૂકી દીધા હતા. આપની કમૅન્ટ?
- હમણાં એક ઍડમાં પેલું હાડપિંજર ‘ખન્નુ’ય નથી મંડયું...? લેકીન
શેર આખિર શેર હોતા હૈ...!
(રસિક શાહ, ભાવનગર)
૨૩. દેશના સર્વોત્તમ છાપાની વ્યાખ્યા શું?
- બસ. જેમાં ‘ઍનકાઉન્ટર’ છપાતું હોય!
(ચેતન રાજાણી, રાજકોટ)
૨૪. તમે વાત વાતમાં ‘બા ખીજાય’ કહો છો. વાઈફ ખીજાય એવી નથી?
- વાઈફો તો બા ઉપરે ય ખીજાય, બોલો!
(અસગરઅલી નોમાનઅલી, બારીયા)
૨૫. ‘જાણે બહાર હુસ્ન તેરા
બેમિસાલ હૈ’, એવું ધર્મપત્નીને કહીએ તો કેવું લાગે?
- બસ. એના ગોરધનને ખબર ન પડવી જોઈએ.
(ડૉ. પ્રવીણગીરી ગોસ્વામી, પોરબંદર)
૨૬. ભગવાન શ્રી કૃષ્ણે સુદામા પાસેથી પોતાનું પિતામ્બર પાછું માંગી
લીઘું, ત્યારે સુદામાને કેવી લાગણી થઈ હશે?
- દ્રોણાચાર્યે કર્ણ પાસેથી અંગૂઠો માંગી લીધો હતો તેવી.
(ડી.કે. માંડવીયા, પોરબંદર)
૨૭. સાંભળ્યું છે કે, તમે
કોઈની ઉપર વેર નથી રાખતા... ફાયદો થયો કે નુકસાન?
- હવે તો એ લોકોને નુકસાન થાય છે, એનો ય
જીવ બળે છે.
(કાર્તિકી મનોહરભાઈ શુક્લા, અમદાવાદ)
No comments:
Post a Comment